Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

૧૦ હજારના સત્તાવાર કોરોના મૃત્યુઆંક સામે વળતર મેળવવા ૧૨ હજાર અરજી

રાજય સરકારની પોલ ખુલી! ગુજરાતમાં કોરોનાના કારણે ૧૦,૦૯૫ લોકોએ જીવ ગુમાવ્યો હોવાનો સત્તાવાર આંકડો જાહેર કરાયો : ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, અત્યાર સુધીમાં તેમને અંદાજે ૧૨,૭૧૮ પરિવારો તરફથી અરજી મળી છેઃ જેમાંથી ૬,૫૧૫ અરજીઓ સ્વીકારી છે અને વળતર ચૂકવ્યું છે

નવી દિલ્હી, તા.૮: કોરોનાના કારણે મૃત્યુ પામનારા દર્દીઓના સ્વજનોને વળતર ચૂકવવાનું કામ સરકાર કરી રહી છે. સોમવારે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, અત્યાર સુધીમાં તેમને અંદાજે ૧૨,૭૧૮ પરિવારો તરફથી અરજી મળી છે. જેમાંથી ૬,૫૧૫ અરજીઓ સ્વીકારી છે અને વળતર ચૂકવી દીધું છે. આ સાથે જ રાજય સરકારે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી કે, તેઓ બાકીના અરજદારોને ૧૦ ડિસેમ્બર સુધીમાં આર્થિક સહાય ચૂકવી દેશે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં આ તારીખે જ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ગુજરાતમાં કોરોનાના કારણે ૧૦,૦૯૫ લોકોએ જીવ ગુમાવ્યો હોવાનો સત્તાવાર આંકડો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. સરકારના આંકડાથી ૨,૬૨૩ વધુ અરજીઓ કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારોએ કરી છે. કોરોના વળતરનો મુદ્દો ચર્ચાસ્પદ રહ્યો છે. નિષ્ણાતોના મતે, રાજયમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો સાચો આંકડો અપેક્ષિત અંક કરતાં ખૂબ વધારે હોઈ શકે છે. જેના કારણે, ૫૦,૦૦૦ રૂપિયા વળતર લેવા આવનારા પરિવારોની સંખ્યા પણ વધી શકે છે.

શહેરના એપિડેમિયોલોજીસ્ટે કહ્યું, આનું સીધું કારણ એ જ છે કે, રાજયમાં કોરોના મૃતકોમાં માત્ર એવા દર્દીઓનો સમાવેશ કરાયો છે જેઓ સંક્રમિત થયા ત્યારે તેમને અન્ય કોઈ બીમારી નહોતી. ત્ઘ્પ્ય્ની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને કોરોનાથી થયેલા મોત નક્કી કરવામાં આવ્યા છે. અન્ય દર્દીઓના મોતનું કારણ હૃદય બંધ થઈ જવું, રેસ્પિરેટરી ઈન્ફેકશન, રીનલ ફેલ્યોર, મલ્ટી-ઓર્ગન ફેલ્યોર વગેરે ગણવામાં આવ્યું છે. મૃતકોનો સાચો આંકડો તો સત્ત્।ાધીશોને સોંપાયેલી અરજીઓના વિશ્લેષણ બાદ જ સામે આવી શકે છે.

સત્તાવાર આંકડા પ્રમાણે, સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં નોંધાયા હતા. અમદાવાદમાં કોરોનાના કારણે ૩,૪૧૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યાર બાદ ૧,૯૫૭ મૃત્યુ સાથે સુરત બીજા ક્રમે છે. વડોદરામાં ૭૮૮ અને રાજકોટમાં ૭૨૬ લોકો કોરોના સામેની જંગ હારી ગયા હતા.

ભૂતકાળમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોનાથી થયેલા મોતનો આંકડો છુપાવાનો કે ઓછો આંકવાનો દાવો નકાર્યો હતો. અગાઉ રૂપાણીએ કહ્યું હતું કે, કોરોનાના મૃત્યુની નોંધણી કરવાની પદ્ઘતિ ICMR દ્વારા જ સૂચવેલી છે અને ગુજરાત સહિતના તમામ રાજયો તેનું પાલન કરે છે. કોરોના સંક્રમિત થયેલા વ્યકિતને અન્ય કોઈ બીમારી હોય અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હોય તો અન્ય રાજયો પણ તેની નોંધણી કોરોનાથી મોત તરીકે કરતાં નથી.

કોરોના મોતના વળતર ચૂકવવા મામલે ગુજરાત સરકારની નબળી કામગીરી પર સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી હતી. ત્યારે સોમવારે ગુજરાત સરકારે વળતર ચૂકવવાની પ્રક્રિયામાં કરેલા સુધારા અંગે વડી અદાલતને જાણકારી આપી હતી. સુપ્રીમ કોર્ટે રાજય સરકારને આદેશ આપ્યો હતો કે, ડેથ સર્ટિફિકેટમાં લખેલું મૃત્યુનું કારણ જ એકમાત્ર માપદંડ નહીં હોય તેવી જાહેરાત કરવામાં આવે.

જસ્ટિસ એમ.આર. શાહ અને બી.વી. નાગરત્નાની ખંડપીઠે નિર્દેશ આપ્યા હતા કે, ઓનલાઈન પોર્ટલ, સૂચિત કરેલા ફોર્મેટ, દરેક જિલ્લા, મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની ગ્રીવન્સ રિડ્રેસલ કમિટીમાં વ્યાપક પ્રચાર થવો જોઈએ કે, કોરોના મૃતકોના પરિવારજનોને પોઝિટિવ RT-PCR રિપોર્ટ અને ૩૦ દિવસની અંદર મૃત્યુ થયું હશે તો વળતર ચૂકવવામાં આવશે. ડેથ સર્ટિફિકેટમાં દર્શાવાયેલું મૃત્યુનું કારણ વળતર મેળવવા માટેનો એકમાત્ર માપદંડ નહીં હોય. સુપ્રીમ કોર્ટના દબાણ બાદ રાજય સરકારે વળતર ચૂકવવાની પ્રક્રિયામાં ફેરફાર કર્યો હતો.

સુનાવણી દરમિયાન રાજય સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, તેમણે એકસકલુઝિવ ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે અને ૩ ડિસેમ્બરથી તે પબ્લિક ડોમેન પર પણ ઉપલબ્ધ છે.

(10:52 am IST)