Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

રામલલાનો રસ્તો : 1528થી 2019 સુધીની યાત્રા, રામ મંદિર માટે હિંદુઓનાં સંઘર્ષની સંપૂર્ણ કહાની

  17 માર્ચ 1886નાં રોજ મહંત રઘુબર દાસે જિલ્લા ન્યાયાધીશ ફૈઝાબાદ કર્નલ એફએફએ કૈમિયરની કોર્ટમાં અપીલ દાખલ કરી. કૈમિયરે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, મસ્જિદ હિંદુઓનાં પવિત્ર સ્થળ પર બનાવવામાં આવી છે, પરંતુ હવે મોડું થઈ ગયું છે. 356 વર્ષ જૂની ભૂલ સુધારવી આટલા દિવસો બાદ યોગ્ય રહેશે નહીં. આથી યથાસ્થિતિ બનાવી રાખો._

   શનિવાર - 9 નવેમ્બર 2019એ પ્રતિક્ષા પૂર્ણ થઈ. જેની હિંદુઓ દાયકાઓથી રાહ જોતા હતા, અયોધ્યામાં રામ મંદિર માટે લાંબા સંઘર્ષ બાદ સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવ્યો છે. સર્વોચ્ચ અદાલતે વિવાદિત સ્થળે મુસ્લિમોનાં દાવાને ફગાવી દીધો છે અને કેન્દ્ર સરકારને ત્રણ મહિનામાં મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાનું કહ્યું છે. મંદિર તોડવાથી લઈને મસ્જિદ નિર્માણ સુધીનો આખો ઘટનાક્રમ આ મુજબ રહ્યો

 1528: બાબરનાં સેનાપતિ મીર બાકીએ અયોધ્યામાં ભગવાન રામનાં જન્મસ્થળે મસ્જિદ બનાવી.

  1528-1731: ઈમારતનાં કબ્જાને લઈને હિંદુ-મુસ્લિમો વચ્ચે 64 વાર અથડામણ થઈ.

  1822: ફૈઝાબાદ કોર્ટની અદાલતનાં મુલાઝિમ હફીજુલ્લાએ સરકારને મોકલેલા એક અહેવાલમાં કહ્યું કે, રામનાં જન્મસ્થળ પર બાબરે મસ્જિદ બનાવી હતી.

  1852: અવધનાં અંતિમ નવાબ વાજિદ અલી શાહનાં શાસનકાળમાં પહેલીવાર અહીં મારપીટની ઘટનાનો લેખિત ઉલ્લેખ મળે છે. નિર્મોહી પંથનાં લોકોએ દાવો કર્યો કે બાબરે એક મંદિર તોડીને મસ્જિદ બનાવી છે.

1855: હનુમાનગઢી મામલે બૈરાગીઓ અને મુસ્લિમો વચ્ચે સંઘર્ષ થયો. અયોધ્યાની પરિસ્થિતિ અંગે વાજિદ અલી શાહે બ્રિટિશ રેજીડેન્ટ મેજર આર્ટમને પત્ર મોકલ્યો. જેમાં 5 દસ્તાવેજો મૂકી એવું કહેવામાં આવ્યું કે, આ વિવાદિત ઈમારતને લઈ હિંદુ-મુસ્લિમો વચ્ચે ઘર્ષણ રહે છે.

  1859: બ્રિટીશ શાસને આ પવિત્ર સ્થળને ઘેરી લીધું. અંદરનો ભાગ નમાઝ માટે મુસ્લિમોને આપવામાં આવ્યો હતો અને બહારનો ભાગ હિંદુઓને પૂજા માટે આપવામાં આવ્યો.

  1860: ડેપ્યુટી કમિશનર ફૈઝાબાદની અદાલતમાંમાં મસ્જિદનાં ખાતિબ મીર રજ્જને દરખાસ્ત કરી કે, નિહંગ શીખએ મસ્જિદનાં પરિસરમાં નિશાન સાહિબને ગાડીને એક ચબૂતરો બનાવ્યો છે જેને હટાવવામાં આવે.

