Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

કમલનાથ સામે શીખ વિરોધી રમખાણ કેસ ફરીથી ખોલાશે

દરખાસ્તને ગૃહમંત્રાલય દ્વારા લીલીઝંડી અપાઈ : મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથની મુશ્કેલી વધી શકે

નવીદિલ્હી, તા. ૯ : એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ સામે ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણ કેસોને ફરી ખોલવા માટેની દરખાસ્તને લીલીઝંડી આપી દેવામાં આવી છે. દિલ્હીના શિરોમણી અકાળી દળના ધારાસભ્ય મન્જિન્દરસિંહ સિરસાએ આજે આ અંગેની માહિતી આપી હતી. અકાળી દળની આ મોટી જીત તરીકે છે. સિરસાએ કહ્યું હતું કે, શીખ દ્વારા  ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણમાં કમલનાથની સંડોવણી માટે તેમની સામે સીટ દ્વારા કેસ ફરી ખોલવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે તેમની રજૂઆત બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા નોટિફિકેશન જારી કરવામાં આવી ચુક્યા છે.

કમલનાથ સામે નવેસરથી પુરાવા પર વિચારણા કરવા અને કેસ નંબર ૬૦૧-૮૪ને ખોલવામાં આવી રહ્યો છે. દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટિના પ્રમુખ સિરસાએ કહ્યુંછે કે, સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા કમલનાથ સામે તપાસ કરવામાં આવી રહી છે. કેસને ફરી ખોલવા બદલ સીટને તેઓ અભિનંદન આપવા ઇચ્છુક છે. કમલનાથને શીખોની હત્યા કરતા જોનાર સાક્ષીઓ પણ આગળ આવવા ઇચ્છુક બન્યા છે. કમલનાથના હિંસાત્મક વર્તન વેળા સાક્ષી રહેલા લોકોને આગળ આવીને સાક્ષી બનવા અપીલ કરવામાં આવી રહી છે. અન્ય ટ્વિટમાં સિરસાએ કહ્યું છે કે, ભયભીત થવાની જરૂર નથી. ટૂંક સમયમાં જ કમલનાથની પણ ધરપકડ કરવામાં આવશે. જે રીતે સજ્જનકુમારની મુશ્કેલી વધી તેવી જ રીતે કમલનાથની પણ હાલત થશે. ત્રણ વખતના કોંગ્રેસી સાંસદ સજ્જનકુમારને ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણ કેસમાં ભૂમિકા બદલ આજીવન કારાવાસની સજા કરવામાં આવી હતી. સિરસાએ કમલનાથને મુખ્યમંત્રી તરીકે રાખવા બદલ કોંગ્રેસની જોરદાર ઝાટકણી કાઢી છે.

(8:01 pm IST)