Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

અયોધ્યા ચુકાદો : યુપી- દિલ્હી અને એમપીમાં બંધ રહેશે શાળા કોલેજો

યુપીમાં કલમ ૧૪૪ લાગુ : સુરક્ષાદળોને સ્ટેન્ડ ટુના આદેશ અપાયા

નવી દિલ્હી,તા.૯: કેન્દ્ર સરકારે ટાઇટલ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા અગાઉ તમામ રાજયોને એલર્ટ રહેવાની અને સંવેદનશીલ વિસ્તારોમાં જડબેસલાક સલામતી વ્યવસ્થા રાખવાની સૂચના આપી છે. ગુજરાત સહિત દેશનાં તમામ રાજયોમાં પોલીસ અને અન્ય સુરક્ષા દળોને સ્ટેન્ડ ટુના આદેશ આપી દેવાયા છે. અયોધ્યા સહિત યુપીમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. ઉત્ત્।ર પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજયોમાં તમામ સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. અયોધ્યા સહિત તમામ જિલ્લામાં સુરક્ષાદળોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે અયોધ્યામાં અર્ધલશ્કરી દળોના આશરે ૪,૦૦૦ જવાનોને તૈનાત કરી દીધા છે. તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક સામાન્ય એડવાઇઝરી જારી કરાઇ છે.

ઉત્ત્।ર પ્રદેશની તમામ સ્કૂલ કોલેજ સોમવાર સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.આ અગાઉ, આજે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ ઉત્ત્।ર પ્રદેશના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે કાયદો-વ્યવસ્થા મુદ્દે ચર્ચા કરી હતી. મુખ્ય ન્યાયાધિશે ડીજીપી અને મુખ્ય સચિવને સુરક્ષા મુદ્દે વધારાની જરૂરિયાતો અંગે પુછ્યું હતું.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઉત્ત્।ર પ્રદેશ સહિત દેશનાં તમામ રાજયોને અયોધ્યા ચૂકાદાને ધ્યાનમાં રાખીને તમામ સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા જણાવ્યું છે.

ઉત્ત્।ર પ્રદેશમાં ૧૮ નવેમ્બર સુધી અર્ધસૈનિક દળોની ટૂકડીઓ તૈનાત રહેશે. ૧૨ સંવેદનશીલ જિલ્લામાં RAFના વધારાની ૧૦ કંપનીઓ તૈનાત કરાશે. અયોધ્યામાં ડ્રોન કેમેરાથી સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખવામાં આવી રહી છે. શહેરના તમામ મંદિર અને ધર્મશાળાઓને ખાલી કરાવી દેવાઈ છે. આ ઉપરાંત, શહેરમાં જુદા-જુદા સ્થળોએ ૧૦ અસ્થાયી જેલ પણ બનાવાઈ છે, જેથી ચૂકાદાને ધ્યાનમાં રાખીને જો કોઈ ભીડ અયોધ્યા તરફ આગળ વધવા માગે તો તેને રોકી શકાય. આ સાથે જ લખનઉ મહોત્સવની તારીખ પણ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહ સુધી વધારી દેવાઈ છે.(૨૨.૧૨)

(11:43 am IST)