Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

બજેટ પહેલા પીએમ મોદીની મેરેથોન બેઠક : અર્થશાસ્ત્રીઓ પાસે માંગી સલાહ : કહ્યું નીતિમાં કોઈ ખામી જણાવો તો અમે સુધારો કરવા તૈયાર

મોદીએ આર્થિક વૃદ્ધિને ગતિ આપવા માટે ઉપાયો અને અર્થવ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા કરી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય બજેટ પહેલા મેરેથોન બેઠક કરી છે બેઠક બાદ અર્થશાસ્ત્રી ચરણસિંહે કહ્યું કે ઇન્કમટેક્સમાં છુટછાટ આપવાની નહીં પણ ગ્રામીણ વિસ્તારમાં ખર્ચ વધારવાની જરુર છે. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રીએ બેઠકમાં કહ્યું કે જો સરકારની નીતિમાં કોઈ ખામી છે તો અર્થશાસ્ત્રી અમને બતાવે, અમે સુધારો કરવા માટે તૈયાર છીએ. જેનું બધા અર્થશાસ્ત્રીઓએ સ્વાગત કર્યું હતું.

  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આર્થિક વૃદ્ધિને ગતિ આપવા માટે ઉપાયો અને અર્થવ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા માટે નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ અને વિશેષજ્ઞો સાથે બેઠક કરી હતી. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે વર્તમાન વિત્ત વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર પાંચ ટકાથી નીચે રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

  બેઠક પછી ઉદ્યોગપતિ અરવિંદ મેલિગિરીએ જણાવ્યું હતું કે વિભિન્ન સેક્ટરના લોકોએ અલગ-અલગ સલાહો આપી છે. પ્રધાનમંત્રીએ અમારા બધાની સલાહો ઘણી સકારાત્મક તરીકેથી સાંભળી હતી. મેં પણ પ્રોજેક્ટની મંજૂરીને સરળ બનાવવા પર સલાહ આપી છે.

   આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે દેશના ટોપ બિઝનેસમેન સાથે અર્થવ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા કરી હતી. બેઠકમાં રતન ટાટા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી સહિત 11 બિઝનેસમેન સામેલ હતા. આ દરમિયાન આર્થિક વિકાસ દર અને રોજગારની તક વધવાના ઉપાયો પર ચર્ચા થઈ હતી.
   આ બેઠકમાં ગૃહમંત્રી અમિતભાઈ  શાહ અને અન્ય મંત્રીયો સિવાય નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર, મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંત પણ સામેલ થયા હતા. પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન બિબેક દેબરોય પણ આ બેઠકમાં હાજર હતા. સરકાર 2020-21 માટે બજેટ પ્રસ્તાવ તૈયાર કરવામાં લાગી ગઇ છે.

(12:00 am IST)