Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ભગવા રંગમાં રંગી દેવાના પ્રયાસ થયા છે : રજનીકાંત

ભાજપની જાળમાં ફસાસે નહીં : રજનીકાંતનો દાવો : રજનીકાંતના નિવેદનથી ભાજપની ચિંતા વધી શકે : રિપોર્ટ

ચેન્નાઈ, તા. ૮ : તમિળ કવિ અને સંત તિરુવલ્લુવરને ભાજપ દ્વારા ભગવા વસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા બાદ આને લઇને રાજનીતિ તીવ્ર બની ગઈ છે. સુપરસ્ટાર રજનીકાંતે પણ હવે આ મુદ્દાને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે. સામાન્યરીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરનાર રજનીકાંતે આજે કહ્યું હતું કે, ભાજપ દ્વારા લાંબા સમયથી તેમને પણ ભગવા રંગમાં રંગી કાઢવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભાજપ તેમને પણ તિરુવલ્લુવરની જેમ જ ભગવા રંગમાં રંગવા માટે ઇચ્છુક છે પરંતુ તેઓ ભાજપની જાળમાં ફસાવવા ઇચ્છુક નથી. તેમણે કહ્યું હતું કે, તેઓ કઇ પાર્ટીમાં સામેલ થશે તે અંગેનો નિર્ણય તેઓ પોતે કરશે. ભગવા રંગમાં રંગવાના બિનજરૂરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમિળનાડુમાં ૨૦૨૧માં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. આ પહેલા રજનીકાંતના આ વર્તનથી ભાજપની ચિંતા વધી શકે છે. હકીકતમાં ગયા સપ્તાહમાં બેંગકોક યાત્રા દરમિયાન મોદીએ તમિળ કવિ તુરુવલ્લુવર પર એક પુસ્તકનું વિમોચન કર્યું હતું. ત્યારબાદ પાર્ટીની તમિળનાડુ એકમે લોકપ્રિય કવિના ફોટા ટ્વિટ કરીને  ટિકાઓ કરી હતી અને તેમને ભગવા વસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યા હતા.

                 આ ફોટાને લઇને ભાજપ અને સ્ટાલિનના નેતૃત્વવાળી ડીએમકેની વચ્ચે વિવાદની શરૂઆત થઇ ગઇ છે. ભગવાકરણ સાથે જોડાયેલા આ વિવાદમાં હવે રજનીકાંત પણ કુદી ગયા છે. રજનીકાંતે આક્ષેપ કરતા કહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને પણ ભગવા રંગમાં રંગવાના પ્રયાસ કરાયા છે. રજનીકાંતે પોતાના ઘરની બહાર મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, અયોધ્યા મામલામાં જે કંઇ પણ ચુકાદો આવે તે ચુકાદાનું સન્માન થવું જોઇએ. શાંતિ જાળવી રાખવાની જરૂર છે. અયોધ્યા મામલા પર ૧૭મી નવેમ્બર પહેલા ચુકાદો આવી શકે છે જેને લઇને ઉત્તરપ્રદેશમાં એલર્ટ જાહેર કરાયું છે.

(7:33 pm IST)