Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ભાજપ સરકાર આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રમાં સરેઆમ નિષ્ફળ : અમર્ત્ય સેન

આરોગ્યના ક્ષેત્રે ભારતની સ્થિતિ બાંગ્લાદેશથી પણ ખરાબ, આજેય દેશમાં શૌચાલયો હાથથી સાફ કરનારા લોકો છે એ અયોગ્ય - સેને કહ્યું 'ભારતીયોએ અનેક મુદ્દે ગૌરવ લેવું જોઈએ, પરંતુ આપણને શરમ આવે એવી પણ અનેક બાબત છે'

 નવી દિલ્હી તા. ૯ : એનડીએ સરકાર ૨૦૧૪માં સત્તામાં આવી એ પછી આરોગ્ય અને શિક્ષણ જેવા પાયાના મુદ્દા પરથી ધ્યાન હટી ગયું છે.

આ ક્ષેત્રે સરકાર ખરાબ રીતે નિષ્ફળ રહી છે. આપણે ખોટી દિશામાં છલાંગો મારી રહ્યા છીએ. નોબલ પુરસ્કાર વિજેતા અર્થશા સ્ત્રી અમર્ત્ય સેને પોતાના નવા પુસ્તક 'અન અનસર્ટન ગ્લોરી : ઈન્ડિયા એન્ડ ઇટ્સ કોન્ટ્રાડિકશન'ની વાત કરતા આ નિવેદન કર્યું હતું. અમર્ત્ય સેને જાણીતા અર્થશાસ્ત્રી જિન ડ્રેઝ સાથે સંયુકત રીતે આ પુસ્તક લખ્યું છે. જોકે, સેને સ્પષ્ટતા કરી હતી કે, દેશમાં ઘણાં ક્ષેત્રની સ્થિતિ ખૂબ જ ખરાબ થઇ ગઇ છે, પરંતુ એનડીએ સરકાર સત્ત્।ામાં આવી એ પહેલાં જ સ્થિતિ બગડવાનું શરૂ થઇ ગયું હતું. ભારત ભલે ઝડપથી વિકસતું અર્થતંત્ર હોય, પરંતુ આપણે અનેક વિરોધાભાસનો સામનો કરી રહ્યા છીએ.

અમર્ત્ય સેને આંકડાકીય માહિતી આપતા કહ્યું હતું કે, વીસ વર્ષ પહેલાં નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ભુતાન જેવા એશિયાના વિકાસશીલ દેશો વચ્ચે ભારતનું સ્થાન બીજા નંબરે હતું. શ્રીલંકા પછી ભારત બીજા નંબરનો સારો દેશ હતો, પરંતુ હવે ભારત બીજા નંબરનો સૌથી ખરાબ દેશ છે. આ યાદીમાં આપણાથી આગળ પાકિસ્તાન છે. પાકિસ્તાનની સમસ્યાઓના કારણે આપણે સૌથી ખરાબ દેશના બિરૂદથી બચી ગયા છીએ. સેને કહ્યું હતું કે, સરકાર ધર્મ અને જાતિગત અસમાનતાઓની પણ અવગણના કરી રહી છે. દેશમાં આજેય શૌચાલયોની હાથથી સફાઈ થતી હોય એવા લોકોનો વર્ગ છે. તેમની માંગો અને જરૂરિયાતો પ્રત્યે સરકાર બેધ્યાન છે.

ભારતીયોએ અનેક બાબતોને લઈને ગૌરવ લેવું જોઈએ, પરંતુ એવી પણ અનેક બાબતો છે જેના કારણે આપણને શરમ આવવી જોઈએ. ભારતમાં આરોગ્યની સ્થિતિ બાંગ્લાદેશ કરતા પણ ખરાબ છે. તેનો અર્થ એ છે કે, આપણે આ ક્ષેત્રે બાંગ્લાદેશ જેટલું પણ ધ્યાન નથી આપી રહ્યા. આ દરમિયાન સેને ભાજપ સરકારને આડેહાથ લેતા કહ્યું હતું કે, સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે હિંદુ ઓળખ આપીને રાજકીય લડાઈ લડી શકાય છે એ માનવું મુશ્કેલ હતું, પરંતુ અત્યારે તસવીર બદલાઈ ગઈ છે. એટલે જ અત્યારે વિપક્ષોની એકતા ખૂબ જ મહત્ત્વની છે. આ નરેન્દ્ર મોદી વિરુદ્ઘ રાહુલ ગાંધીની લડાઈ નથી, પરંતુ આ ભારતની મુશ્કેલીઓ સામેની લડાઈ છે.(૨૧.૮)

(10:16 am IST)