Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

હોસ્પિટલેથી પાછા ફરતા દુર્ઘટનામાં માતા-પુત્રનાં મોત

તેલંગણાના પેડ્ડાપલ્લીમાં અકસ્માતની કરુણ ઘટના : સ્કૂટી પર બાળકને લઈ જઈ રહેલાં દંપતીને પાછળથી આવતાં રેતીનાં ડમ્પરે ટક્કર મારતાં માતા-પુત્રનાં મોત

પેડ્ડાપલ્લી , તા.૮ : અકસ્માતની ઘટનાઓ રોજેરોજ બનતી રહે છે ત્યારે અકસ્માતમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો પણ આવતો હોય છે. અકસ્માતની એક કરુણ ઘટના તેલંગણાના પેડ્ડાપલ્લીમાં બની હતી. અહીં એક પતિ પત્ની બીમાર બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. જોકે, હોસ્પિટલથી પરત ફરતી વખતે પતિ પત્ની અને બાળકને અકસ્માત નડ્યો હતો. જેના પગલે માતા-પુત્રનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે તેલગાણા રાજ્યના પેડ્ડાપલ્લી જિલ્લાના ગોદાવરીખાની વિસ્તારમાં અનિલ કુમાર અને પત્ની રમ્યા એનટીપીસી અનપૂર્ણા કોલોનીમાં રહે છે. અનિકુમાર સિંચાઈ વિભાગમાં કામ કરે છે. દંપત્તીને બે પુત્રો છે. સૌથી નાનો પુત્ર નિર્વેદચંદ્ર પાંચ મહિનાનો હતો. નાના પુત્રને તાવ આવતો હોવાથી અનિલકુમાર અને રમ્યા તેને ગોદાવરીખાની હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં દવા લઈને સ્કૂટી ઉપર સવાર થઈને ઘરે જતાં હતા. સ્કૂટી રામગુંડમ મ્યુનિસિપલ ઓફિસ પાસે આવેલા ટી જંક્શન પાસે પહોંચી હતી. સ્કૂટી ગોદાવરીખાનીથી એનટીપીસી તરફ જઈ રહી હતી. ત્યારે પાછળથી આવેલા રેતીના ડંમ્પરે ટક્કર મારી હતી. આ સાથે અનિલ કુમાર, રમ્યા અને તેનો નાનો બાળક નીચે પડી ગોય હતો. ત્યારબાદ રમ્યા અને નાના બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને ઘટના સ્થળે માતા-પુત્રએ દમ તોડ્યો હતો.

મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસથી દેશ અને ગુજરાતમાં રોડ અકસ્માતની સંખ્યા સતત વધી છે. તેમાં પણ શહેરી વિસ્તારમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. અમદવાદની વાત કરીએ તો અમદવાદમાં છેલ્લા બે દિવસમાં પાંચ અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે. પ્રથમ ઘટનામાં અમદાવાદમાં શેલા વિસ્તારમાં રહેતા ઇવેન્ટ ઓર્ગેનાઇઝર પત્ની અને પુત્રી સાથે ગોડાઉન જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ટ્રક પાછળ કાર અથડાતાં પત્ની અને પુત્રીના મોત થયા હતા.

બીજી ઘટનામાં શહેરના વ્યસ્ત વિસ્તાર કાગડાપીઠ પાસે એક લોડિંગ રિક્ષાએ ટક્કર મારતા એક્ટિવા સવાર પતિ પત્ની પૈકી પત્નીનું મોત નિપજ્યું હતું. જ્યારે આવી ત્રીજી ઘટનામાં દહેગામ રિંગ રોડ સર્કલથી રણાસણ ટોલટેક્સ તરફના રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં નિકોલમાં રહેતા પ્રૌઢનું મોત થયું હતું.

ત્યારે આવી ચોથી ઘટનામાં જે શહેરમાં વચ્ચોવચ રાયપુર ચાર રસ્તાથી બિગ બજાર રસ્તા પર કામનાથ મહાદેવ મંદિર સામે બની હતી. જેમાં એએમટીએસ બસે ટક્કર મારતાં પ્રૌઢનું મત્યુ નીપજ્યું હતું. એએમટીએસ બસ ટક્કર મારીને નાસી છૂટી હતી. ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં લઈ જતી વખતે રસ્તામાં પ્રૌઢને મૃત જાહેર કરાયા હતા. જ્યારે કણભાથી ઓઢવ આવતા વીકે પેટ્રોલ પમ્પ સામે ડિવાઈડર સાથે એક્ટિવા અથડાતાં એક યુવકનું મૃત્યુ નીપજ્યું છે અને બીજાને ઈજા પહોંચી હતી.

તો વધુ એક અકસ્માતની ઘટનામાં આજે સવારે શહેરમાં મણિનગર વિસ્તારમાં જવાહર ચોક ચાર રસ્તા પાસે અકસ્માતનો બનાવ બન્યો છે. અમદાવાદથી નડિયાદ જતી જી્ બસ નીચે એક્ટિવાચાલક કચડાયો છે. એક્ટિવા આખું બસની નીચે આવી જતાં લોકોએ ભેગા થઈને એક્ટિવાચાલકને બસની નીચેથી ગંભીર હાલતમાં બહાર કાઢ્યો હતો.

(7:10 pm IST)