Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

રાજીવ ગાંધીની જેમ મોદીની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ

ભીમા કોરેગાંવમાં થયેલી હિંસામાં પાંચ લોકોની ધરપકડ બાદ બહાર આવી સનસનીખેજ વિગતો : આરોપીઓના ઘરેથી મળેલા પત્રમાં 'રાજીવ ગાંધીની હત્યા' જેવા પ્લાનીંગનો ઉલ્લેખ : પત્રમાં મોદીને રોડ શોમાં નિશાના પર લેવાનું હતું ષડયંત્ર : ષડયંત્ર પાછળ માઓવાદીઓનો હાથ

નવી દિલ્હી / પૂણે તા. ૮ : ભીમા - કોરેગામમાં જાન્યુઆરીમાં થયેલી હિંસામાં પાંચ લોકોની ધરપકડ બાદ ચોંકાવનારી જાણકારી સામે આવી છે. પૂણે પોલિસને એક આરોપીના ઘરેથી એવો પત્ર મળી આવ્યો છે, જેમાં 'રાજીવ ગાંધીની હત્યા' જેવી પ્લાનિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવાની વાત કહેવામાં આવી છે. પોલીસે બુધવારે રોના જૈકબ, વિલ્સન, સુધીર ઠાવલે, સુરેન્દ્ર ગાડલિંગ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. વિલ્સનની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી, ઠાવલેને મુંબઇથી, ગાડલિંગ, શોમા સેન અને મહેશ રાઉતને નાગપુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલિસનું કહેવું છે કે, આ પત્ર વિલ્સનના દિલ્હીના મુનિરકામાં આવેલ ફલેટમાંથી જપ્ત કરવામાં આવ્યો છે.

પત્રમાં લખવામાં આવ્યું છે, મોદી ૧૫ રાજ્યોમાં ભાજપને સ્થાપિત કરવામાં સફળ થયા છે. જો આવું જ રહેશે તો દરેક મોર્ચો પક્ષ માટે સમસ્યા ઉભી થશે. કોમરેડ કિસન અને કેટલાક અન્ય સિનિયર કોરેડ્સે મોદી રાજને ખત્મ કરવા માટે કેટલાક મજબૂત પગલા ભર્યા છે. અમે દરેક રાજીવ ગાંધી જેવા હત્યાકાંડ પર વિચાર કરી રહ્યા છે. તે આત્મઘાતી જેવું માલુમ હોય છે અને તેની પણ અધિક સંભવાનાઓ છે કે અમે અસફળ રહિશું પરંતુ અમને લાગે છે કે, પક્ષ અમારા પ્રતિાવ પર વિચાર કરે. તેને રોડ શોમાં ટાર્ગેટ કરવા એક અસરકારક રણનીતિ હોય શકે છે. અમને લાગે છે કે, પક્ષનું અસ્તિત્વ કોઇ પણ ત્યાગથી ઉપર છે વધુ આવતા પત્રમાં.

સીપીઆઇના મહાસચિવ સિતારામ યેચુરીએ કહ્યું કે, અત્યાર સુધી તો સુરક્ષા સંસ્થાઓ પોતાનું કામ કરી રહી છે. નેતાઓની સુરક્ષા હાલમાં તેઓ જ કરી રહ્યા છે. બીજી બાજુ મુંબઇ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમે આ મામલે પ્રતિક્રિયા આપીને હું એમ નથી કહી રહ્યો કે તે સંપૂર્ણ રીતે ખોટું છે, પરંતુ તે પીએમ મોદીની જુની યુકિત છે, જ્યારથી તેઓ સીએમ રહ્યા છે ત્યારે તેની પોપ્યુલારીટીમાં ઘટાડો થાય છે, ત્યારે હત્યાના કાવતરા અંગેની ખબરો આવવા લાગી છે.

ઉલ્લેખનીય છે કે, ધરપકડ કરેલા આરોપીઓને ભીમા - કોરેગાવમાં ૧ જાન્યુઆરીએ થયેલી હિંસાના એક દિવસ પહેલા આયોજીત યલગાર પરિષદના મામલે ધરપકડ કરી હતી. તેના પર કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા સાથે જોડાવાનો વિવાદાસ્પદ અને નફરત ફેલાવતા ભાષણ આપવાનો આરોપ છે.

(3:28 pm IST)