Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ઝીણાને વડાપ્રધાન બનાવવા મહાત્મા ગાંધીજી ઇચ્છુક હતા પરંતુ નહેરુ ના માન્યા:દલાઈ લામા

મહાત્મા ગાંધીની ઈચ્છા અમલમાં લાવ્યા હોત તો ભારતના ભાગલા પડયા ના હોત ;નહેરુએ આત્મ કેન્દ્રિત વલણ અપનાવ્યું

તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાએ કહ્યું છે કે મોહમ્મદ અલી ઝીણા દેશના ટોચના પદ પર બેસે તેવી મહાત્મા ગાંધીજીની ઈચ્છા હતી પરંતુ જવાહરલાલ નહેરુએ આ વાતનો અસ્વીકાર કર્યો હતો પ્રથમ પ્રધાનમંત્રી બનવા માટે જવાહરલાલ નહેરુએ આત્મ કેન્દ્રિત વલણ અપનાવ્યું હતું. દલાઈ લામાએ દાવો કર્યો છે કે જો મહાત્મા ગાંધી ઝીણાને પ્રથમ પ્રધાનમંત્રી બનાવવાની ઇચ્છાને અમલમાં લાવી શક્યા હોત તો ભારતના ભાગલાં પડ્યા ન હોત. ગોવામાં પ્રબંધ સંસ્થાનના એક કાર્યક્રમને સંબોધિત કરતા 83 વર્ષીય દલાઈ લામાએ આ વાત કહી હતી.

    સાચો નિર્ણય લેવાના સંબંધિત એક વિદ્યાર્થીના સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે મારું માનવું છે કે સામંતી વ્યવસ્થાના બદલે લોકશાહી ઘણી સારી હોય છે. સામંતી વ્યવસ્થામાં કેટલાક લોકોના હાથમાં નિર્ણય લેવાની શક્તિ હોય છે. જે ઘણી ખતરનાક હોય છે. તેમણે કહ્યું હતું કે તમે ભારતની તરફ જોવો. મને લાગે છે કે મહાત્મા ગાંધી ઝીણાને પ્રધાનમંત્રી પદ આપવા ઘણા ઇચ્છુક હતા. પણ પંડિત નહેરુએ તેનો સ્વિકાર કર્યો ન હતો.

    દલાઈ લામાએ કહ્યું હતું કે મને લાગે છે કે પોતાને પ્રધાનમંત્રીના રૂપમાં જોવા પંડિત નહેરુનું આત્મ કેન્દ્રીત વલણ હતું. જો મહાત્મા ગાંધીના વિચારનો સ્વિકાર કર્યો હોત તો ભારત અને પાકિસ્તાન એક હોત. તેમણે કહ્યું હતું કે હું પંડિત નહેરુને ઘણી સારી રીતે જાણતો હતો. તે ઘણા અનુભવી અને બુદ્ધિશાળી વ્યક્તિ હતા પણ ક્યારેક-ક્યારેક ભૂલ થઈ જાય છે.
   જીવનમાં સૌથી મોટા ભયનો સામનો કરવાના સવાલ પર દલાઈ લામાએ એ દિવસને યાદ કર્યો હતો જ્યારે તેમને તેમના સમર્થકો સાથે તિબેટમાંથી નિષ્કાસિત કરી દીધા હતા. તેમણે યાદ કર્યું હતું કે તિબેટ અને ચીન વચ્ચે સમસ્યા વધી રહી હતી. ચીનના અધિકારીઓનું વલણ દિવસેને દિવસે વધારે આક્રમક બની રહ્યું હતું. સ્થિતિને શાંત કરવાના તમામ પ્રયત્નો છતા 17 માર્ચ 1959ની રાત્રે નિર્ણય કર્યો કે અહીં હવે રહીશું નહીં અને અમે નિકળી ગયા હતા.

(12:00 am IST)