Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

પિતાની અસ્થિઓ લેવા આવેલ દીકરાઓ સ્મશાનમાં ઝઘડ્યા

પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવ્યો : સ્મશાનમાં જયારે ૩ ભાઇઓ છુટા હાથની મારામારી કરી રહ્યા હતા તો ત્યાં હાજર લોકોએ તેમનો વીડિયો બનાવ્યો

ભીલવાડા,તા.૮: કોરોના કાળમાં રાજસ્થાનના ભીલવાડામાં લોહીના સંબંધોને શરમમાં મૂકી એવી ઘટના સામે આવી છે. અહીં એક વૃદ્ધના મોત બાદ સંપત્તિને લઈ તેમના ત્રણ દીકરા સ્મશાન ઘાટમાં જ લડી પડ્યા. ઝઘડો બોલાચાલી સુધી જ સીમિત ન રહ્યો, પરંતુ દીકરાઓએ સ્મશાન ઘાટમાં જ મારામારી પણ કરી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો. જ્યારે ત્રણ ભાઈઓ છુટા હાથની મારામારી કરી રહ્યા હતા તો ત્યાં ઉપસ્થિત લોકોએ તેમનો વીડિયો બનાવી દીધો અને બાદમાં તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો. વાયરલ વીડિયો પર લોકો અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. પિતાના મોત બાદ ત્રીજા દિવસે થયેલો આ ઘટનાક્રમ ભીલવાડામાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ પ્રકરણમાં કોઈ પ્રકારનો કેસ પોલીસમાં નોંધવામાં આવ્યો નથી. ભીલવાડાના ઉપનગર સાંગાનેર પોલીસ સ્ટેશનના પ્રભારી દેવીલાલે જણાવ્યું કે કસ્બાના વૃદ્ધ પ્રતાપ રાવનું નિધન થયું હતું. પિતાના મોતના ત્રીજા દિવસે બુધવારે તેમના ત્રણ દીકરા ધર્મસિંહ રાવ, પપ્પૂ રાવ અને રઘુનાથ રાવ અસ્થિઓ એકત્ર કરવા સ્મશાન ઘાટ આવ્યા હતા. આ દરમિયાન તેઓ તમામ માન-મર્યાદાઓ ભૂલીને પૈતૃક જમીનને લઈ એક બીજા સાથે બાખડી પડ્યા હતા. જોતજોતામાં જ ત્રણેય ભાઈઓએ પોતાના ગુસ્સા પર કાબૂ ગુમાવી દીધો અને એક-બીજા પર તૂટી પડ્યા. આ દરમિયાન ત્યાં એક અન્ય વ્યક્તિનો મૃતદેહ અગ્નિસંસ્કાર કરવા માટે લાવવામાં આવ્યો હતો. તેઓએ ભાઈઓને લડતા જોયા તો તેમને છોડાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ત્રણ ભાઈઓ મધ્યસ્થી કરવા ગયેલા લોકો સાથે પણ ઝઘડી પડ્યા. આ કારણે ત્યાં હાજર બીજા લોકોએ આ મામલાની પોલીસને જાણ કરી. પોલીસે સ્મશાન ઘાટ પહોંચીને ત્રણેય ભાઈઓને છુટા પાડ્યા. બુધવાર મોડી રાત સુધી આ સંબંધમાં કોઈએ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી નથી.

(4:06 pm IST)