Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

અંતે એસસી-એસટી એક્ટમાં સુધારના બિલને મળેલી મંજુરી

ભેખડો ધસી પડવાના શ્રેણીબદ્ધ બનાવો બન્યા : સુધારાની સાથે હવે સુપ્રીમ કોર્ટ તરફથી આ એક્ટ હેઠળ તરત ધરપકડની જોગવાઈ પર મુકવામાં આવેલો સ્ટે દૂર

નવીદિલ્હી, તા. ૯ : એસસી-એસટી એક્ટમાં સુધારાના બિલને રાજ્યસભાની લીલીઝંડી મળી ગઈ છે. આની સાથે જ હવે સુપ્રીમ કોર્ટ તરફથી આ એક્ટ હેઠળ તાત્કાલિક ધરપકડની જોગવાઈ ઉપર મુકવામાં આવેલા સ્ટેનો પણ અંત આવી ગયો છે. લોકસભામાં આ સુધારા બિલને મંગળવારના દિવસે મંજુરી આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ વર્ષે ૧૯મી મેના દિવસે એસસી-એસટી એક્ટ હેઠળ ફરિયાદ મળ્યા બાદ તાત્કાલિક ધરપકડ ઉપર સ્ટે મુકી દીધો હતો. મોટાપાયે આ કાયદાના વ્યાપક ઉપયોગને લઇને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દેશભરમાં દલિત સમુદાયમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું. દલિત સંગઠનના લોકો હિંસા ઉપર ઉતરી આવ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન તમામ સંગઠનોએ કોર્ટના આ ચુકાદાને ફેરવી કાઢવા સરકારને અપીલ કરવામાં આવી હતી. આ ચુકાદાને દલિતોની સામેના ચુકાદા તરીકે ગણાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. દલિત સમુદાય વચ્ચે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જોરદાર વિરોધ પ્રદર્શનને લઇને ભાજપના સાથી પક્ષોએ પણ સરકાર ઉપર દબાણ લાવ્યું હતું. એટલું જ નહીં. પાર્ટીના દલિત સાંસદોએ પણ જુના એક્ટને લાગૂ કરવા માટે માંગ કરી હતી. ત્યારબાદ ભાજપની લીડરશીપવાળી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદાને બદલી નાંખવા માટે સુધારા બિલ લાવવાનો ફેંસલો કર્યો હતો. આ મામલા ઉપર સુપ્રીમ કોર્ટે ફેર વિચારણા અરજીને ફગાવી દીધી છે. હવે સુધારવામાં આવેલા બિલમાં એવી તમામ જોગવાઈને ફરી સામેલ કરવામાં આવી છે જે જોગવાઈને સુપ્રીમ કોર્ટે પોતાના આદેશથી દૂર કરી દીધી હતી. અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો પર થનાર અત્યાચાર અને તેમની સાથે થતાં ભેદભાવને રોકવાના હેતુથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર અટકાયત ધારા ૧૯૮૯ની રચના કરવામાં આવી હતી. આ હેઠળ આવા લોકોને સમાજમાં એક સમાન દરજ્જો આપવા માટે અનેક જોગવાઈ કરવામાં આવી હતી. તેમના પર થનાર અપરાધોની સુનાવણી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ લોકો પોતાની વાત સ્વતંત્રરીતે રજૂ કરી શકે તે માટે ખાસ જોગવાઈ કરવામાં આવી હતી. આ એક્ટ હેઠળ કોઇની જાતિને આધાર બનાવીને એવા અપમાનિત કરવાને બિનજામીનપાત્ર અપરાધ તરીકે ગણવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યસભામાં એસસી-એસટી એક્ટ સુધારા બિલ પસાર કરવામાં આવ્યા બાદ આને લઇને વિરોધ પ્રદર્શન હવે બિનજરૂરી છે.

(7:44 pm IST)