Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

કેરળ કોઝિકોડે વિમાન દુર્ઘટનામાં પાઇલોટ દિપક સાઠેની યાદો ગુજરાત સાથે જોડાયેલી છે

કચ્છના ભૂકંપ સમયે દિપક સાઠેએ ફરજ બજાવી હતી

કચ્છ :એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Plane crash) ની ફ્લાઈટ દુર્ઘટનામાં માર્યા ગયેલા પાયલટ દીપક વસંત સાઠેના મોત નિપજ્યું હતું. કેરળ (#KozhikodeAirCrash) ના વિમાન અકસ્માતમાં બે પાયલટ સહિત 18 લોકોના મોત નિપજ્યા છે. જેમાં પાયલટ દીપક સાઠે પણ સામેલ હતા. પણ, દીપક સાઠે (captain deepak sathe) નો ગુજરાત સાથે પણ જૂનો નાતો રહ્યો છે. પાયલટ દિપક સાઠેએ ભૂજ એરફોર્સમાં 3 વર્ષ કમાન્ડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવી હતી. છેલ્લા 3 વર્ષ બાદ કચ્છમાં રિટાયર્ડ થયા હતા. ભૂજના હૃદયસમાં હમીરસર સાથે તેઓનું ઋણાનુબંધ રહ્યું હતું.

કેરળ દુર્ઘટનામાં માર્યા ગયેલા પાયલટ દીપક સાઠેના દેશભરમાં વખાણ થઈ રહ્યાં છે. પરંતુ ગુજરાત સાથે તેઓનો સંબંધ ખાસ રહ્યો હતો. ભૂજના એક તબીબ ડેન્ટીસ્ટ હિમાંશુ બડોડિયા સાથે તેઓના મિત્રતાભર્યા સંબંધ રહ્યા હતા. હિમાશું બડોડિયા ભૂજના એરફોર્સમાં સેવા આપવા જતા હતા. ત્યારે દીપક સાઠે સાથે તેઓની મિત્રતા બની હતી. દીપક સાઠેએ પોતાની રિટાયર્ડમેન્ટના અંતિમ ત્રણ વર્ષ ભૂજ એરફોર્સમાં કામ કર્યું હતું. તેઓ 2001 થી 2004 દરમિયાન તેઓ ભૂજમાં હતા. જેના બાદ તેઓ રિટાયર્ડ થયા હતા. રિટાયર્ડમેન્ટ લીધા બાદ તેઓ એર ઈન્ડિયામાં જોડાયા હતા.

ઉમદા હૃદયના દીપક સાઠેએ 2001માં કચ્છ ભૂકંપમાં પણ પોતાની સેવા આપી હતી. સમગ્ર ભૂજમાં તેઓએ બચાવ કામગીરી કરી હતી. જેને ગુજરાત ક્યારેય નહિ ભૂલે. હિમાંશુ બડોડિયા કહે છે કે, દીપક સાઠે સાથે મારે હંમેશા ટેલિફોનિક વાતચીત થતી. તેઓ મને દર વર્ષે ચોમાસાની સીઝનમાં ફોન કરીને માહોલ વિશે પૂછતા હતા. મારા લગ્નમાં પણ તેઓએ હાજરી આપી હતી અને મારા લગ્નમાં નાચ્યા પણ હતા. તેઓએ દીપક નામને સાર્થક કરતી જિંદગી જીવી છે. 169 મુસાફરોના જીવનમાં ઓજસ પાથર્યા છે.

દીપક સાઠે એક ઉત્સાહી અને મિલનસારી વ્યક્તિ હતા. દીપક સાઠેએ હૈદરાબાદ એકેડમીમાંથી ઉડાન ભરવાની તાલીમ લીધી હતી. સાઠેએ જે પણ કર્યું, તે વન ક્લાસનું હતું. તેઓ હંમેશાથી મજબૂતીથી કામ કરતા હતા. પછી તે એનડીએ હોય, વાયુ સેના કે પછી એર ઈન્ડિયા હોય....

(12:08 pm IST)