Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

નરેન્દ્ર મોદીની હત્યા કરી, ભારતમાં ઇસ્લામનો ઝંડો લહેરાવીશું

પાકિસ્તાની આતંકી સંસ્થા જમાત - ઉદ - દાવાની ખુલ્લી ધમકી... :મૌલાના બશીર ખાકી કહે છે, ભારત - ઇઝરાઇલના ટૂકડાં કરી નાખીશું : જુમ્માની નમાઝ બાદ કહ્યું - કાશ્મીરનો જંગ ભારતની બરબાદી માટે છે

નવી દિલ્હી તા. ૮ : પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) માં એક રેલી કરીને જમાત-ઉદ-દાવા (જેયુડી) એ મુસલમાનોને અપીલ કરી છે કે તે રમજાન માસમાં જેહાદ કરે. એટલુ જ નહિ જેયુડીના એક સભ્યએ બેફામ રીતે ધમકી આપતા કહ્યુ છે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરી દેવામાં આવશે. જેયુડી, આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો એક ભાગ છે. મુંબઈ આતંકી હુમલા બાદ જયારે અમેરિકાએ લશ્કર પર પ્રતિબંધ લગાવી દીધો હતો ત્યારે તેણે જેયુડીના નામ પર ચેરીટી ઓર્ગેનાઈઝેશન શરૂ કરી હતી પરંતુ તેનો મુખ્ય હેતુ તો આતંકવાદને આગળ વધારવાનો જ હતો.

જેયુડીના સભ્ય મૌલાના બશીર અહેમદ ખાકીએ શુક્રવારે પીઓકેના પુંછ જિલ્લાના રાવલકોટમાં આ વાત કહી. મૌલાના બશીરે પોતાને લશ્કરના પ્રમુખ હાફિઝ સઈદનો દૂત ગણાવ્યો. તેણે પીઓકેમાંથી ધમકી આપી અને કહ્યુ, 'ભારતના પ્રધાનમંત્રી મોદીને મારી નાખવામાં આવશે અને ઈસ્લામનો ઝંડો ભારત અને અમેરિકામાં લહેરાશે.' વળી, બશીરે કહ્યુ કે ભારત અને અમેરિકા નાના-નાના ટુકડામાં વહેંચાઈ જશે કારણકે અહીંથી વધુમા વધુ શહીદ નીકળશે.

બશીરે જુમ્માની નમાજ બાદ અહીં આવેલા લોકોને કહ્યુ, 'રમજાન જેહાદ-ઉ-કત્લ એટલે કે જેહાદ અને હત્યાનો પવિત્ર મહિનો હોય છે. જેમને જેહાદ કરતાં શહાદત મળે છે તેમના માટે જન્નતના દરવાજા હંમેશા ખુલ્લા રહે છે. તેણે અહીં એમ પણ કહ્યુ કે જેયુડીના આતંકી કાશ્મીરમાં જેહાદને આગળ વધારી રહ્યા છે અને ભારતની સેનાઓ સાથે લડી રહ્યા છે. તેમના જેહાદનો હેતુ કાશ્મીરની આઝાદી અને ભારતની તબાહી માટેનો છે.' વળી, તેણે અહીં કાફિરો માટે જેહાદ શરૂ કરવાની વાત કહી. લશ્કર, કાશ્મીર ઘાટીમાં આતંકીઓ મોકલીને તબાહી મચાવવામાં સતત કાર્યરત છે.

મૌલાના બશીરે પીઓકેના લોકોને કહ્યુ કે તે પોતાના પુત્રોને જેહાદ માટે મોકલે. તેણે કહ્યુ કે રમજાન મહિનામાં લોકોએ જેયુડી અને જેહાદના મુજાહિદ્દીનોને ઘઉં, અનાજ અને કેશ આપવા જોઈએ. એટલુ જ નહિ તેણે મહિલાઓને પણ કહ્યુ કે કાશ્મીરમાં જેહાદ માટે તે પોતાના પુત્રોને મોકલે અને કાશ્મીરમાં જેહાદ કરી રહેલા મુજાહિદ્દીનો માટે કેશ આપે.

(3:28 pm IST)