Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

કેમ કુંવારા રહી ગયા વાજપેયી, રતન તાતા, સલમાન અને રાહુલ ગાંધી?

એકલા રહેવાનું શું છે કારણ?

નવી દિલ્હી તા. ૯ : ભારતના ઘણા જાણીતા ચહેરા છે, જે પોતપોતાના ક્ષેત્રમાં ઉમદા કાર્ય કરી લોકો વચ્ચે પોતાની ઓળખ બનાવી ચૂકયા છે. તેઓ તેમના કામથી જ નહિ, પોતાના વિચારોને કારણે પણ લોકોની પસંદ બન્યા છે. પછી તે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હોય કે બિઝનેસમેન રતન તાતા, બોલિવૂડ સ્ટાર સલમાન ખાન હોય કે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી. આ તમામ ચહેરા પોતપોતાના ક્ષેત્રમાં જાણીતા છે, પરંતુ કેટલાંક કારણોને લીધે તેઓ આજદિન સુધી કુંવારા છે. આવો જાણીએ તેમના એકલા રહેવાનું શું છે કારણ?

ભારતીય રાજકારણના ઇતિહાસમાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને એક કુશળ રાજનેતા, ભાષાવિદ, કવિ અને પત્રકાર તરીકે ઓળખવામાં આવે છે. તેઓ એક એવા નેતા રહ્યા છે, જેમને દેશવાસીઓની સાથે સાથે દરેક પાર્ટીના લોકો પસંદ કરે છે. જોકે તેમણે કયારેય લગ્ન કર્યાં નહિ. રાજકીય સેવાનું વ્રત લેવાને કારણે તેઓ આજીવન અપરિણીત રહ્યા. તેમણે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) માટે આજીવન અપરિણીત રહેવાનો નિર્ણય કર્યો હતો.

વાત બાળકોના પ્રિય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની કરીએ તો તેમણે તેમના વિચારોને કારણે લોકોનાં હૃદયમાં સ્થાન મેળવ્યું છે. તેઓ એક જાણીતા વિજ્ઞાની તો હતા જ, પણ પોતાના મૃદુ સ્વભાવને કારણે તેઓ લોકોના મનપસંદ હતા. એક પુસ્તકમાં તેમણે લગ્ન નહિ કરવાના કારણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જો તેમણે લગ્ન કર્યા હોત તો કદાચ આનાથી અડધી પણ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકયા ન હોત. તેઓ તેમના કર્મને સૌથી ઉપર રાખતા હતા.

બોલિવૂડ એકટર સલમાન ખાન ભારતનો મોસ્ટ એલિજિબલ બેચરલ મનાય છે. તેની સાથે લગ્ન કરવા માટે ઘણી યુવતીઓ તૈયાર હશે, પરંતુ સલમાન હજી પણ કુંવારો છે. તેનું કારણ છે તેનો બિઝી શેડ્યુલ. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, ભારતમાં માતાપિતા સંતાનોના ૩૦ વર્ષની ઉંમર પહેલાં જ લગ્ન કરાવી દે છે, પરંતુ તે લગ્ન ન કરી શકયો. તે કહે છે કે, 'જે રીતે હું સતત કામ કરી રહ્યો છું, લગ્નથી દૂર થઈ રહ્યો છું. હવે હું માત્ર બાળકો ઇચ્છું છું.'

જાણીતા ઉદ્યોગપતિ રતન તાતાએ એક ટોક શોમાં કયારેય લગ્ન નહિ કરવાના નિર્ણય વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તે ચાર વાર લગ્ન કરવાની નજીક પહોંચી ગયા હતા, પરંતુ અંતમાં કોઈ ને કોઈ કારણથી ડરી ગયા અને લગ્ન ન કરી શકયા. તેમણે એમ પણ કહ્યું હતું કે, લગ્ન ન કરવાનો તેમનો કોઈ પસ્તાવો નથી.

પિતાના નિધન બાદ રાજકારણમાં ડગ માંડનારા કોંગ્રેસ અધ્યક્ષ હજી કુંવારા છે. બોકસર વિજેન્દ્ર સિંહે જયારે રાહુલ ગાંધીને ૨૦૧૭માં પીએચડી ચેમ્બર ઓફ કોમર્સના ૧૧૨મા સત્રમાં પૂછ્યું હતું કે, તેમણે લગ્ન કેમ નથી કર્યાં? તો તેમણે જવાબ આપ્યા હતો કે, આ મામલે તેઓ નસીબ પર વિશ્વાસ રાખે છે. વિજેન્દ્રે કહ્યું હતું કે, તેના ગામમાં લોકો પૂછે છે કે, 'રાહુલ ભૈયા કબ શાદી કરેંગે?' જોકે રાહુલ ગાંધીએ સવાલ ટાળી દીધો હતો અને કહ્યું હતું કે, આ ખૂબ જૂનો સવાલ છે. જયારે વિજેન્દ્ર અને ઓડિયન્સે જવાબ આપવા માટે દબાણ કર્યું તો, રાહુલે કહ્યું કે, 'હું નસીબમાં વિશ્વાસ ધરાવું છું, જયારે થવાના હશે ત્યારે થઈ જશે.'

બોલિવૂડમાં 'ઝંકાર બીટ્સ', 'મિસ્ટર એન્ડ મિસીસ અય્યર'અને 'શાદી કે સાઇડ ઇફેકટ્સ'જેવી ફિલ્મો કરનારો એકટર રાહુલ બોસ કુંવારો છે. તેણે લગ્ન ન કરવાના નિર્ણય પર કહ્યું છે કે, 'હું ખૂબ કદરૂપો છું. કોઈ છોકરી નથી. છોકરી શોધવા માટે મારે વધુ ને વધુ પૈસાદાર બનવું પડશે.'(૨૧.૭)

(9:56 am IST)