 1877: મસ્જિદનાં મુઅજ્જીન મોહમ્મદ અસગરે ફરીથી ડેપ્યુટી કમિશનર કચેરીમાં અરજી આપીને ફરિયાદ કરી કે બૈરાગી મહંત બલદેવ દાસે મસ્જિદ પરિસરમાં એક ચરણપદુકા રાખી દીધી છે, જેની પૂજા કરવામાં આવી રહી છે. તેમણે પૂજા કરવા માટે ચૂલ્હો પણ બનાવ્યો છે. અદાલતે કંઈપણ હટાવ્યું નહીં, પરંતુ મુસ્લિમોને મસ્જિદમાં જવા માટે બીજો રસ્તો બનાવી આપ્યો

  15 જાન્યુઆરી, 1885: પ્રથમ વખત આ જમીન પર હિંદુ મંદિર બનાવવાની માંગ અદાલતમાં થઈ. મહંત રઘુબર દાસે પહેલો કેસ ફાઈલ કર્યો. તેમણે રામ ચબૂતરા પર મંડપ બનાવવાની પરવાનગી માંગી. આકસ્મિક રીતે આ જ વર્ષે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના પણ થઈ હતી.

  24 ફેબ્રુઆરી, 1885: ફૈઝાબાદની જિલ્લા અદાલતે મહંત રઘુબર દાસની અરજીને નકારતા કહ્યું કે, આ જગ્યા મસ્જિદની ખૂબ નજીક છે. ન્યાયાધીશ હરકિશને પોતાના ચૂકાદામાં સ્વીકાર્યું કે, ચબૂતરા પર રઘુબર દાસનો કબ્જો છે. તેમને એક દિવાલ બનાવી ચબૂતરાને અલગ કરવાનું કહેવામાં આવ્યું, પરંતુ મંદિર બનાવવાની મંજૂરી નહોતી.

  17 માર્ચ, 1886: મહંત રઘુબર દાસે જિલ્લા ન્યાયાધીશ ફૈઝાબાદ કર્નલ એફએફએ કૈમિયરની કોર્ટમાં અપીલ દાખલ કરી. કૈમિયરે પોતાના નિર્ણયમાં કહ્યું કે, મસ્જિદ હિંદુઓનાં પવિત્ર સ્થળ પર બનાવવામાં આવી છે. પરંતુ હવે મોડું થઈ ગયું છે. 356 વર્ષ જૂની ભૂલ સુધારવી આટલા દિવસો બાદ યોગ્ય રહેશે નહીં. આથી યથાસ્થિતિ બનાવી રાખો.

  20-21 નવેમ્બર, 1912: બકરીઈદ પર અયોધ્યામાં ગૌહત્યા વિરુદ્ધમાં તોફાનો થયા. અહીં 1906થી જ મ્યુનિસિપલ એક્ટ હેઠળ ગાયની કતલ પર પ્રતિબંધ હતો.

  માર્ચ, 1934: ફૈઝાબાદનાં શાહજહાંપુરમાં ગૌહત્યાનાં વિરોધમાં રમખાણો થયા. નારાજ હિંદુઓએ બાબરી મસ્જિદની દિવાલ અને ગુંબજને નુકસાન પહોંચાડ્યું. પાછળથી સરકારે તેનું સમારકામ કરાવ્યું.

   1936: બાબરી મસ્જિદ બાબર દ્વારા બનાવવામાં આવી હતી કે કેમ તેની કમીશ્ન્રરી તપાસ શરૂ થઈ.

   20 ફેબ્રુઆરી 1944: અધિકૃત ગેઝેટમાં સત્તાવાર રીતે એક તપાસ અહેવાલ પ્રકાશિત થયો. આ વાત ફૈઝાબાદની રેવન્યુ કોર્ટમાં શિયા અને સુન્ની વકફ બોર્ડની સુનવણી દરમિયાન 1945માં પ્રકાશમાં આવી હતી.

  22-23 ડિસેમ્બર, 1949: વિવાદિત ઈમારતની અંદર ભગવાન રામની પ્રતિમા પ્રગટ થઈ. બંને પક્ષે કેસ દાખલ કર્યા હતા. સરકારે આ વિસ્તારને વિવાદિત જાહેર કર્યો અને ઈમારતને જોડાણ આપવાનો આદેશ આપ્યો. પરંતુ પૂજા ચાલુ રહી.

