Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

રસીના બે ડોઝ લીધા પછી પણ કોરોના થાય તો ગભરાશો નહીઃ નિષ્ણાતો

રસી લેનાર વ્યકિતમાં પુરતા રોગપ્રતિકારક શકિત ડેવલપ થતા ત્રણ મહિના જેટલો સમય લાગે છે

કોલકાતા, તા.૯: જેમણે કોરોના રસીના બન્ને ડોઝ લીધા હોય તેમાના કેટલાક મુઠ્ઠીભર લોકોને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે. પરંતુ એકસપર્ટ્સ ડોકટરોનું માનવું છે કે આવું થાય તો પણ ગભરાઈ જવાની જરુર નથી. વેકસીન તમારી અંદર કોરોના સામે લડવાની ક્ષમતા ઉભી કરે છે તે કોરોનાને સંપૂર્ણ રીતે અટકાવી શકતી નથી. જેમને બે રસી લીધા પછી પણ કોરોના લાગુ પડ્યો છે તેમના પર વાયરસ ગંભીર રીતે હુમલો કરી શકયા નથી, આનું કારણ એ છે કે તેમણે રસી લીધી છે.

હાલ કોરોનાની બીજી લહેરમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને અટકાવવા માટે રસી મોટું હથિયાર બની શકે છે, એકસપર્ટ્સ કહે છે કે રસી વ્યકિતને કોરોના સામે લડવા માટે મદદરુપ થાય છે.

ડોકટર શાંતા દત્ત્। કે જેઓ ICMR-NICED, કોલકાતાના ડિરેકટર છે, તેઓ જણાવે છે કે રસી સાથે એવી કોઈ ગરન્ટી નથી મળતી કે હવે પછી કોરોના નહીં જ થાય. ડોકટર શાંતા જણાવે છે કે, 'રસી લેનાર વ્યકિતમાં પુરતા રોગપ્રતિકારક શકિત ડેવલપ થતા ત્રણ મહિના જેટલો સમય લાગે છે.' તેમણે ઉમેર્યું કે, 'આ માટે જ કોરોનાની રસી લીધા પછી પણ સુરક્ષિત પગલા (માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ) ભરવા જરુરી છે.'

૪૨ વર્ષના લેબ ટેકિનશિયન કે જેમને કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ લીધાના ૧૫ દિવસ પછી કોરોનાનો ચેપ લાગ્યો હતો, આવા બે કેસ પીરલેસ હોસ્પિટલમાં બન્યા હતા. અપોલો હોસ્પિટલમાં પણ આવા બે કેસ બન્યા હતા, રવિન્દ્રનાથ ટાગોર ઈન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયાક સાયન્સ (RTIICS)માં આવો કેસ જોવા મળ્યો છે. મેડિકાના બે ડોકટર પોઝિટિવ આવ્યા પછી હોમ કોરન્ટીન છે.

પીરલેસ હોસ્પિટલના સીઈઓ સુદીપ્તા મિત્રાએ જણાવ્યું કે, 'અમારા ત્યાં આવેલા બે કેસમાંથી કોઈને હોસ્પિટલમાં સારવાર લેવાની જરુર નથી પડી.

હાલ જેમણે બે રસી લઈ લીધી છે તે લોકોમાં રસીની અસર ૭૦% (કોવિશિલ્ડ) અને ૮૦% (કોવેકિસન) જોવા મળી રહી છે. પરંતુ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે, આ અંગે ઈમ્યુનોલોજીસ્ટ અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ બાયોલોજી (IICB), કોલકાતામાં ફરજ બજાવના વૈજ્ઞાનિક દિપ્યામન ગાંગુલી જણાવે છે કે, 'રસીનો બીજો ડોઝ લીધા પછી તેની કેવી અસર રહી છે તે બે મહિના પછી ખબર પડે છે. તેઓ વધુમાં જણાવે છે કે, 'જે ડેટામાં જણાવાયું છે તેના કરતા સામાન્ય જીવનમાં સ્થિતિ વધારે સારી દેખાઈ રહી છે. રસી લીધા પછી કોરોનાનો ચેપ લાગે તેવી સ્થિતિમાં ગંભીરતા ઓછી થઈ જાય છે. રસી લીધા પછી પણ કોરોના થવાના ચાન્સિસ ૨૦%થી ૩૦% છે.

ઈન્ટરનલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ સ્યામાસિસ બંદોપાધ્યાય જણાવે છે કે, આપણે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે મોટી સંખ્યામાં લોકો સુધી રસી પહોંચાડવામાં આવશે તો કોરોનાની બીજી લહેરને કાબૂમાં લઈ શકાશે.

માત્ર બે જ લોકોને કોરોનાની રસી લીધા પછી કોરોનાની સારવાર માટે હોસ્પિટલ જવું પડ્યું છે પરંતુ તેમને ક્રિટિકલ કેર સપોર્ટની જરુર પડી નથી.

હવે કોરોનાને ફેલાતો અટકાવવા માટે લોકોને રસી લેવા માટે આગળ આવવા માટે જણાવવામાં આવી રહ્યું છે. ભારતમાં ૧૬ જાન્યુઆરીએ રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું જેમાં અત્યાર સુધીમાં કુલ ૯,૪૩,૩૪,૨૬૨ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

(4:00 pm IST)