Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

એકશનમાં રેલ્વેમંત્રી : બદલી નાખ્યો કર્મચારીઓનો સમય : હવે બે શિફટમાં થશે કામકાજ

કાર્યભાળ સંભાળતા જ એકશનમાં નવા રેલવે મંત્રી, એ સ્ટાફને લઇને લીધો મોટો નિર્ણય

નવી દિલ્હી,તા. ૯ : મોદી સરકારમાં તાજેતરમાં મોટા બદલાવ થયા છે. જી હા વર્ષ ૨૦૧૪ની સાલ બાદ મોદી મંત્રીમંડળનું બીજી વાર વિસ્તરણ થયું. આ વિસ્તરણમાં અશ્વિની વૈષ્ણવને રેલવે મંત્રાલય સોંપવામાં આવ્યું છે. દેશના નવા રેલવે મંત્રી તરીકે અશ્વિની વૈષ્ણવે કાર્યભાર સંભાળ્યો છે. . કાર્યભાર સાંભળતાની સાથે જ આ મંત્રીએ મોટો નિર્ણય લીધો છે.

રેલવે મંત્રીએ ગઇ કાલે કાર્યભાળ સંભાળતાની સાથે એક નિર્ણય લીધો. કાર્યભાળ સંભાળતાની સાથે તેમણે પોતાના સ્ટાફનો કામ કરવાનો સમય બદલી દીધો છે. જી હા મળેલી જાણકારી અનુસાર રેલવે મંત્રીનો સ્ટાફ હવે ૨ શિફ્ટમાં કામ કરશે. સવારે ૭:૦૦ વાગ્યાથી લઈને રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી આ સ્ટાફ હવે કાર્યરત રહેશે.

ખાનગી અખબારના અહેવાલ અનુસાર રલવે મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ નિર્ણય રેલવે મંત્રીના કાર્યાલયના અધિકારીઓ માટે લેવામાં આવ્યો છે. જો કે આગળ આ નિર્ણયનું વિસ્તરણ થઇ શકે છે. તમને જણાવી દઈએ કે અશ્વિની વૈષ્ણવ આઈએએસ રહી ચૂકયા છે. મોદી સરકારની આ નવી ટીમમાં તેમને આઈટી ખાતા ની જવાબદારી પણ સોંપવામાં આવી છે.

૫૧ વર્ષના અશ્વિની મૂળ રાજસ્થાનના જોધપુરના રહેવાસી છે. આ સાથે જ તેઓ ઓડિશાથી રાજયસભાના સાંસદ છે. અશ્નિની વૈષ્ણવ ૧૯૯૪ બેચના ઓડિશા કેડરના આઈએએસ ઓફિસર હતા. ઉલ્લેખનીય છે કે વૈષ્ણવ વાજપેયી સરકારમાં પણ કામ કરી ચૂકયા છે, ૨૦૦૩માં તેઓ PMOમાં ડેપ્યુટી સેક્રેટરી રહી ચૂકયા છે. પરંતુ થોડા વર્ષો બાદ તેઓએ આઈએએસ પદથી રાજીનામુ આપી દીધુ હતું.

તેમણે સ્કૂલ શિક્ષણ જોધપુરથી કર્યુ છે. સાથે જ તેઓએ ઈલેકટ્રોનિકસ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ઉપરાંત તેઓએ આઈઆઈટી કાનપુરથી MTech, Wharton School of the University of Pennsylvaniaથી MBAની ડીગ્રી પણ મેળવી છે.

મંત્રી વૈષ્ણવે ઓડિશા સરકારમાં કામ કર્યુ છે. તેમજ તેઓએ બાલાસોર અને કટકના કલેકટર તરીકે ફરજ નિભાવી છે. આ ઉપરાંત અટલ બિહારી વાજપેયીની સરકારમાં પીએમોમાં ડેપ્યુટી સેક્રેટરી રહી ચૂકયા છે. તેમજ અટલ બિહારી વાજપેયીના પર્સનલ સેક્રેટરી તરીકે પણ કામ કર્યુ છે.

(10:22 am IST)