Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

નોટબંધીનો હનિમૂન પિરિયડ પૂરોઃ હોમ-ઓટો લોન હવે મોંઘી થશે

તમામ પ્રકારની લોન મોંઘી થઇ શકેઃ તમામ બેંકોમાં વધશે ધિરાણઃ ડિપોઝીટ અને લોન બંનેના રેટ વધે શકે

મુંબઇ તા. ૯ : હોમ લોન અને કાર લોનના નીચા દરનો લાભ ટૂંક સમયમાં પૂરો થાય તેવી શકયતા છે. બેન્કો પોતાનું માર્જિન જાળવવા માટે માર્ચ અથવા એપ્રિલથી જ હોમ અને ઓટો લોનના દર વધારવા માટે વિચારે છે. છેલ્લા કેટલાક મહિનામાં બોન્ડ યીલ્ડ લગભગ ૧૦૦ બેસિસ પોઇન્ટથી વધારે વધી છે જેથી બેન્કો માટે ડિપોઝિટ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવાનું મોંઘું બન્યું છે. એટલું જ નહીં માર્કેટમાં ઋણ લેવાનું વધુ ને વધુ ખર્ચાળ બનતું જાય છે.

હાઈ રેટ ધરાવતી કંપનીઓ પણ ફંડ માટે બેન્કો પાસે દોડી ગઈ હોવાથી રેટ વધારવાનું કામ સરળ થયું છે. બુધવારે એચડીએફસી બેન્કે તેનું માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ આધારિત લેન્ડિંગ રેટ (એમસીએલઆર)માં તમામ સમયગાળા માટે ૧૦ બેસિસ પોઇન્ટનો વધારો કર્યો હતો. તે દર્શાવે છે કે બેન્કોમાં ધિરાણદર વધવાના છે.

એચડીએફસી બેન્ક તેની હરીફ બેન્કો એકિસસ, કોટક મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ અને યસ બેન્કને અનુસરી છે જેણે તમામે એમસીએલઆર રેટમાં પાંચથી ૧૦ બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. હાલમાં ૧૦ વર્ષની યીલ્ડ વચ્ચેનો તફાવત લગભગ ૭.૫ ટકા છે અને અત્યારે એસબીઆઇના હોમ લોનના દર ૮.૩ ટકા છે જે ચાર વર્ષથી વધુ ગાળામાં સૌથી નીચે છે.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ગ્રૂપ ચીફ ઇકોનોમિક એડ્વાઇઝર સૌમ્ય કાંતિ ઘોષે કહ્યું કે, આવી યીલ્ડથી સરકારના બોરોઇંગ ખર્ચમાં વધારો થશે અને તે નાણાકીય નીતિને અનુસરે છે. તેનાથી એમસીએલઆર રેટ ઊંચકાવાનું દબાણ વધશે. ધિરાણકારોએ બલ્ક ડિપોઝિટના રેટ વધારવાનું શરૂ કર્યું ત્યારથી જ અંદાજ મળી ગયો હતો કે વ્યાજદર વધવાના છે.

એસબીઆઇએ તેમાં આગેવાની લીધી હતી અને એક કરોડથી મોટી ડિપોઝિટ માટે એક વર્ષના વ્યાજદર બે ટકા વધારીને ૬.૨૫ ટકા કર્યા હતા. રિઝર્વ બેન્કના ડેટા પ્રમાણે બેન્ક લોન વાર્ષિક ધોરણે ૧૧.૧ ટકા વધી હતી જે ડિપોઝિટ રેટમાં ૪.૫ ટકાની વૃદ્ઘિ કરતાં વધુ હતી.

એચડીએફસી બેન્કના ડેપ્યુટી મેનેજિંગ ડિરેકટર પરેશ સુકતાંકરે ગયા મહિને જ સંકેત આપ્યા હતા કે વ્યાજના દર વધવાના છે. તેમણે કહ્યું હતું કે, તરલતાની સ્થિતિને ધ્યાનમાં લેતાં તથા સિસ્ટમ લેવલ લોન ગ્રોથ પણ ડિપોઝિટ ગ્રોથ કરતાં વધુ છે તેને ધ્યાનમાં રાખતાં મને લાગે છે કે રેટમાં અમુક સમય માટે સ્થિરતા આવી શકે અથવા ડિપોઝિટ અને ધિરાણદર બંને વધી શકે છે.પરંતુ નિષ્ણાતો કહે છે કે બેન્કના બેઝ રેટને માર્જિનલ કોસ્ટ ફંડ્સ આધારિત લેન્ડિંગ રેટ સાથે જોડવાની રિઝર્વ બેન્કની તાજેતરની હિલચાલ અયોગ્ય સમયે આવી છે જયારે ચાર વર્ષના ગાળા પછી વ્યાજના દર ફરીથી વધી રહ્યા છે. ખાસ કરીને જયારે માર્કેટ લીડર એસબીઆઇએ એમસીએલઆર નથી વધાર્યું પરંતુ ગયા મહિને બેઝ રેટમાં ૩૦ બેસિસ પોઇન્ટનો વધારો કર્યો હતો.(૨૧.૨૬)

(4:23 pm IST)