Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ઇ-વે બિલ્સના નિયમોમાં સુધારાઃ એપ્રિલથી રાહત મળશે

ગુડ્ઝની હેરાફેરીને સરળ બનાવવા માટે સરકારે ઇ-વે નિયમોમાં ફેરફાર કર્યા

નવી દિલ્હી તા. ૯ : ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ વ્યવસ્થા હેઠળ ગૂડ્ઝની હેરાફેરીને વધારે સરળ બનાવવા માટે સરકારે ઇ-વે રુલ્સમાં થોડા ફેરફાર કર્યા છે, નાના બિઝનેસ, એફએમસીજી કંપનીઓ તથા કુરિયર અને ઇ-કોમર્સ કંપનીઓને વધારે રાહત આપવામાં આવી છે.

નવા નિયમ હેઠળ ગૂડ્ઝની હેરફેર રાજયની અંદર જ કરવામાં આવનાર હોય તો કન્સાઇનમેન્ટનું કુલ મૂલ્ય રૂ. ૫૦,૦૦૦થી વધારે હોય પરંતુ વ્યકિતગત કન્સાઇનમેન્ટનું મૂલ્ય રૂ. ૫૦,૦૦૦થી ઓછું હોય તો ઇ-વે બિલની કોઈ જરૂરિયાત રહેશે નહીં, આના કારણે ઇ-કોમર્સ અને કુરિયર કંપનીઓને રાહત આપવામાં આવી છે જેઓ ડિલિવરી માટે વધારે પેકેજની હેરફેર કરે છે.

બન્નેને રાહત આપવામાં આવે અને ટેકસેબલ ગૂડ્ઝની હેરાફેરી થાય તો ફકત કરપાત્ર સપ્લાયના મૂલ્યને જ ઇ-વે બિલ જનરેટ કરવા માટેના હેતુ માટે ગણવામાં આવશે. આના કારણે ઉદ્યોગને ખાસ કરીને એફએમસીજી કંપનીઓને કે જેઓ તમામ પ્રકારના ગૂડ્ઝની હેરફેર કરે છે તેમને વધારે રાહત મળશે.

ઇ-વે બિલ આગામી પહેલી એપ્રિલથી લાગુ કરવામાં આવે તેવી દરખાસ્ત છે. ઇ-વે બિલ હેરફેર કરવામાં આવતાં માલસામાનની માહિતી છે અને તેને કરચોરીને ટાળવા માટે મહત્ત્વપૂર્ણ બાબત તરીકે જોવામાં આવે છે.

તેને ઇન્ટર સ્ટેટ સપ્લાયીઝ માટે પહેલી ફેબ્રુઆરીથી બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ સિસ્ટમના પ્રશ્નોના કારણે તેને મોકૂફ રાખવામાં આવ્યું હતું. જીએસટી કાઉન્સિલ આ મુદ્દે ૧૦ માર્ચના રોજ નિર્ણય કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

પીડબલ્યુસી ખાતે ઈનડાયરેકટ ટેકસના પાર્ટનર અને લીડર પ્રતીક જૈને જણાવ્યું હતું કે, આ ફેરફારો સાથે ઇ-વે બિલના નિયમો અગાઉની સરખામણીએ વધારે સરળ થયા છે. ફેરફારો કરવામાં ઝડપ દર્શાવે છે કે તાજેતરમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો તે પ્રમાણે સરકાર પહેલી એપ્રિલથી ઇ-વે સિસ્ટમનો અમલ કરવા આતુર છે.

રેલવે દ્વારા ડિલિવરીના સમયે ઇ-વે બિલને ફરજિયાત કરવામાં આવ્યું હતું તથા ગૂડ્ઝના ઇન્ટર-સ્ટેટ મૂવમેન્ટના સંજોગોમાં જોબ વર્કર્સ પણ ઇ-વે બિલ જનરેટ કરી શકે છે. ૧૦ કિલોમીટરના અંતરમાં રાજયની અંદર માલની હેરફેર કરવાની હોય તો ઇ-વે બિલની જરૂરિયાત હોતી નથી. આ અંતરને હવે વધારીને ૫૦ કિલોમીટર કરવામાં આવ્યું છે જેથી નાના બિઝનેસિસને મદદ મળશે.

(11:28 am IST)