Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

મોટાભાગની વસ્તીમાં ડેવલપ થઇ એન્ટિબોડી : આ વર્ષમાં થર્ડ વેવની શકયતા નહીંવત?

જેમને એકવાર કોરોના થઈ ગયો છે તેમને ફરી ચેપ લાગવાની શકયતા પણ નહીંવતઃ કુદરતી રીતે ડેવલપ થયેલા એન્ટિબોડી શરીરમાં લાંબો સમય ટકે છે : પુણેમાં કોરોના થયો હોય તેવા એક હજાર લોકો પર કરાયેલા અભ્યાસમાં જાણવા મળી મહત્વની બાબતઃ એક હજારમાંથી માંડ ૧૩ લોકોને કોરોનાનો ફરી ચેપ લાગ્યો, તે પણ ખૂબ જ હળવો અને દર્દી રિકવર પણ થઈ ગયાઃ કોરોના થયા બાદ છ મહિના પછી પણ શરીરમાં જોવા મળ્યા કોરોના સામે રક્ષણ આપતા એન્ટિબોડી

પુણે, તા.૯: એકવાર કોરોના થઈ ગયા બાદ બીજીવાર તેનો ચેપ લાગવાનું જોખમ કેટલું રહે છે તે અંગે હાલમાં થયેલા સંશોધનમાં એક મહત્વની વાત સામે આવી છે. પુણેની ડી.વાય. પાટીલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના એપિડેમોલોજિસ્ટ્સ અને કોમ્યુનિટી મેડિસિન એકસપર્ટ્સ દ્વારા આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં પુણેના ૧૦૦૦ એવા લોકોને સામેલ કરવામાં આવ્યા હતા કે જેમને કોરોના થયો હતો. આ સર્વે હજુ સુધી કયાંય પ્રસિદ્ઘ નથી થયો.

ગત સપ્ટેમ્બર મહિના અને ત્યારબાદના સમયગાળામાં કોરોના થયો હોય તેવા દર્દીઓ પર આ વર્ષે જૂનમાં સીરો સર્વે દરમિયાન એન્ટિબોડી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે, કુલ ૧૦૮૧ લોકોમાંથી માત્ર ૧૩ લોકોને જ આ નવ મહિનાના ગાળા દરમિયાન ફરી કોરોના થયો હતો. આ હિસાબે ગણીએ તો રિઈન્ફેકશનનું પ્રમાણ માત્ર ૧.૨ ટકા જેટલું થાય છે. બીજી રાહતની વાત એ હતી કે જે ૧૩ લોકોને ફરી કોરોના થયો તેમનામાં તેના લક્ષણો ખૂબ જ હળવા રહ્યા હતા અને તેઓ સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા હતા.

અભ્યાસમાં એવું પણ સામે આવ્યું હતું કે એકવાર કોરોના થઈ ગયા બાદ શરીરમાં બનતા એન્ટિબોડી લાંબા સમય સુધી રહે છે. જેનાથી એકસપર્ટ્સ એવા તારણ પર આવ્યા છે કે ભારત જેવા કોરોનાના ખૂબ જ વધારે કેસ અને ધીમું વેકિસનેશન ધરાવતા દેશમાં જે લોકોને હજુ સુધી કોરોના નથી થયો તેમને રસી આપવામાં પ્રાધાન્ય આપવું જોઈએ. જે લોકોમાં કોરોના સામે લડવાની કુદરતી શકિત હજુ સુધી નથી વિકસી તેમને ઝડપથી રસી આપી તેમને કોરોનાથી બચાવી શકાય છે.

આ રિસર્ચના ટોચના સંશોધક અમિતાવ બેનર્જીના જણાવ્યા અનુસાર, રિસર્ચમાં પ્રાપ્ત થયેલો ડેટા સ્પષ્ટ નિર્દેશ કરે છે કે કોરોનામાંથી સાજા થયેલા લોકો વેકિસન લેવામાં પાછળ રહે. દેશના અન્ય ભાગોમાં પણ કરવામાં આવેલા સીરો સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે ૭૦ ટકા જેટલી વસ્તીમાં એન્ટિબોડી ડેવલપ થઈ ગયા છે. જેથી હજુ સુધી જે ૨૦-૩૦ ટકા લોકોમાં એન્ટિબોડી નથી બન્યા તેમને વેકિસન આપવામાં પ્રાધાન્ય આપવું જોઈએ.

થર્ડ વેવ અંગે પોતાનો મત વ્યકત કરતા ડો. બેનર્જીએ જણાવ્યું હતું કે સેકન્ડ વેવ બાદ સીરોપોઝિટિવિટી લેવલ ૮૦ ટકા જેટલું જોવા મળ્યું છે ત્યારે હાલ તુરંત થર્ડ વેવ આવે તેવી શકયતા દ્યણી ઓછી છે. ખાસ તો આ વર્ષમાં જ થર્ડ વેવ શરુ થાય તેવું હાલ તો નથી લાગી રહ્યું. પુણેમાં થયેલા આ અભ્યાસ પર દિલ્હી AIIMSના કોમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર ડાઙ્ખ. સંજય રાયે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે થયેલા રિસર્ચમાં જે બાબત જાણવા મળી છે તેની સાથે આ રિસર્ચના પરિણામ ખાસ્સા મેળ ખાય છે.

કોવિડ-૧૯ નેશનલ ટાસ્ક ફોર્સના મેમ્બર સંજય પૂજારીના જણઆવ્યા અનુસાર, દુનિયામાં રિઈન્ફેકશનનો જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તે કંઈક આ પ્રકારનો જ છે. જે લોકો કોરોનામાંથી સાજા થઈ ચૂકયા છે તેમને ફરી તેનો ચેપ લાગવાની શકયતા દ્યણી ઓછી છે. જોકે, નવા વેરિયંટના સંદર્ભમાં આ બાબતને સમજવા હજુ વધુ અભ્યાસની જરુર છે. જયાં સુધી વધુ ડેટા ના આવે ત્યાં સુધી જે લોકો કોરોનામાંથી સાજા થઈ ચૂકયા છે તેઓ પણ તમામ ગાઈડલાઈન્સનું પાલન કરે અને જલ્દી વેકિસન પણ લઈ લે.

(3:52 pm IST)