Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ઈતિહાસ કહે છે કે ભારત દરેક પડકારમાં જીત્યું છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

બ્રિટનમાં શરૂ થયેલા ઈન્ડિયા ગ્લોબલ વીક ૨૦૨૦ને સંબોધન : ભારત ટેલેન્ટનું પાવર હાઉસ છે, તે વિશ્વના વિકાસ અને ભલાઈમાં યોગદાન આપતું આવ્યું છે અને આપવા ઈચ્છે છે, અમારો દેશ આગળ વધવા ઇચ્છુક

લંડન, તા. : બ્રિટનમાં ગુરુવાથી શરૂ થયેલા ઈન્ડિયા ગ્લોબલ વીક ૨૦૨૦માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત દરેક પડકારમાં જીત્યું હોવાનું ઈતિહાસ કહે છે. આપણે એક તરફ કોરોના સામે લડી રહ્યા છીએ તો બીજી તરફ અર્થવ્યવસ્થાને પણ સંભાળી રહ્યાં છીએ. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે ભારત ટેલેન્ટનું પાવર હાઉસ છે. તે વિશ્વના વિકાસ અને ભલાઈમાં યોગદાન આપતું આવ્યું છે અને આપવા ઈચ્છે છે. અમારો દેશ આગળ વધવા માંગે છે. ભારતીય નેચરલ રિફોર્મર છે. આપણે દરેક પડકારનો સામનો કરીએ છીએ. પછી તે સોશિયલ હોય કે ઈકોનોમિક. આજે આપણે મહામારી સામે પૂરી તાકાતથી લડી રહ્યા છે. પરંતુ અમે પણ ઈચ્છીએ છીએ વિકાસ અને પર્યાવરણની રક્ષા એકસાથે થાય.

            વડાપ્રધાને વધુમાં કહ્યું કે ભારતની ધરતીને માતા કહેવામાં આવે છે. આપણે તેના બાળકો છીએ. અમે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ ઉપર કામ કરી રહ્યા છીએ. તેની સાથે જોડાયેલા દરેક પ્રકારના ફેરફાર કરાયા છે અને તેને આગળ વધારી રહ્યા છીએ. મહામારી દરમિયાન અમે લોકોને સુવિધા આપી. અમે રાહત પેકેજ આપ્યું છે. અમે ઈચ્છીએ છીએ કે એક એક પૈસો જરુરિયાતમંદ સુધી પહોંચે. ટેક્નોલોજી દ્વારા શક્ય થયું છે. અમે લાખો લોકોને રોજગારી પણ આપી રહ્યા છીએ. તેનાથી ગ્રામ્ય વિસ્તારમાં મદદ મળશે. મોદીએ વધુમાં કહ્યું કે અમે ગ્લોબલ કંપનીઓને અપીલ કરીએ છીએ કે તેઓ ભારતમાં રોકાણ માટે આગળ આવે. અહીં પ્રતિભા અને તકનો ખજાનો છે. એગ્રીકલ્ચર સેક્ટરમાં રોકાણની ઘણી સંભાવનાઓ છે. એમએસએમઈમાં સંભાવના છે.

          ડિફેન્સ અને સ્પેસ સેક્ટર પણ અમે રિફોર્મ કર્યા છે. તેનાથી રોજગારીની તક વધશે. ટેક્નોલોજીની બાબતમાં ભારત શક્તિશાહી છે. મુશ્કેલ સમયમાં ફાર્મા સેક્ટરનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે મહામારીથી જાણ થઈ કે ભારતનું ફાર્મા સેક્ટર કેટલું સારું પ્રદર્શન કરી શકે છે. અમે સસ્તી પણ ગુણવત્તાયુક્ત દવા બનાવી શકીએ છીએ. વેક્સીનની બાબતમાં પણ આવું થશે. બાબતમાં અમે યોગદાન આપવા માટે તૈયાર છીએ. તેનાથી વિકાસશીલ દેશને મદદ મળશે. આત્મનિર્ભર ભારતથી માત્ર ઘરેલુ લોકોથી નહીં પરંતુ વિશ્વને મદદ મળશે. મહામારીના સમયમાં અમારા અભિવાદનની રીત નમસ્તેનો વૈશ્વિક કક્ષાએ સ્વીકાર થયો છે. ઈન્ડિયા ગ્લોબલ વીક સમિટ ૨૦૨૦ ત્રણ દિવસ ચાલશે. જેમાં મોદી સરકારના ઘણા મંત્રીઓ પણ તેમાં સામેલ થવાના છે. વિદેશ મંત્રી એસ. જયશંકર, રેલવે એન્ડ કોમર્સ મંત્રી પીયુષ ગોયલ, સિવિલ એવિએશન મંત્રી હરદીપ સિંહ પુરી, આઈટી મંત્રી રવિંશંકર પ્રસાદ અને સ્કિલ ડેવલપમેન્ટ મંત્રી મહેન્દ્ર નાથ પાંડેય ભાગ લેશે.

(7:25 pm IST)