Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

મહામિલાવટના લોકોની મનમાની રોકી રહ્યા છે જેથી જ ગાળ પડે છે

હરિયાણામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઝંઝાવતી ચુંટણી પ્રચાર કરાયો :સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક, મસૂદ અઝહર, વન રેન્ક વન પેન્શન સહિતના મુદા ઉપર રજુઆત : વિપક્ષે રાવણ, હિટલર જેવા નામે સંબોધન કર્યું : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

કુરૂક્ષેત્ર, તા. ૮ : મહાભારતની ધરતી કુરૂક્ષેત્રમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના દુર્યોધનવાળા નિવેદનને લઈને આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી અને તેમના નેતા પ્રેમનાં નકાબ પહેરીને તેમને ગાળો આપતા રહે છે. આ નેતાઓ તેમને રાવણ, સાપ, બિચ્છુ, ઝેર ફેલાવનાર વ્યક્તિ, મોતના સોદાગર, હિટલર, મુસોલીની જેવા શબ્દોનો ઉપયોગ કરીને સંબોધ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ નેતાઓ તેમની માતાને ગાળો આપીને પિતા કોણ છે તેવા પ્રશ્ન પણ કરે છે. આ તમામ ગાળો પીએમ બની ગયા બાદ તેમને આપવામાં આવી હતી. તેમના ઉપર સતત આક્ષેપબાજી કરવામાં આવી રહી છે. કુરૂક્ષેત્રમાં ચુંટણી સભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ અને તેમના સાથીઓને મનમાની કરવા દેશે નહીં. તેમના ભ્રષ્ટાચારને રોકી રહ્યા છે. તેમના વંશવાદની વાત કરે છે. જેથી વારંવાર પ્રેમ નકાબ ઓઢીને ગાળો આપતા રહે છે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન બની ગયા બાદ તેમના ઉપર પ્રેમવર્ષા કરવામાં આવી છે. તેમને મોસ્ટ સ્ટુપિડ પીએમ તરીકે ગણાવ્યા છે. જવાનોના ખૂનના દલાલ જેવા આક્ષેપો થઈ ચુક્યા છે. તેમના માટે ગદ્દાફી, મુસોલીની અને હિટલર જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેટલાક મોટા નેતાઓએ તેમને માનસિક રીતે બીમાર ગણાવ્યા છે. કેટલાક લોકોએ તેમના પિતા કોણ છે તેવા પ્રશ્નો કર્યા છે. આ તમામ ભેટ વડાપ્રધાન બની ગયા બાદ આજે પણ વિરોધ પક્ષો તરફથી આપવામાં આવે છે. હરિયાણામાં જુદા જુદા ક્ષેત્રોમાં ચુંટણી સભાને સંબોધતા મોદીએ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે દેશ સ્વતંત્ર થયા બાદથી હજુ સુધી ભારતના ખેડુતોના હકનું પાણી પાકિસ્તાનમાં જઈ રહ્યું હતું. હવે આ પ્રક્રિયાને રોકી દેવાઈ છે. કોંગ્રેસના લોકો આને લઈને વાંધો ઉઠાવતા ન હતા પરંતુ ચોકીદાર ભારતના હકની એક એક બુંદ પાણીને દેશ સુધી પહોંચવા માટે ઉત્સુક છે. કોંગ્રેસ માત્ર એક પરિવારની ચિંતા કરે છે પરંતુ ભારતના હિદોની રક્ષા કરવાને લઈને તેમને કોઈ ગંભીરતા નથી. મોદીએ કહ્યું હતું કે બાલાકોટ બાદ અમારા એક વીર સપૂતને પાકિસ્તાને કબજામાં લઈ લીધો હતો પરંતુ ૪૮ કલાકના ગાળામાં જ પાકિસ્તાનને છોડવાની ફરજ પડી ગઈ હતી. વાઘા સરહદ સુધી મુકવા માટે પણ આવ્યા હતા. તે વખતે કોંગ્રેસ અને તેમના દરબારીઓએ પાકિસ્તાનના વડાપ્રધાનની પ્રશંસા કરી હતી. તેમના માટે નોબેલની વાત પણ કરી દીધી હતી. અગાઉ મોદીએ હરિયાણામાં અન્યત્ર પ્રચાર કરતા આક્ષેપબાજીનો દોર ચલાવ્યો હતો. વન રેંક વન પેન્શન, સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક, મસૂદ અઝહર, વોર મેમોરિયલ જેવા મુદ્દા ઉપર વાત કરીને કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે મસૂદ અઝહરને હવે વૈશ્વિક આતંકવાદી જાહેર કરી દેવાયો છે. પાકિસ્તાનને હવે તેની સામે પગલા લેવાની ફરજ પડી રહી છે. બીજી બાજુ ભારતનો ડંકો આજે વિશ્વભરમાં દેશમાં મજબૂત સરકારને કારણે વાગી રહ્યો છે. વિરોધીઓ મજબુર સરકાર લાવવા ઈચ્છુક છે પરંતુ ભાજપ તમામના વિકાસ માટે કામ કરવા મજબૂત સરકાર ઈચ્છે છે. મોદીએ કહ્યું હતું કે હરિયાણામાં દરેક પરિવારમાંથી કોઈને કોઈ સેના અને અર્ધલશ્કરી દળોમાં જાય છે પરંતુ કોંગ્રેસને આ જવાનોની અને અર્ધલશ્કરી દળના જવાનોની ચિંતા નથી. આ લોકો સેનાના વડાને પણ ગાળો આપે છે. એરફોર્સના વડાને પણ જુઠ્ઠામા તરીકે ગણાવીને આક્ષેપ કરે છે.

(7:36 pm IST)