Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

શિમલા, કાશ્મીર, બદ્રીનાથ..ચારે બાજુ બરફની ચાદર પથરાઈ ગઈ

ઉ. ભારતની ઘાટીઓ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ : શિમલાની સાથે સાથે ધ રિજ, બેનમોર અને સંજોલિ સહિત રાજ્યના અન્ય ઉપરના વિસ્તારોમાં પણ હિમવર્ષા થઈ

નવી દિલ્હી, તા.૯ : ઉત્તર ભારતમાં અત્યારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. કાશ્મીરથી લઈને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના અમુક વિસ્તારોમાં પાછલા થોડાક દિવસોથી સતત હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષાને કારણે પ્રવાસીઓ ખુશ થઈ ગયા છે અને ત્યાં સુંદર દ્રશ્યોની મજા માણી રહ્યા છે. ચારેબાજુ બરફની સફેદ ચાદર પથરાયેલી જણાઈ રહી છે. આ સમયે ફરવા ગયેલા ટૂરિસ્ટ ખુશ થઈ ગયા છે. જો કે હિમવર્ષાને કારણે સામાન્ય લોકોના જીવન પ્રભાવિત થયા છે. ફ્લાઈટ્સ પણ રદ્દ થઈ છે.

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં વર્ષ ૨૦૨૨ની પ્રથમ હિમવર્ષા શનિવારના રોજ થઈ હતી. ત્યારપછીથી અહીં બરફ પડી રહ્યો છે. શિમલાની સાથે સાથે ધ રિજ, બેનમોર અને સંજોલિ સહિત રાજ્યના અન્ય ઉપરના વિસ્તારોમાં પણ હિમવર્ષા થઈ છે. લાહૌલ-સ્પિતિ, કિન્નૌર, પાંગી અને ચંબા જિલ્લાના ભરમૌરમાં પણ હિમવર્ષા થઈ છે.શિમલા અને હિમાચલ પ્રદેશના અન્ય વિસ્તારોમાં થયેલી હિમવર્ષાની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ છે. ત્યાં હાજર પ્રવાસીઓ તસવીરો અને વીડિયો શેર કરી રહ્યા છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં પણ બરફ પડી રહ્યો છે, જેના કારણે બદ્રીનાથ ધામ પણ સફેદ ચાદરથી લપેટાઈ ગયું છે.

કાશ્મીરની વાત કરીએ તો, સોપોર, શોપિંયાં, શ્રીનગરની સાથે સાથે જમ્મુના કટરા સ્થિત માતા વૈષ્ણોદેવી ધામમાં પણ સીઝનનો પ્રથમ બરફ પડ્યો છે. અહીંની બેટરી કાર સેવા અને હેલિકોપ્ટર સેવા પ્રભાવિત થઈ છે. શ્રીનગર એરપોર્ટની કામગીરી પણ પ્રભાવિત થઈ છે.

એરપોર્ટ પરથી બરફ હટાવવાનું કામ હજી ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે શનિવારના રોજ શ્રીનગરથી લગભગ ૧૦ ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. હિમવર્ષા અને ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પણ બંધ કરવામાં આયો હતો.

ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં ૪૦ દિવસ ચિલ્લઈ કલાં તરીકે ઓળખવામાં આવે છે,જ્યારે ત્યાં ઠંડી વધી જાય છે અને તાપમાન શૂન્યથી પણ ઓછું થઈ જાય છે. આ સમય દરમિયાન શ્રીનગરના પ્રખ્યાત ડલ લેકમાં પણ પાણી થીજી જાય છે. ચિલ્લઈ કલાંની શરુઆત ૨૧ ડિસેમ્બરથી થઈ અને ૩૧ જાન્યુઆરીના રોજ સમાપ્ત થશે.

(12:00 am IST)