Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

૫૦૦-૨૦૦૦ની નોટનો ઉપયોગ ભ્રષ્ટાચાર-લાંચ માટે થાય છે : ગાંધીજીની તસ્વીર દૂર કરો : મોદીને અપીલ

કોંગ્રેસના એક ધારાસભ્યએ પીએમને લખ્યો પત્ર

કોટા,તા. ૮ : કોંગ્રેસના એક ધારાસભ્યે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પત્ર લખીને માંગણી કરી છે કે રૂ. ૫૦૦ થી રૂ. ૨૦૦૦ની ચલણી નોટસનો ઉપયોગ ભ્રષ્ટાચારના કેસો અને શરાબના બારમાં થતો હોવાથી આ નોટો પરથી મહાત્મા ગાંધીના ચિત્રને દૂર કરવું જોઇએ.

રાજસ્થાનમાં ભ્રષ્ટાચારનો કેસો તરફ ધ્યાન દોરતા રાજ્યમાં સત્તાધારી પક્ષના ધારાસભ્ય ભરતસિંહે કુંદરનપુરે જણાવ્યુ હતુ કે જાન્યુઆરી ૨૦૧૯થી ડિસેમ્બર ૨૦૨૦ દરમિયાન ભ્રષ્ટાચારના કુલ ૬૧૬ કેસ નોંધાયા છે. આમ દરરોજ સરેરાશ બે કેસ નોંધાયા છે.

બીજી ઓકટોબરે મહાત્મા ગાંધી ૧૫૨મી જન્મજયંતિએ મોદીને લખેલા પત્રમાં સંગોડના ધારાસભ્યે જણાવ્યું હતુ કે માત્ર રૂ.૫, રૂ.૧૦, રૂ.૫૦, રૂ.  ૧૦૦ અને રૂ. ૨૦૦ની નોટો પર ગાંધીની તસવીર રાખવી જોઇએ. કારણે કે આવી નોટોનો ઉપયોગ ગરીબો કરે છે અને ગાંધીજીએ આખુ જીવન વંચિત લોકો માટે કામ કર્યું છે. તેમણે જણાવ્યું હતુ કે મારૂ સુચન છે કે રૂ. ૫૦૦ અને રૂ. ૨૦૦૦ ની કરન્સી નોટ્સમાં ગાંધીજીના ચશ્માનું ચિત્ર રાખી શકાય છે. અશોક ચક્ર પણ આ હેતુ માટે અસરકાર બની શકે છે.

કોંગ્રેસના ધારાસભ્યે જણાવ્યુ હતુ કે છેલ્લા સાડા સાત દાયકામાં દેશમાં વ્યાપક ભ્રષ્ટાચાર ફેલાયો છે. મહાત્મા ગાંધી સત્યના પ્રતિક છે અને તેમના ચિત્ર રૂ.  ૫૦૦ અને રૂ.  ૨૦૦૦ની નોટસનો ઉપયોગ ભ્રષ્ટાચાર અને લાંચ માટે થાય છે, જેથી ગાંધીજીની પ્રતિષ્ઠાને નુકસાન થાય છે.

(10:01 am IST)