Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

દિવસ ૨૪ કલાકનો નહીં પરંતુ ૨૫ કલાકનો થશે : વૈજ્ઞાનિકોનો દાવો

પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતરમાં ઘટાડો : પહેલા એક દિવસ માત્ર ૧૮.૧૪ કલાકનો જ હતો

નવી દિલ્હી તા. ૯ : સામાન્ય રીતે તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે કાશ દિવસ થોડો લાંબો હોત તો આપણે વધુ સમય સાથે રહી શકયા હોત. હાલમાં જ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આગામી વર્ષોમાં દિવસ ૨૪ કલાકને બદલે ૨૫ કલાકનો થઈ જશે.

ભૂગર્ભશાસ્ત્રીઓનું કહેવું છે કે ચંદ્રમાની ધીમી ગતિને કારણે દિવસ લંબાઈ રહ્યો છે. અબજો વર્ષોથી ચંદ્ર અને ધરતી વચ્ચેનું અંતર ધીરે ધીરે વધી રહ્યું છે. ચંદ્રની ઘૂમવાની ધીમી ગતિને કારણે દિવસ લાંબો થઈ રહ્યો છે.

અંદાજીત ૧.૪ અબજ વર્ષ પહેલા ચંદ્ર અને ધરતી વચ્ચેનું અંદર ઓછું હતું, ત્યારે ધરતી પર એક દિવસ માત્ર ૧૮.૧૪ કલાકનો જ હતો. પરંતુ બંને વચ્ચે વધી રહેલા અંતરને કારણે એક દિવસમાં ૨૪ કલાક થવા લાગ્યા. હજુ પણ ચંદ્ર પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે. રિસર્ચરોનો દાવો છે કે ધરતી પર દિવસ ૨૪ કલાકથી વધીને ૨૫ કલાક થઈ જશે.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ વિસ્કોંસિન-મેડિસનના ભૂગર્ભવૈજ્ઞાનિક સ્ટીફન મેયર્સે પોતાના રિસર્ચમાં આ સંબંધ વિશે જણાવ્યું છે. મેયર્સનું કહેવું છે કે પોતાની ધીમી ગતિને કારણે ચંદ્ર ધરતીથી દૂર થઈ રહ્યો છે, ધરતીની ગતિ પણ ધીમે ધીમે ઘટી રહી છે. કારણે કે અન્ય ગ્રહોની ગતિ પૃથ્વીને પ્રભાવીત કરે છે.

વૈજ્ઞાનિકોના રિસર્ચ મુજબ લાખો વર્ષો બાદ પૃથ્વી અને ચંદ્રની ગતિ અંગે રિસર્ચ કરવાથી ખબર પડી કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર વધી રહ્યું છે. અબજો વર્ષોથી સોલર સિસ્ટમમાં થતા ફેરફારને કારણે ઘરતી પર દિવસની લંબાઈ વધી જાય છે. પૃથ્વી પર એક દિવસ ૨૫ કલાકનો થશે તેના માટે હજુ લાખો વર્ષો રાહ જોવી પડશે.(૨૧.૨)

(10:32 am IST)