Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

સંરક્ષણ ક્ષેત્રે ૧૦૧ વસ્તુની આયાત પર રોક લગાવાઈ

ભારતને આત્મનિર્ભર બનાવવા માટે પગલું ભરાયું : વિદેશથી મંગાવાતા ૧૦૧ ઉપકરણો પર રોક લગાવી છે આ સાથે ઘરેલું ઈન્ડસ્ટ્રીને ૪ લાખ કરોડ રુપિયાનો ઓર્ડર

નવી દિલ્હી, તા.૯ : સંરક્ષણ મંત્રાલયે 'આત્મનિર્ભર ભારત' અભિયાનને બૂસ્ટ કરવાની તૈયારી કરી લીધી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કહ્યું છે કે, ૧૦૧ આઈટમ્સનું લિસ્ટ તૈયાર કરાયું છે કે જેની આયાત પર રોક લગાવવામાં આવશે. આ લિસ્ટમાં સામાન્ય પાર્ટ્સ સિવાય હાઈ ટેક્નોલોજી વેપન સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. સિંહના જણાવ્યા પ્રમાણે સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મોટું પગલું છે. તેમણે કહ્યું કે આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પછી લેવાયો છે. આ નિર્ણયથી ભારતની ડિફેન્સ ઈન્ડસ્ટ્રીને મોટા પ્રમાણમાં ઉત્પાદનની તક મળશે. સંરક્ષણ ક્ષેત્રમાં ઘરેલુ ઉત્પાનદનું પ્રોડક્શન વધારવા માટે મંત્રાલય દ્વારા લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જે સેના, પબ્લિક અને પ્રાઈવેટ ઈન્ડસ્ટ્રી સાથે ચર્ચા બાદ તૈયાર કરવામાં આવ્યું છે.

            રાજનાથસિંહે જણાવ્યા પ્રમાણે આવા ઉત્પાદોની લગભગ ૨૬૦ યોજનાઓ માટે ત્રણે સેનાઓએ એપ્રિલ ૨૦૧૫થી ઓગસ્ટ ૨૦૨૦ વચ્ચે લગભગ સાડા ત્રણ લાખ કરોડ રુપિયાના કોન્ટ્રાક્ટ આપ્યા હતા. તેમનું અનુમાન છે કે આગામી ૬-૭ વર્ષમાં ઘરેલુ ઈન્ડસ્ટ્રીને લગભગ ૪ લાખ કરોડ રુપિયાનો ઓર્ડર આપવામાં આવશે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે વાતચીત બાદ વધુ ઉપકરણોના આયાત પર રોક લગાવવામાં આવી શકે છે, તેઓ ૨૦૨૦થી ૨૦૨૪ વચ્ચે લાગુ કરવામાં આવશે.

               ૧૦૧ ઉપકરણોના લિસ્ટમાં આર્મર્ડ ફાઈટિંગ વ્હીકલ્સ, (છહ્લફજ)નો પણ સમાવેશ થાય છે. મંત્રાલયે ૨૦૨૦-૨૧ માટેના બજેટની રકમને ઘરેલુ અને વિદેશી રૂટ માટે વહેંચી દીધી છે. હાલના નાણાકીય વર્ષમાં લગભગ ૫૨,૦૦૦ કરોડ રુપિયાનું અલગ બજેટ તૈયાર કર્યું છે. પૂર્વી લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર તણાવ યથાવત છે. કેટલાક ફ્રિક્શન પોઈન્ટ્સથી ચીની સેના પાછળ હટી છે પરંતુ દેપસાંદ અને પૈંગોંગ ત્સોમાંથી હટવા તૈયાર નથી. બન્ને દેશો વચ્ચે કોર કમાન્ડર લેવલની બેઠક નિષ્ફળ રહ્યા બાદ શનિવારે મેજર-જનરલ સ્તરની ચર્ચા થઈ છે. ભારતે સાફ કહ્યું કે દેપસાંગથી ચીનને પોતાના સૈનિકો પાછા બોલાવવા પડશે.

(7:43 pm IST)