Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

સ્વસ્થ થયા બાદ દર્દીને એક મહિનામાં બીજીવાર કોરોના

ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાની ઘટના : દર્દીના પગની સર્જરી બીજી વાર મોકૂફ રાખવામાં આવી

 કાનપુર, તા.૯ : ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. અહીં ૪૫ વર્ષીય દર્દી એક મહિનામાં બીજી વાર કોરોના પોઝિટિવ થયો છે. પહેલા કોરોના વાયરસની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવતા દર્દીને ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. જોકે, તેને બીજી વખત ચેપ લાગ્યો હતો. આવી સ્થિતિમાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. કાનપુરની લાલા લાજપત રાય કોવિડ હોસ્પિટલમાં ૪૫ વર્ષીય દર્દીને મહિનામાં બીજી વાર કોરોના વાયરસથી ચેપ લાગ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોરોના વાયરસ નેગેટિવ હોવાના અહેવાલો બાદ દર્દીને ૧૭ જુલાઈએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તે ઘરે સ્વસ્થ હતો. ડોક્ટરોએ જણાવ્યું કે પાછલા અઠવાડિયે આ દર્દીની તબિયત ફરી કથળી હતી. જોકે, ફરીથી કોરોનાનો ટેસ્ટ કરતા ૩ ઓગસ્ટે ફરીથી તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડૉક્ટરો કહે છે કે આ યુપીનો પહેલો કેસ છે જેમાં કોરોનાથી સાજા થયેલા દર્દીને બીજી વખત ચેપ લાગ્યો છે.

             ડોકટરોએ જણાવ્યું કે દર્દીને પહેલા માર્ગ અકસ્માત નડ્યો હતો. જેમાં તેનો પગ તૂટી ગયો હતો. ત્યારબાદને ઓર્થોપેડિક વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની ૩ જુલાઈએ શસ્ત્રક્રિયા થવાની હતી પરંતુ ડૉક્ટરે તેનો કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. ૫ જુલાઈના રોજ તેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, હોસ્પિટલની સારવાર બાદ તે સ્વસ્થ થઈ ગયો હતો અને રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા બાદ ૧૭ જુલાઈએ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ૩ ઓગસ્ટે દર્દીને ફરીથી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. તેની સર્જરી કરાવવી પડી હતી. ડોક્ટરોએ શસ્ત્રક્રિયા પહેલા ફરીથી કોરોના પરીક્ષણ કરાવ્યું હતું અને તે પાછો પોઝિટિવ આવ્યો હતો. ઓર્થોપેડિક વિભાગના એચઓડી સંજય કુમારે કહ્યું કે આ કેસ સ્પોરેડિક હોઈ શકે છે. તેમણે આ અંગે માઇક્રોબાયોલોજી વિભાગને એક પત્ર લખ્યો છે. હાલ દર્દીની સર્જરી મોકૂફ રાખવામાં આવી છે.

(7:47 pm IST)