Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

સરકારી બેન્કો જંગી બેડ લોનની સમસ્યાનો સામનો કરી રહી છે તેવા સમયે ૭ બેન્કોમાં લીડરની ગેરહાજરીઃ ૩ બેન્કોના CEOની મુદ્દત ઓગસ્ટના મધ્ય ભાગમાં પૂર્ણ થવાની તૈયારીમાં

મુંબઇઃ સાત PSU બેન્કો અત્યારે કેપ્ટનવગર ચાલી રહી છે અને અન્ય ત્રણ CEOની મુદત ઓગસ્ટ મહિનાના મધ્ય ભાગમાં પૂરી થાય છે. સરકારી બેન્કો જંગી બેડ લોનની સમસ્યાનો સામનો કરી રહી છે એવા સમયે લીડરની ગેરહાજરી નુકસાનકારક પુરવાર થઈ શકે.બેન્ક્સ બોર્ડ બ્યૂરોએ PSU બેન્કોમાં CEOના હોદ્દા માટે ૧૪ ઉમેદવારની યાદીની ભલામણ કરી છે, પણ સરકારે ટોચના હોદ્દા માટે બેન્ક એક્ઝિક્યુટિવની નિમણૂકને મંજૂરી આપી નથી. બેન્ક ઓફ બરોડા, સિન્ડિકેટ બેન્ક અને ઇન્ડિયન બેન્ક પણ ટૂંક સમયમાં હેડલેસબનશે.

BoBના CEO પી એસ જયકુમાર, સિન્ડિકેટ બેન્કના મેલ્વિન રેગો અને ઇન્ડિયન બેન્કના કિશોર ખરાટનો કાર્યકાળ ઓગસ્ટના મધ્ય ભાગમાં પૂરો થાય છે. ગયા મહિને સેન્ટ્રલ બેન્કના CEO રાજીવ જોશીની પાંચ વર્ષની મુદત પૂરી થઈ હતી. એવી રીતે કેનરા બેન્કના CEO રાકેશ શર્મા પણ 60 વર્ષની વય નિવૃત્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે, PSU બેન્કના CEOની મહત્તમ વયમર્યાદા 60 વર્ષની છે.

રેગો અને ખરાટ પણ ૬૦ વર્ષની નજીક હોવાથી કદાચ તેમને એક્સ્ટેન્શન નહીં મળે. જોકે, જયકુમારની ઉંમર ૫૬ વર્ષ છે. એટલે તેમને એક્સ્ટેન્શન મળશે કે નહીં એ હજુ સ્પષ્ટ નથી. વધુમાં એરસેલ-મેક્સિસ કેસની FIRમાં રેગો અને ખરાટનાં નામ હોવાથી સરકાર તેમને એક્સ્ટેન્શન ન આપે એવું બની શકે.

બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને અલ્હાબાદ બેન્કના CEOનો હોદ્દો જુદાંજુદાં કારણોને લીધે ખાલી છે. વિવિધ તપાસ એજન્સીની પૂછપરછને કારણે સરકારે બંને બેન્કના CEO આર પી મરાઠે અને ઉષા અનંતસુબ્રમણિયનની સત્તા લઈ લીધી છે.

ઉલ્લેખનીય છે કે, રિયલ એસ્ટેટ કંપની ડી એસ કુલકર્ણી ડિફોલ્ટ થયા પછી મરાઠે અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આર કે ગુપ્તાને મુંબઈ પોલીસે એક સપ્તાહ માટે જેલમાં રાખ્યા હતા. એવી રીતે પંજાબ નેશનલ બેન્ક વિ નીરવ મોદી કેસમાં થયેલી FIRમાં CEO ઉષા અનંતસુબ્રમણિયનનું નામ હોવાથી સરકારે અલ્હાબાદ બેન્કના બોર્ડે તેમની સત્તા પાછી ખેંચી લેવા જણાવ્યું હતું.

હજુ ગુનો સાબિત થયો નથી, પણ સરકારે ઉષા અનંતસુબ્રમણિયન અને PNBના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ કે વી બ્રહ્માજી રાવ અને સંજીવ શરણની સત્તા લઈ લેવાનો નિર્દેશ આપ્યો છે. એપ્રિલ મહિનાથી આંધ્ર બેન્ક, દેના બેન્ક અને પંજાબ એન્ડ સિંધ બેન્કના CEOનો હોદ્દો ખાલી છે. ઉપરાંત, સપ્ટેમ્બરમાં IDBI બેન્કના CEO બી શ્રીરામની મુદત પૂરી થાય છે. ઉપરાંત, યુનાઇટેડ બેન્કના પી કે બજાજ અને યુકો બેન્કના આર કે ઠક્કરનો કાર્યકાળ પણ પૂરો થવાનો છે.

એક બેન્ક એનાલિસ્ટે જણાવ્યું હતું કે, “ગયા નાણાકીય વર્ષથી આ તમામ બેન્કોએ ખોટ કરી છે. સરકારે તાત્કાલિક ધોરણે CEOsની નિમણૂક માટે વિચારવું જોઈએ. જેથી તેમને બેન્કની સમસ્યા દૂર કરવાની જવાબદારી સોંપી શકાય.

(6:59 pm IST)