Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

જનરલ બિપિન રાવતે અગાઉ કહ્યું હતું, હું પહાડી છું, મરવાનો નથી

દેશે પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને : સાત વર્ષ પહેલા ૨૦૧૫માં પણ જનરલ રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું તે સમયે તેઓ લેફ્ટનન્ટ જનરલ હતા

નવી દિલ્હી, તા.૯ : ૮મી ડિસેમ્બરના રોજ થયેલી દુર્ઘટનામાં દેશે પોતાના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતને ગુમાવી દીધા. જનરલ રાવતના ૪૩ વર્ષના મિલિટ્રી કરિયરમાં આ પ્રથમ હેલિકોપ્ટર દુર્ઘટના નહોતી. આ પહેલા તેઓ મોતને માત આપી ચૂક્યા હતા. આવી જ એક દુર્ઘટના પછી તેમણે પોતાના સીનિયરને કહ્યુ હતું, હું પહાડી વ્યક્તિ છું, મરવાનો નથી. પરંતુ દુર્ભાગ્યવશ આ દુર્ઘટનામાં તેમણે જીવ ગુમાવવો પડ્યો.

મિલિટરી કોલેજ ઓફ ટેલિકમ્યુનિકેશન એન્જિનિયરિંગના પૂર્વ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એમજી દાતારે જણાવ્યું કે, જ્યારે મને આ દુર્ઘટના વિષે જાણકારી મળી તો મને વિશ્વાસ હતો કે તે સુરક્ષિત હશે, અને ફરી એકવાર મોતને માત આપશે જેવી રીતે એક દશક પહેલા આપી હતી. ત્યારે તેઓ ૩ સ્પિયર કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ હતા.

લેફ્ટનન્ટ જનરલ દાતાર જણાવે છે કે, દુર્ઘટના પછી જ્યારે હું રાવતને મળ્યો તો મેં તે બાબતે વાત કરી. તેમણે જવાબ આપ્યો કે, સર હું પહાડી વ્યક્તિ છું, આટલી નાની દુર્ઘટનામાં મરવાનો નથી. હું ગોરખા રાઈફલ્સથી છું જે પોતાની નિડરતા માટે ઓળખાય છે. હું ઉત્તરાખંડની પહાડીઓનો છું. ત્યાંના લોકો પણ પોતાની નિડરતા માટે વખણાય છે.

ઉલ્લેખનીય છે કે સાત વર્ષ પહેલા ૨૦૧૫માં પણ જનરલ રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયુ હતું. તે સમયે તેઓ લેફ્ટનન્ટ જનરલ હતા. ૩ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ નાગાલેન્ડના દીમાપુરમાં તેમનું હેલિકોપ્ટર ટેક ઓફ થયાની ૨૦ સેકન્ડ પછી જ ક્રેશ થઈ ગયુ હતું. ત્યારે તેમને અને હેલિકોપ્ટરમાં હાજર અન્ય લોકોને સામાન્ય ઈજા થઈ હતી. જનરલ રાવત સૈનિક પરિવારના સભ્ય હતા. તેમના પિતા લેફ્ટનન્ટ જનરલ લક્ષ્મણ સિંહ રાવત ઉપ સેના પ્રમુખ હતા. એક વાર ઈન્ટર્વ્યુમાં બિપિન રાવતે કહ્યુ હતું કે, ઉત્તરાખંડની માટી અને પાણીમાં કંઈ ખાસ છે.

ઈન્ટર્વ્યુ દરમિયાન તેમને પૂછવામાં આવ્યુ હતું કે, ઉત્તરાખંડની જમીનમાં એવુ તો શું છે જે દેશને આટલા વીર આપે છે. આના જવાબમાં બિપિન રાવતે કહ્યુ હતું, ઉત્તરાખંડની જમીન દેવભૂમિ તરીકે ઓળખાય છે. કારણકે અહીંની માટી અને પાણી છે તે દેવસાઓના નિવાસના વિસ્તારથી વહે છે. શક્ય છે કે આ જ કારણોસર જેમનો જન્મ આ માટીમાં થયો અને જેમણે અહીં પાણી પીધું તેમનામાં હિંમત આપમેળે આવી જતી હશે. પરંતુ હુ કહેવા માંગીશ કે બાકીના દેશવાસીઓ ઉત્તરાખંડની સરખામણીમાં હિંમત વાળા નથી તેમ નથી. તમામ દેશવાસી મજબૂત છે.

(7:12 pm IST)