  29 ડિસેમ્બર, 1949: ફૈઝાબાદ મ્યુનિસિપલ બોર્ડનાં અધ્યક્ષ પ્રિયા દત્ત રામને વિવાદિત જગ્યાનાં રીસીવર તરીકે નિમણૂક કરવામાં આવ્યા.

  1950: હિંદુ મહાસભાનાં ગોપાલસિંહ વિશારદ અને દિગમ્બર અખાડાનાં મહંત પરમહંસ રામચંદ્રદાસે અદાલતમાં અરજી કરી જન્મસ્થળ પર માલિકીનો દાવો કર્યો. બંનેએ ત્યાં પૂજા માટે પરવાનગી માંગી. સિવિલ ન્યાયાધીશે આંતરિક ભાગ બંધ રાખીને પૂજાને મંજૂરી આપતા મૂર્તિઓ ન હટાવવાનો વચગાળાનો આદેશો આપ્યા હતા.

  26 એપ્રિલ, 1955: હાઈકોર્ટે સિવિલ ન્યાયાધીશનાં વચગાળાનાં આદેશને માન્ય રાખ્યો.

  1959: નિર્મોહી અખાડાએ વિવાદિત સ્થળે અન્ય એક દાવેદારી કરીને પોતાનો દાવો કર્યો હતો. પોતાને રામજન્મભૂમિનાં સંરક્ષક ગણાવ્યા.

  1961: મસ્જિદમાં મૂર્તિઓ મૂકવાના વિરોધમાં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે એક અરજી દાખલ કરી દાવો કર્યો કે, મસ્જિદ અને તેની આસપાસની જમીન એક કબ્રસ્તાન છે, જેમના પર તેમનો દાવો છે

   29 ઓગષ્ટ, 1964: જન્માષ્ટમીનાં દિવસે મુંબઈમાં વિશ્વ હિંદુ પરિષદની સ્થાપના.

  7-8 એપ્રિલ, 1984: મંદિરનાં નિર્માણ માટે રામ જન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિ રચાઈ. મહંત અવૈદ્યનાથ અધ્યક્ષ બન્યા. રથયાત્રાઓ નીકળવામાં આવી. રામ મંદિર આંદોલને જોર પકડ્યું.

  1 ફેબ્રુઆરી, 1986: ફૈઝાબાદ અદાલતે ઈમારતનાં તાળા ખોલવાનો આદેશ આપ્યો. હિંદુઓને પૂજા-પાઠ કરવાની છૂટ મળી હતી.

   3 ફેબ્રુઆરી, 1986: હાશિમ અન્સારીએ તાળા ખોલવા મામલે હાઈકોર્ટમાં અપીલ કરી.

  5-6 ફેબ્રુઆરી, 1986: મુસ્લિમ નેતા સૈયદ શહાબુદ્દીને વડાપ્રધાનને દરમિયાનગીરી કરવાની અપીલ કરી. 14 ફેબ્રુઆરીને શોક દિવસ તરીકે ઉજવવાની અપીલ કરી હતી.

  6 ફેબ્રુઆરી, 1986: લખનઉમાં મુસ્લિમોની એક સભા મળી. બાબરી મસ્જિદ એક્શન કમિટીની રચનાની ઘોષણા થઈ. મૌલાના મુઝફ્ફર હુસેન કીછોછવી અધ્યક્ષ બન્યા અને મોહમ્મદ આઝમખાન અને ઝફરયાબ જિલાની સંયોજક બન્યા   23-24 ડિસેમ્બર, 1986: સૈયદ શાહાબુદ્દીનની અધ્યક્ષતામાં દિલ્હીમાં બાબરી મસ્જિદ સંકલન સમિતિની રચના. 1987નાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનાં બહિષ્કારની ઘોષણા.

5 જૂન, 1989: પાલમપુરમાં ભાજપ રાષ્ટ્રીય કાર્યકારીની બેઠક.ભાજપની કાર્યસૂચિમાં સૌ પ્રથમ વખત મંદિર આંદોલન આવ્યું. ઠરાવ પસાર કરીને રામ મંદિર બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો. એવું કહેવામાં આવ્યું કે, આસ્થાનો સવાલ છે. કોર્ટ નિર્ણય નહીં લઈ શકે.

  1 એપ્રિલ, 1989: વિહિપે ધર્મસંસદ બોલાવી. 30 સપ્ટેમ્બરનાં રોજ પ્રસ્તાવિત મંદિરનાં શિલાન્યાસની ઘોષણા કરવામાં આવી.

