Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

રાજ્યમાં ૫૫% મોત પાછળ ડબલ મ્યુટન્ટ B.1.617 વેરિયન્ટ

અમેરિકા અને બ્રાઝિલ બંને અલગ-અલગ વેરિયન્ટના ફેરફાર ભારતમાં એક જ વેરિયન્ટમાં : ગુજરાતમાં B.1.617 ઉપરાંત બીજા વેરિયન્ટ પણ હાજર છે : વેરિયન્ટના કારણે કોરોનાના મુખ્ય લક્ષણોમાં પણ ફેરફાર થયો છે

નવી દિલ્હી તા. ૮ : ગુજરાતમાં કોરોના વાયરસની આ બીજી લહેરમાં જાણે કે કાળચક્ર ફરી વળ્યું હોય તેમ છેલ્લા એક મહિનામાં કોરોનાનો કહેર છવાયો છે. જેની પાછળ મુખ્ય કારણ ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ B.1.617 જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ઉચ્ચ સરકારી સૂત્રો મુજબ દેશમાં આ ડબલ મ્યુટન્ટના પણ રાજય અનુસાર જુદા જુદા મ્યુટેશન છે જે આ વેરિયન્ટને વધુ ઘાતક બનાવે છે.

આ મામલે પૂરતી જાણકારી ધરાવતા ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, 'રાજ્યમાં લગભગ ૪૦ ટકા નવા કોરોના કેસ અને ૫૫ ટકા મોત પાછળ વાયરસનો આ વેરિયન્ટ છે. દર્દીમાં આ વેરિયન્ટની હાજરી જોવા મળી છે. આ વેરિયન્ટ વધુ સંક્રમણ ક્ષમતા અને વધુ ઘાતક ક્ષમતા બંને ધરાવે છે. રાજયની વાયરલ સિકવન્સિંગમાં બીજા વેરિયન્ટ પણ મળી આવ્યા છે પરંતુ ગ્.૧.૬૧૭ ડોમિનન્ટ વેરિયન્ટ તરીકે રાજયમાં કોરોના દર્દીઓની સારવારના પ્રોટોકોલ અને વેકસીનેશનની સ્ટ્રેટેજી બંને પર ખૂબ અસર કરે છે.'

શહેરના પેથોલોજિસ્ટ ડો. મુકેશ માહેશ્વરીએ કહ્યું કે કેન્દ્ર અને રાજય સરકારની જુદી જુદી ઘણી ઓથોરિટીએ હાલની કોરોના લહેર માટે આ વેરિયન્ટને જવાબદાર ગણાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી પૂણેના અભ્યાસમાં જોવા મળ્યું છે કે તેમણે મહારાષ્ટ્રના ૬૧ ટકા સેમ્પલમાં આ વેરિયન્ટ જોયો છે. તેમજ કર્ણાટક જેવા રાજયમાં પણ ડેટાના આધારે આ વેરિયન્ટથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા ખૂબ મોટી છે.તો આ વાયરસને ડબલ મ્યુટન્ટ શું કરવા કહેવામાં આવે છે? જેનો જવાબ આપતા જીસીએસ હોસ્પિટલના પેથોલોજી પ્રોફેસર ડો. ઉર્વેશ શાહે કહ્યું કે B.1.617 વેરિયન્ટમાં કુલ મળીને મૂળ કોરોના વાયરસ કરતા ૧૭ જેટલા ફેરફાર થયા છે. જેમાંથી ૬ જેટલા ફેરફાર તો તેના સ્પાઇક જેનમાં થયા છે જેના દ્વારા તે માણસ શરીરમાં પ્રવેશ કરીને પોતાને તેમાં રહેલા પ્રોટિન સાથે અટેચ કરે છે. જોકે આ તમામ ફેરફારમાંથી બે ફેરફાર L452R અને E484Q આપણા માટે મહત્વના છે. આ પૈકી પહેલો ફેરફાર અમેરિકામાં રહેલા કોરોના વાયરસમાં જોવા મળ્યો છે જયારે બીજો ફેરફાર બ્રાઝિલમાં મળી આવેલા વેરિયન્ટમાં જોવા મળ્યો છે. જોકે ભારતના આ ગ્.૧.૬૧૭ વેરિયન્ટમાં બંને ફેરફાર એક સાથે હાજ હોવાના કારણે આપણે તેને ડબલ મ્યુટન્ટ વાયરસ તરીકે ઓળખીએ છીએ.તેમણે વધુમાં કહ્યું કે આ બંને મ્યુટેશનથી વાયરસમાં ઉચ્ચ સંક્રમણકારકતા અને રોગપ્રતિકારક શકિતને ચકમો આપીને પોતાનો બચાવ કરવાની ક્ષમતા વધે છે. જેથી માણસના શરીરમાં હાલમાં રહેલા એન્ટિબોડી આ વાયરસના વેરિયન્ટ સામે લડી નથી શકતા અને નકામા રહે છે જયાં સુધી રસીકરણ અથવા આ બીમાર દરમિયાન બીજા નવા એન્ટિબોડી ન બન્યા હોય.

ડો. માહેશ્વરીએ કહ્યું કે 'એવું નથી કે વાયરસમાં આવતા તમામ મ્યુટેશન આપાણા માટે વધુ જોખમકારક અને ઘાતક હોય. કેટલાક ફેરફારથી આપણે જોયું છે કે વાયરસની સંક્રમણકારકતા અને ઘાતકતા ઓછી થાય છે. જોકે આ માટે આપણે હજુ વધુ ડેટાની જરુરિયાત છે. જેથી વાયરસની જીન્સ પ્રોફાઇલને તબક્કાવાર એનાલિસિસ કરી શકાય અને તેમના વિશે કોઈ નિષ્કર્ષ કાઢી શકાય. જોકે આ મહામારી જેમ આગળ વધશે તેમ આપણે હજુ પણ બીજા વેરિયન્ટ્સ જોઈશું.'આ ઉપરાંત અભ્યાસમાં એ પણ જોવા મળ્યું છે કે દેશમાં B.1.36, B.1.1.306 અને B.1.1.216 જેવા વેરિયન્ટ્સ પણ જોવા મળ્યા છે. અમદાવાદ સ્થિતિ નિષ્ણાંત ડોકટરે કહ્યું કે વાયરસના વેરિયન્ટમાં આવેલા આ ફેરફારથી તેના ડોમિનન્ટ સિમ્ટમ્પ્સમાં પણ ફેરફાર આવે છે. જેમ કે પહેલી લહેર દરમિયાન રહેલા વેરિયન્ટમાં ગળું સુકાવું મુખ્ય લક્ષણો પૈકી હતું હવે ઝાડા અને ઉલ્ટી તેના મુખ્ય લક્ષણો છે. આ સાથે જ સંક્રમણના ફેલાવામાં પણ અલગ પેટર્ન જોવા મળે છે કે જેમ કે પહેલા ઘરમાં કોઈ એક બેને કોરોનાનું ગંભીર સંક્રમણ થતું હતું પરંતુ આ લહેરમાં આખા પરિવાર સંક્રમણની ચપેટમાં આવી જતા જોવા મળ્યા છે. આ ઉપરાંત સંક્રમણના શરીરમાં ફેલાવાની ગતિમાં પણ ફેરફાર જોવા મળ્ય છે. પહેલા જે તબક્કો ૫થી ૬ દિવસે આવતો તે હાલ પહેલા બીજા દિવસે જ આવી જાય છે અને શરીરમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપે ફેલાય છે તેની સાથે ખૂબ જ ઝડપે ફેફસાને પોતાનો શિકાર બનાવે છે.

(11:47 am IST)