Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

અમેરિકામાં થતો જગવિખ્યાત મહોત્સવ ચાલો ગુજરાત ફેઈમ AIANA સંસ્થા દ્વારા આ વર્ષે ફલક વિસ્તરણ

ચાલો ઈન્ડિયા મહોત્સવનું દબદબાભેર એલાન : ત્રિદિવસીય કાર્યક્રમમાં દેશના ટોચના કલાકારો કલાના કામણ પાથરશે

૩૧ ઓગસ્ટ થી ૨ સપ્ટે. સુધી ચાલનારા આ મહોત્સવમાં સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિના થશે દર્શન : દેશ-વિદેશના સેંકડો મહાનુભાવોને અપાયુ નોતરૂ : મોડર્ન ઈન્ડિયાની પણ જોવા મળશે ઝલક : ૩ દિવસ અમેરિકાની ધરતી પર જોવા મળશે મિની ભારત

રાજકોટ : વિદેશની ધરતી ઉપર ભારતીય સંસ્કૃતિ પ્રસરશે. અમેરિકામાં થતો જગવિખ્યાત મહોત્સવ ચાલો ગુજરાત ફેઈમ AIANA સંસ્થા દ્વારા આ વર્ષે ફલક વિસ્તારી ચાલો ઇન્ડિયામ હોત્સવનું દબદબાભેર એલાન કરવામાં આવ્યુ છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિના દર્શન થશે. મોડર્ન ઈન્ડિયાની ઝલક પણ જોવા મળશે. દેશ-વિદેશથી સેંકડો મહાનુભાવોને નિમંત્રણ અપાયુ છે. ભારતના ટોચના કલાકારો આ મહોત્સવમાં કલાના કામણ પાથરશે. મહોત્સવને શાનદાર રીતે રજુ કરવા માટે અમેરિકા અને ભારત ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ વર્ષે ૩૧ ઓગષ્ટ - પહેલી અને બીજી સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ચાલો ઈન્ડિયા મહોત્સવ અમેરીકાના ન્યુજર્સીના એડીશનના એનજે એકસ્પો સેન્ટરમાં ઉજવાશે. વિશ્વની સૌથી મોટી આ વૈશ્વિક ગુજરાતી પરિષદમાં વિશ્વના દરેક દેશોમાંથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સેકડો ભારતીયો પધારશે. જેમણે ગુજરાતીપણાને ગૌરવનો વૈશ્વિક સ્પર્શ કરાવ્યો છે તેવા અનેક નામો  અદ્વેત્મ ના ધ્યાનમંત્ર સાથે યોજાયેલા આ ઉત્સવને માણશે.

ભારત બહાર વસતા બે કરોડ જેટલા ભારતીયોમાં આશરે ૬૫ લાખ જેટલા ગુજરાતીઓ છે. ધન માટે ગુજરાત છોડીને બહાર ગયેલા વતનપ્રેમી ગુજરાતીનું તન ભલે ગુજરાત બહાર રહેતું હોય, પણ મન તો ગુજરાતમાં જ હોય છે.  ચાલો ગુજરાત અને આ વર્ષે ફલક વિસ્તારીને ચાલો ઈન્ડિયા વતન પ્રીતિના શાલીગ્રામ પર ગુજરાતના પ્રેમનો અભિષેક કરવાની મોસમ છે. વિશ્વના ખૂણે ખૂણેથી હૃદયમાં ભારત માટેનો ઉમળકો અને મનમાં ભારતીય સંસ્કૃતિને માણવાનો અભરખો લઈને આ મહોત્સવમાં ભારતીયો આવશે.

અમેરીકામાં તા.૩૧ ઓગષ્ટ અને તા.૧,૨ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ યોજાનાર ચાલો ઈન્ડિયા મહોત્સવનું આમંત્રણ આપવા અકિલા કાર્યાલય ખાતે AIANA સંસ્થાના ભારતના ઓપરેશન હેડ શ્રી પ્રફુલ નાયક આવેલા. તેઓએ જણાવેલ કે આ ત્રણ દિવસીય મહોત્સવમાં વિખ્યાત ગાયક કલાકારો સુદેશ ભોંસલે, સોનુ નિગમ, ઓસમાણ મીર તેમજ વકતા જય વસાવડા તથા બાબા રામદેવ, રાજયસભાના સાંસદ પરીમલભાઈ નથવાણી, તેમજ દેશના ટોચના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેવાની આશા છે. વિખ્યાત અભિનેતા સંજય દત્ત પણ આવે તેવી સંભાવના છે.

આ ત્રિદિવસીય મહોત્સવમાં મ્યુઝીક ફેસ્ટીવલ, ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ફેસ્ટીવલ, આર્ટ એન્ડ કલ્ચર ફેસ્ટીવલ, શોપીંગ ફેસ્ટીવલ એન્ડ એકસ્પો યોજાશે. ભારતીય સંસ્કૃતિને ઝાંખી કરાવતા પહેરવેશ પ્રદર્શિત થશે. કલાકારો પહેરવેશ સાથે કલાના કામણ પાથરશે.

ઉપરોકત તસ્વીરમાં  અકિલા કાર્યાલય ખાતે  અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને અકિલા ન્યુઝ.કોમના એડીટર શ્રી નિમીષભાઈ ગણાત્રાને મહોત્સવનું ખાસ આમંત્રણ પાઠવતા AIANAના શ્રી પ્રફુલ નાયક નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(7:46 pm IST)