   ઓગષ્ટ 14, 1989: હાઈકોર્ટનાં આદેશથી યથાસ્થિતિને યથાવત રાખવામાં આવી

   ઓક્ટોબર - નવેમ્બર, 1989: મંદિર નિર્માણ માટે દેશભરમાંથી સાડા ત્રણ લાખ રામશીલાઓ અયોધ્યા પહોંચી.

   9 નવેમ્બર, 1989: રામ મંદિરનો શિલાન્યાસ પ્રસ્તાવિત મંદિરનાં સિંહદ્વાર પર થયો.

    ફેબ્રુઆરી, 1990: કારસેવાની ઘોષણા.

   જૂન, 1990: વીએચપીની બેઠકમાં 30 ઓક્ટોબરથી મંદિર નિર્માણ કાર્ય શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી.

   25 સપ્ટેમ્બર, 1990: લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા સોમનાથથી અયોધ્યા સુધી શરૂ થઈ.

   30 ઓક્ટોબર - 2 નવેમ્બર, 1990: કારસેવકો લાખોની સંખ્યામાં અયોધ્યા પહોંચ્યા. મુલાયમસિંહની સરકારે ગોળીબાર કર્યો. 40થી વધુ કારસેવકો માર્યા ગયા.

   7-10 ઓક્ટોબર, 1991: કલ્યાણસિંહની સરકારે 2.77 એકર વિવાદિત જમીન સંપાદિત કરી.

   6 ડિસેમ્બર, 1992: બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી

   એપ્રિલ, 2002: હાઈકોર્ટની ત્રણ સભ્યોની ખંડપીઠે વિવાદિત સ્થળ પર કોનો અધિકાર છે તે અંગે સુનાવણી શરૂ કરી.

   2003: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને ખોદકામ કરવા સૂચના આપવામાં આવી.

 જુલાઈ, 2005: વિવાદિત સ્થળ પર આતંકવાદી હુમલો. સુરક્ષાદળોએ પાંચ આતંકીઓને ઠાર કર્યા.

   જૂન, 2009: લિબ્રાહન કમિશને બાબરી વિધ્વંસ અંગેનો અહેવાલ સરકારને સોંપ્યો.

   2010: અલ્હાબાદ હાઈકોર્ટે ચૂકાદો આપ્યો. વિવાદિત સ્થળને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવ્યો.

   મે, 2011: સુપ્રીમ કોર્ટે આ આદેશ પર સ્ટે આપ્યો. યથાવત સ્થિતિ જાળવવાનું કહ્યું.

   21 માર્ચ, 2017: સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલો સંવેદનશીલ છે. સમાધાન અદાલતની બહાર થવું જોઈએ. તેમણે તમામ પક્ષોને અભિપ્રાય રજૂ કરવા અને સમાધાન શોધવા જણાવ્યું.

   14 માર્ચ, 2018: સુપ્રીમ કોર્ટે તમામ 32 હસ્તક્ષેપ અરજીઓને રદ કરી. એ જ પક્ષકારો બચ્યા જે અલ્હાબાદ હાઈકોર્ટનાં નિર્ણયમાં સામેલ હતા.

  ઓગસ્ટ 6, 2019: મધ્યસ્થી પ્રક્રિયા નિષ્ફળ થયા પછી સુપ્રીમ કોર્ટમાં દૈનિક સુનવણી શરૂ થઈ.

  16 ઓક્ટોબર, 2019: સુપ્રીમ કોર્ટે 40 દિવસ સુધી દલીલો સાંભળ્યા બાદ ચૂકાદો અનામત રાખ્યો.

   9 નવેમ્બર, 2019: સુપ્રીમ કોર્ટે બહુપ્રતિક્ષિત નિર્ણય આપ્યો. સમગ્ર વિવાદિત જમીન રામલલાની છે. મંદિર ત્યાં જ બનાવવામાં આવશે. મુસ્લિમ પક્ષને મસ્જિદ માટે અયોધ્યામાં અન્ય સ્થળે 5 એકર જમીન આપવામાં આવશે. (ભવ્ય રાવલનો લેખ સાભાર)

(8:19 pm IST)