Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

હરિયાણાના સફળ ખેડૂત રાજપાલસિંહે ખેડૂતના બદલે ઉદ્યોગપતિની જેમ કામ કરીને ખેતીમાં અઢળક કમાણી કરી

રાજપાલ સિંહ શ્યોરણ એક પ્રગતિશીલ ખેડૂત છે. તેઓ હંમેશા પોતાના ખેતરોમાં કઈકને કઈંક નવું કરતા જ રહે છે. રાજપાલ સિંહ જૈવિક ખેતી કરે છે. તેમણે ખેતીને એક ઉદ્યોગની જેમ અપનાવી અને પોતાને ખેડૂત ન ગણીને એક ઉદ્યોગપિતની જેમ કામ કર્યું. તેનું પરિણામ એ આવ્યું કે આજે રાજપાલ સિંહ આખા હરિયાણામાં એક સફળ ખેડૂત તરીકે ઓળખાય છે. તેમના ખેતરોમાં ઉગેલા અનાજની ખુબ માંગ છે. તેઓ આજે પોતાની બેકરી બનાવીને અનાજના બિસ્કીટ બનાવી રહ્યાં છે. ખેતરમાં નવા નવા પ્રયોગોથી રાજપાલ સિંહની આવક પણ ઝડપથી વધી રહી છે. સ્થિતિ એવી છે કે આસપાસના ખેડૂતો પણ રાજપાલ પાસે આવીને ખેતીમાં જબરદસ્ત કમાણી કરવાના નુસ્ખા શીખીને જાય છે.

હરિયાણાના હિસાર જિલ્લામાં એક ગામ છે કોથકલા. રાજપાલ સિંહ કોથકલાના રહીશ છે. ખેતરોમાં કેમિકલોના વધતા ઉપયોગ વિરુદ્ધ તેમણે મુહિમ ચલાવી છે. તેમનું માનવું છે કે માણસ કુદરત સાથે રમત રમી રહ્યો છે, જેની કિંમત તેણે ચૂકવવી પડશે.

રાજપાલે 3 દાયકા પહેલા જૈવિક ખેતીની મુહિમ શરૂ કરી હતી. તેમણે નૌગાંવા જૈવિક ખેતી નામનું એક ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપમાં લગભગ 90 ખેડૂતો જોડાયેલા છે અને તમામ ખેડૂતો જૈવિક ખેતી કરે છે. પોતાના ઉત્પાદનો માટે તેમણે શ્યોરણ જૈવિક ફાર્મ નામની એક સંસ્થાનું રજિસ્ટ્રેશન પણ કરાવેલું છે.

ખેતીને બનાવ્યો ઉદ્યોગ

રાજપાલ જણાવે છે કે પરંપરાગત રીતે ખેતી કરવાથી ખેતીમાંથી એટલું જ મળત જેટલું ખેડૂત પોતાના પરિવારના પેટ પોષી શકે.  ન તો ભવિષ્ય વિશે વિચારી શકે અને ન તો કઈ જમા કરી શકે. આથી ખેડૂતોએ ખેતીની પદ્ધતિ બદલવી પડશે. એક કારોબારીની જેમ વિચારવું પડશે અને ખેતીને એક કારોબારની જેમ કરવી પડશે. ત્યારે જ કોઈ ખેડૂત ખેતીમાંથી અઢળક નફો રળી શકે.

જૈવિક ઉત્પાદનોની માંગ

રાજપાલ સિંહ જૈવિક પદ્ધતિથી શેરડી વાવે છે અને તેનો ગોળ બનાવે છે. તેમનો બનાવેલો ગોળ 150 રૂપિયે કિલો સુધી વેચાય છે. જ્યારે સામાન્ય ગોળ 50-60  રૂપિયે કિલો મળે છે. આ વખતે સરસવની ખેતી સારી થઈ છે. તેઓ જૈવિક સરસવનું તેલ બજારમાં ઉતારે છે. જૈવિક સરસવના તેલની કિંમત 210 રૂપિયા પ્રતિ લીટર નક્કી કરેલી છે. સામાન્ય તેલ 100 રૂપિયા પ્રતિ લીટર વેચાય છે. ખાસ વાત એ છે કે બમણી કિંમત હોવા છતાં તેમના તેલનું એડવાન્સ બુકિંગ થવા લાગ્યું છે.

તેલની સાથે તેઓ જૈવિક ઘઉંથી તૈયાર થયેલો લોટ બજારમાં લાવી રહ્યાં છે. રાજપાલ જણાવે છે કે કોઈ પણ ઉત્પાદન અને તેની કિંમત આખા ગ્રુપના ખેડૂતો મળીને નક્કી કરે છે.

જવ અને બાજરાના બિસ્કિટ

રાજપાલ સિંહે બે વર્ષ પહેલા ઘરમાં જ બિસ્કિટ બનાવવાના શરૂ કર્યા છે. આ જવ, બાજરો, મધ, અને અન્ય અનાજ મળીને બિસ્કિટ તૈયાર થાય છે. આ અનાજ પણ જૈવિક હોય છે. હવે આ બિસ્કિટોની માગણી પણ ઝડપથી વધવા લાગી છે. હવે 25-30 કિલો બિસ્કિટ રોજ તૈયાર થાય છે. બિસ્કિટના વેચાણ માટે તેમણે તમામ જરૂરી દસ્તાવેજી કાર્યવાહી પણ પૂરી કરી લીધી છે. બસ જરૂર તો હવે આ પ્રોડક્ટને કોઈ નામ આપવાની છે. બિસ્કિટની કિમત 400 રૂપિયા પ્રતિ કિલો નક્કી કરાઈ છે.

કમાણી વધારવાનો મંત્ર

આજે રાજપાલ સિંહ જૈવિક ખેતી અને પોતાના જવના બિસ્કિટ માટે સમગ્ર હરિયાણામાં જાણીતા છે. તેઓ અન્ય ખેડૂતોને પણ જૈવિક ખેતીની ટેક્નોલોજી જણાવે છે. તેઓ જણાવે છે કે દેશનો દરેક ખેડૂત ખેતી કરવાની ટેક્નોલોજી જાણે છે. બસ જરૂર તો તેનામાં પ્રોફેશનલ સોચને સામેલ કરવાની છે. ખેડૂતો પોતાના ઉત્પાદનમાં ક્યારેય જમીનની કિંમત અને પોતાની મહેનતને સામેલ કરતા નથી. આથી ઉત્પાદનથી થનારા નફા નુક્સાનનું યોગ્ય આકલન થઈ શકતુ નથી.

(5:06 pm IST)