Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ભવિષ્યમાં નેહરુ-ગાંધી પરિવાર સિવાયની પણ કોઈ વ્યક્તિ કોંગ્રેસના પ્રમુખ બની શકે છે :સોનિયા ગાંધી

-પાર્ટી મુશ્કેલીમાં હતી ત્યારે મેં રાજકારણમાં આવવાનો નિર્ણય લીધો હતો

મુંબઈઃ યુપીએનાં ચેરપર્સન સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ભવિષ્યમાં નેહરુ-ગાંધી પરિવાર સિવાયની પણ કોઈ વ્યક્તિ કોંગ્રેસ અધ્યક્ષ બની શકે છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, 2004માં તેમણે મનમોહન સિંહને વડા પ્રધાન બનાવવાનો નિર્ણય લીધો હતો,કારણ કે તેમને લાગતું હતું કે,તેઓ વધુ યોગ્ય સાબિત થશે.

     કોંગ્રેસમાં વંશવાદ અંગે સોનિયાએ અમેરિકન રાજકારણમાં પણ વંશવાદ હોવાનું જણાવતા કહ્યું કે, ‘ક્લિન્ટન અને બુશ પરિવાર તેનું ઉદાહરણ છે.’ આ સિવાય દેશનાં અન્ય રાજ્યોના સ્થાનિક પક્ષોમાં પણ વંશવાદી રાજનીતિ હોવાની તેમણે વાત કરી હતી.

  એક ખાનગી ન્યૂઝ ચેનલની એક કોનક્લેવમાં સોનિયાએ ગાંધી પરિવારથી આગળ કોંગ્રેસ નેતૃત્વ અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું કે, ‘કેમ નહિ? ભવિષ્યમાં આવું થઈ શકે છે.’ શું ગાંધી-નેહરુ પરિવાર સિવાયના કોઈ નેતાના નેતૃત્વમાં કોંગ્રેસ ચાલી શકશે? આ સવાલના જવાબમાં સોનિયા ગાંધીએ કહ્યું કે‘કોંગ્રેસ કાર્યકર્તાઓને આ સવાલ પૂછવો જોઈએ. કોંગ્રેસમાં નેતાઓની પસંદગીની લોકતાંત્રિક પ્રક્રિયાની પરંપાર રહી છે.’

  સોનિયા ગાંધીને જ્યારે પૂછવામાં આવ્યું કે, કોંગ્રેસને મજબૂત રાખવા માટે તેઓ એકમાત્ર કેન્દ્રબિંદુ છે? તો તેમણે કહ્યું કે, ‘આ એક અઘરો પ્રશ્ન છે.’ સોનિયાએ કહ્યું કે, ‘કોંગ્રેસના તમામ કાર્યકર્તા છે, તેમને આ પ્રશ્ન પૂછવો જોઈએ. યુપીએના કાર્યકાળમાં મનમોહન સિંહને બદલે પોતે જ સત્તાનું સૂત્ર હાથમાં રાખવાના સવાલ પર સોનિયાએ કહ્યું કે, ‘હું નથી વિચારતી કે, એવી પરિસ્થિતિઓ હતી.’

    ખુદ વડાં પ્રધાન ન બનવાના સવાલ પર સોનિયાએ કહ્યું કે, ‘મને લાગતું હતું કે, મનમોહન સિંહ વડા પ્રધાન તરીકે વધુ યોગ્ય હતા.’ સોનિયાએ કહ્યું કે, ‘હું જાણતી હતી કે મારી નબળાઈઓ શી છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી મુશ્કેલીમાં હતી ત્યારે મેં રાજકારણમાં આવવાનો નિર્ણય લીધો હતો

(1:30 am IST)