Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

પ્રયાગરાજમાં આજથી માઘ મેળો શરૂ : શ્રદ્ધાળુ સુસજ્જ

પવિત્ર સ્નાનની પ્રક્રિયાને લઇ યોગી સરકાર તૈયાર : કુંભની જેમ પ્રયાગરાજમાં માઘ મેળાને સફળ રીતે પાર પાડવાની યોગી સરકારની તૈયારી : સઘન સુરક્ષા વ્યવસ્થા

પ્રયાગરાજ, તા. ૯ : ઉત્તરપ્રદેશમાં સંગમનગરી પ્રયાગરાજમાં માઘ મેળાને લઇને તમામ તૈયારીઓ કરીલેવામાં આવી છે. ૨૦૨૦માં આવતીકાલે આની શરૂઆત થતાં શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ઉત્તરપ્રદેશની યોગી સરકાર અને કુંભ મેળાની જેમ સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ કરી ચુકી છે. માઘ મેળાની શરૂઆત થયા બાદ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચનાર છે જેથી તંત્રએ તમામ તૈયારીઓ કરી છે. માઘ મેળામાં મુખ્ય સ્નાન પર્વ પર નજર રાખવા માટે મેજિસ્ટ્રેટની તૈનાતી કરવામાં આવી છે. આ વખતે કુંભમેળામાં કરવામાં આવેલી તૈયારીઓ અને આયોજનને લઇને તમામ શ્રદ્ધાળુઓ ખુબ જ પ્રભાવિત થયા હતા.

        વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ કુંભ મેળામાં પવિત્ર સ્નાન માટે પહોંચ્યા હતા. કુંભમાં સાફસફાઈને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવ્યા બાદ માઘ મેળામાં પણ આવી તમામ તૈયારીઓ કરવામાં આવી છે. સંગમનગરી પ્રયાગરાજમાં માઘ મેળાને સફળ બનાવવા યોગી સરકાર સંપૂર્ણ સજ્જ દેખાઈ રહી છે. કોઇપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે પણ યોગી સરકાર દ્વારા પગલા લેવામાં આવ્યા છે. પ્રજાસત્તાક દિવસ આડે વધારે સમય રહ્યો નથી ત્યારે માઘ મેળાને લઇને પણ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. જુદા જુદા ઘાટ ઉપર તૈયારીઓ કરી લેવાઈ છે.

(9:52 pm IST)