Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મદિવસ ઉજવાયોઃ ૪ ડીસેં.ના રોજ નવી મુંબઇ ખાતે કરાયેલી ઉજવણીમાં ૬૦ હજારથી વધુ હરિભકતો ઉમટી પડ્યાઃ ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી

તા.૪ ડિસેમ્બરના રોજ નવી મુંબઇ નેરૂલ સ્થિત વિશાલ ડી.વાય.પાટીલ સ્ટેડિયમમાં ભારતીય સંસ્કૃતિના જયોતિર્ધર અને અનેક વૈશ્વિક પ્રદાન આપનાર મહાન સંત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ અતિ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાયો. આ પ્રસંગે ૬૦,૦૦૦ કરતાં વધુ ભકતો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, તદ્ઉપરાંત સમગ્ર વિશ્વમાંથી પધારેલા ૭૫૦ જેટલા સંતો-મહંતો પણ ઉપસ્થિત હતા.

સાંજે ૫:૩૦ વાગ્યે ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ અને સંતો-યુવકોના કલાવૃંદની કીર્તન-ભકિતથી કાર્યક્રમનો શુભારંભ થશે. સતત ત્રણ કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર વિશ્વના ઉત્કર્ષ માટે આપેલા યોગદાનને વિશિષ્ટ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. વ્યકિત, પરિવાર અને સમાજની સળગતી સમસ્યાઓ અને વૈશ્વિક પડકારોના સમાધાન આપનાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સ્પર્શથી અનેક લોકોનું આમૂલ જીવન-પરિવર્તન થયું હતું. પ્રમુખસ્વામી મહારાજના આ હૃદયસ્પર્શી પ્રભાવની પ્રેરક રજૂઆત કરવામાં આવી હતી. વળી, અનેક ભાવિ-પેઢીઓને પ્રેરણા આપનારા પ્રમુખ સ્વામી મહારાજના જીવન-સંદેશની આ સચોટ પ્રસ્તુતિ હતી.

આ કાર્યક્રમમાં ૩૦૦૦ કરતાં વધારે બાળકો-યુવકોએ પ્રમુખસ્વામી મહારાજના જીવન-સંદેશને વણી લેતા નૃત્ય-સંવાદની વિશિષ્ટ પ્રસ્તુતિ કરી હતી. સાથે સાથે સભાજનોને વીડિયો શો અને વરિષ્ઠ સંતો-મહાનુભાવોના મનનીય વકતવ્યોનો લાભ પ્રાપ્ત થયો હતો.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથેના પોતાના સ્વાનુભવો વર્ણવ્યા હતા. પૂજ્ય  પ્રમુખ સ્વામી મહારાજ એક વૈશ્વિક મહાપુરૂષ હતા. તેમ કહી તેઓએ વધુમાં જણાવ્યું, ''પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં હંમેશા દિવ્ય શાંતિનો અનુભવ થતો. ગમે તેટલા મોટા પ્રશ્નો કેમ ન હોય, પણ પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં જતાં તે શમી જતા. તેમનું આવું વ્યકિતત્વ અનેક લોકોએ અનુભવ્યું છે, અને તેમાંનો હું એક છું. તેઓશ્રીનું કાર્ય આજે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ કરી રહ્યા છે. તેમનાં કાર્યો દ્વારા પ્રમુખસ્વામી મહારાજ હંમેશા આપણી વચ્ચે જ છે.''

પ્રમુખસ્વામી મહારાજના પવિત્ર સ્પર્શથી થયેલા આમૂલ જીવન-પરિવર્તનોા ઐતિહાસિક સ્વાનુભવો લોકોએ મંચ પરથી રજુ કર્યા ત્યારે વાતાવરણ ભાવવાહી બની ગયું હતું. સંસ્થાના વિદ્ધાન સંતોએ પણ સ્વામીજીના પ્રેરક અનુભવોની હૃદયસ્પર્શી પ્રસ્તુતિ કરી હતી, જેમાં વરિષ્ઠ સંતો પૂજ્ય ડોકટર સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય ઇશ્વરચરણ સ્વામી, પૂજ્ય વિવેકસાગર સ્વામી સહિતના સંતોનો સમાવેશ થાય છે.

કાર્યક્રમના અંતે બી.એ.પી.એસ. સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જણાવ્યુ હતું. ''બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું'' આ પ્રમુખસ્વામી મહારાજનો જીવનમંત્રી હતો, તેમના મનમાં ૨૪ કલાક આ જ વિચાર હતો. તેમનું જીવન દિવ્ય હતું. પ્રમુખસ્વામી મહારાજની અહંશૂન્યતાની તુલના કોઇ સાથે ન થઇ શકે. આટલું નિરાળું વ્યકિતત્વ હોવા છતાં બાળસહજ નિર્દોષ. તેમના યોગમાં જે કોઇ આવતા તેમને એ દિવ્યતાનો અનુભવ થતો. જ આપણે  પણ તેમના જેવા થઇને અને તેમના જીવનમંત્રને દૃઢાવીએ.''

આ પ્રસંગે ડી.વાય.પાટીલ સ્ટેડીયમના સૂત્રધાર શ્રી વિજયભાઇ પાટીલ સહિત અનેક અગ્રગણ્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની ચરમસીમારૂપે ઉપસ્થિત ૬૦,૦૦૦ કરતાં વધારે સંતો-મહાનુભાવો અને ભકતોએ ભગવાનની મહાઆરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી. આ મહોત્સવને સફળ બનાવવા માટે ૧૦,૦૦૦ કરતા વધુ સ્વયંસેવકોએ દિન-રાત સેવા કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષથી પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી ઉત્સવ પ્રસંગે મુંબઇ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર (દાદર)ના નેજા હેઠળ અનેક સમાજોપયોગી કાર્યક્રમ યોજાયા હતા. જેમાં વ્યસનમુકિત અભિયાન, વાલીજાગૃતિ અભિયાન, બાળ-યુવા જાગૃતિ અભિયાન વગેરે સેવાકીય કાર્યક્રમો વિશિષ્ટ રીતે સંપન્ન થયા હતા. આ ઉપરાંત બી.એ.પી.એસ.સંસ્થા સાથે જોડાયેલા સંતો-ભકતોએ ૧,૨૫,૦૦૦ થી વધુ ઘરોનો સંપર્ક કરીને પારિવારિક શાંતિનો સંદેશ પણ પ્રસરાવ્યો હતો. બાળકો દ્વારા દવાખાનાઓમાં જઇને કરાયેલી પ્રાર્થનાઓ અને યુવાનો દ્વારા કરાયેલી જાહેર સ્થાનોની સ્વચ્છતા સેવા પણ પ્રેરણાદાયક હતી.

આ સમગ્ર મહોત્સવમાં વિવિધ સહકારી સંસ્થાઓ અને સરકારી વિભાગોનો પૂર્ણ સહકાર પ્રાપ્ત થયો હતો.

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની પંચવર્ષીય ઉજવણીની ચરમસીમારૂપે સન ૨૦૨૧માં અંતિમ સમારોહ ખૂબ ભવ્યતાથી અમદાવાદ ખાતે યોજાશે.

 

(7:48 pm IST)