Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

નિર્ભયા ગેંગરેપનાં આરોપીઓની ફાંસીની તૈયારીઓ શરૃઃ ૧૬મીએ લટકાવી દેવામાં આવશે

નવી દિલ્હી, તા.૯: નિર્ભયા ગેંગરેપનાં આરોપીઓને ફાંસી આપવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ૧૬ ડિસેમ્બરે તમામને ફાંસી આપવામાં આવી શકે છે. જે જગ્યા પર ફાંસી આપવાની છે, ત્યાં સાફ-સફાઈ શરૂ કરી દેવામાં આવી છે.

જણાવી દઈએ કે, એક આરોપી વિનય શર્મા તરફથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પાસે દાખલ કરવામાં આવેલી દયા અરજીને ગૃહ મંત્રાલયે નામંજૂર કરવાની ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદની ડોકટર સાથે ગેંગરેપ બાદ તેને સળગાવી હત્યા કરવાના મામલામાં ચાર આરોપીઓને ઠાર મરાયા બાદ નિર્ભયાનાં નરાધમોને ફાંસી આપવાની માગ જોર પકડી રહી છે.

નિર્ભયા ગેંગરેપ મામલે છ આરોપીઓમાંથી એક આરોપીનું મોત નિપજયું છે. જયારે એક સગીર સજા પૂરી કરીને જેલની બહાર આવી ગયો છે. બીજા બચ્યા ચાર આરોપીની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે. અને આ જ કારણે આગળની કાર્યવાહી કરવામાં આવી શકી નથી. આશા છે કે, ગૃહ મંત્રાલયની ભલામણ બાદ રાષ્ટ્રપતિ ટૂંક સમયમાં જ દયા અરજી પર નિર્ણય કરશે.

તેવામાં જો નિર્ભયા કાંડના આરોપીઓને ફાંસી અપાશે તો માનવામાં આવી રહ્યું છે કે મેરઠનાં પવન જલ્લાદને તેની જવાબદારી સોંપવામાં આવશે. જો કે હજુ સુધી સત્તાવાર રીતે આવી કોઈ માહિતી સામે આવી નથી.

(9:51 am IST)