Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ગ્વાલિયરમાં ફરી ગોડસેની પ્રતિમા સ્થાપવાની ક્વાયત

હિન્દુ મહાસભા દ્વારા તંત્ર પાસે મંજૂરી મગાઈ : હિન્દુ મહાસભાએ નાથુરામ ગોડસેની સાથે સાથે નારાયણ આપ્ટેની પ્રતિમા સ્થાપવા માટે પણ તૈયારીઓ શરુ કરી

ગ્વાલિયર, તા.૯ : મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ફરી એક વખત મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપવાની કવાયત તેજ બની છે.

હિન્દુ મહાસભાએ ગ્વાલિયરના તંત્રને પત્ર લખીને મંજૂરી માંગી છે.હિન્દુ મહાસભા દર વર્ષે નાથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેના જન્મ દિવસે કાર્યક્રમ યોજતી આવી છે.હિન્દુ મહાસભાએ નાથુરામ ગોડસેની સાથે સાથે નારાયણ આપ્ટેની પ્રતિમા સ્થાપવા માટે પણ તૈયારીઓ શરુ કરી છે.આ પ્રતિમાની સ્થાપના હિન્દુ મહાસભા પોતાના કાર્યાલયમાં કરવા માંગે છે.

મહાસભાએ તંત્રને મોકલેલા પત્રમાં કહ્યુ છે કે, માનવ અધિકાર દિવસ પર ગોડસે અને આપ્ટેની મૂર્તિ લગાવવા માટે પરવાનગી આપવામાં આવે.

આ પહેલા મહાસભાએ ૨૦૧૭માં ગોડસેની પ્રતિમા સ્થાપવા માટે એક મંદિર બનાવ્યુ હતુ.જેના પર વિવાદ વધી ગયા બાદ તંત્રે મંદિર બંધ કરાવીને પ્રતિમા પોતાના કબ્જામાં લઈ લીધી હતી.અત્યારે પણ આ પ્રતિમા તંત્રના કબજામાં છે.મહાસભા દર વર્ષે ગોડસેના જન્મ દિવસ અને જે દિવસે ફાંસી અપાઈ તે તારીખે કાર્યક્રમનુ આયોજન કરતી હોય છે.

મહાસભાનુ કહેવુ છે કે ગોડસે અને આપ્ટેની પ્રતિમા બનીને તૈયાર છે અને હવે તંત્રની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે.

(7:14 pm IST)