Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

શેરબજારમાં તેજી ઉપર ફરી બ્રેક : સેંસેક્સમાં ઘટાડો થયો

સેંસેક્સ ઘટીને હવે ૩૫૪૪૪ની નીચી સપાટીએઃ નિફ્ટી ઘટીને ૧૦૭૬૮ની સપાટીએ રહ્યો : સનફાર્માના શેરમાં આઠ ટકાનો અને ડો. રેડ્ડીમાં પાંચ ટકાનો ઉછાળો

મુંબઇ,તા. ૮: શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૧૯ પોઇન્ટ ઘટીને ૩૫૪૪૪ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી એક પોઇન્ટ ઘટીને ૧૦૭૬૮ની નીચી સપાટીએ રહ્યો હતો. વ્યક્તિગત શેરોમાં સનફાર્માના શેરમાં આઠ ટકાનો ઉછાળો રહ્યો હતો જ્યારે ડો. રેડ્ડીના શેરમાં પાંચ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. સેક્ટરલ  ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ૪.૨૬ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. સનફાર્મા, લ્યુપિન, ડો. રેડ્ડી લેબના શેરમાં જોરદાર ઉછાળો રહ્યો હતો. આરબીઆઈની પોલિસી સમીક્ષામાં વ્યાજદરમાં વધારાને લઇને રોકાણકારો પ્રતિક્રિયા આપી રહ્યા છે. ૨૦૧૪ બાદથી પ્રથમ વખત આરબીઆઈ દ્વારા રેટમાં વધારો કરવામાં આવ્યો છે. એશિયન શેરબજારમાં ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. ચીનના શેરમાં ગાબડા પડ્યા હતા. હેંગસેંગમાં ૧.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. જાપાનના નિક્કી એવરેઝ અને દક્ષિણ કોરિયાના કોસ્પીમાં ક્રમશઃ ૦.૬ અને ૦.૮ ટકાનો ઘટાડો રહ્યો હતો. આરબીઆઇની પોલીસી સમીક્ષા બાદ હાલમાં તેજી રહ્યા બાદ ફરી મંદી આવી છે.  હાલમાં પોલીસી સમીક્ષા જારી કરવામાં આવી હતી. જેમાં વ્યાજદરમાં અથવા તો રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો.  આની સાથે જ રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થઇ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તામાં આવ્યા બાદ એટલે કે સાડા ચાર વર્ષના ગાળામાં રિઝર્વ બેંક દ્વારા પ્રથમ વખત રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. રિવર્સ રેપોરેટ હવે વધારી દેવામાં આવ્યો છે. જો કે, કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) અને એસએલઆરને ક્રમશઃ ૪ અને ૧૯.૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરાયો હતો. એમપીસીએ પોલિસી વલણ તટસ્થ રાખ્યું  હતુ. આ નાણાંકીય વર્ષની આ બીજી એમપીસીની દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા હતી.જાન્યુઆરી ૨૦૧૪માં આરબીઆઈએ છેલ્લી વખતે રેપોરેટમાં વધારો કર્યો હતો અને તે વખતે રેટ આઠ ટકા હતો ત્યારબાદથી રેટને ઘટાડવામાં આવી રહ્યો હતો અથવા તો યથાવત રાખવામાં આવી રહ્યો હતો.ગઇકાલે ગુરૂવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૨૮૪ પોઇન્ટ ઉછળીને ૩૫૪૬૩ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૮૪ પોઇન્ટ ઉછળીને ૧૦૭૬૮ની સપાટીએ રહ્યો હતો.  આરબીઆઈ દ્વારા તટસ્થ વલણ અપનાવવામાં આવ્યા બાદ આની સીધી અસર જોવા મળી હતી. સાડા ચાર વર્ષના ગાળામાં પ્રથમ વખત આરબીઆઇ દ્વારા  રેટમાં વધારો કરવામાં આવ્યો છે.  નાણાંકીય વર્ષ ૨૦૧૮ના ચોથા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ) માટેના દેશના જીડીપી ગ્રોથ રેટના આંકડા હાલમાં જારી કરવામાં આવ્યા હતા. જીડીપી ગ્રોથ રેટ ૭.૭ ટકા રહ્યો છે જે નોટબંધી બાદથી સૌથી ઉંચો દર છે. સરકારને આનાથી મોટી રાહત થઇ છે. ભારતે આ મામલામાં ચીનને પણ પછડાટ આપી દીધી છે.ચીનનો ગ્રોથ રેટ ૬.૮ ટકાનો રહ્યો છે. સંપર્ણ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે ગ્રોથરેટ ૬.૭ ટકાનો રહ્યો છે. છેલ્લા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર) માટ ગ્રોથરેટ ૭.૨ ટકાથી સુધારીને ૭ ટકા કરવામાં આવ્યો હતો જે ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરાયો હતો.

(7:42 pm IST)