Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં આરોપી આરિજ ખાન દોષી જાહેર: 15મીએ સજાનો થશે નિર્ણય

ઇંસ્પેક્ટર મોહન ચંદ્ર શર્મા પર ગોળી ચલાવતા તેમનું મોત થયેલું : આરિજ ખાનની વર્ષ 2018માં સ્પેશ્યલ સેલે નેપાળથી ધરપકડ કરી હતી,

નવી દિલ્હી :દિલ્હીના ચર્ચિત બાટલા હાઉસ એન્કાઉન્ટર મામલે કોર્ટે આરોપી આરિજ ખાનને દોષી ગણાવ્યો છે. આરિજ ખાન પર આરોપ હતો કે તેણે વર્ષ 2008માં થયેલા બાટલા હાઉસ એન્કાઉન્ટર દરમિયાન ઇંસ્પેક્ટર મોહન ચંદ્ર શર્મા પર ગોળી ચલાવી હતી, જેમાં તેમનું મોત થયુ હતું.આરિજ ખાનની વર્ષ 2018માં સ્પેશ્યલ સેલે નેપાળથી ધરપકડ કરી હતી, જે બાદથી તેના વિરૂદ્ધ કેસ ચાલી રહ્યો હતો. તમામ સુનાવણી બાદ હવે અંતે કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે

દિલ્હીની સાકેત કોર્ટે તે ઇંસ્પેક્ટરની હત્યાના કેસમાં દોષી ગણાવ્યો છે. જોકે, અત્યારે સજાની જાહેરાત થઇ નથી. હવે 15 માર્ચે કોર્ટમાં દોષી આરિજ ખાનને સજા સંભળાવવાને લઇને વિચાર કરવામાં આવી રહ્યો છે. એડિશનલ સેશન્સ જજ સંદીપ યાદવે કહ્યુ કે આરિજ ખાને પોતાના સાથીઓ સાથે, જાણી જોઇને એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અને ઇંસ્પેક્ટર મોહન ચંદ શર્માની હત્યા કરી હતી અને હેડ કોન્સ્ટેબલ બલવંત સિંહ અને રાજબીર સિંહને ઇજા પહોચાડી હતી. જજે કહ્યુ, આરિજ ખાનને ભારતીય દંડ સંહિતા (આઇપીસી) અને આર્મ્સ એક્ટ હેઠળ દોષી ઠેરવવામાં આવ્યો હતો.

આરિજ ખાનને ભારતીય દંડ સંહિતાની કલમ 186, 333, 353, 302, 307, 174 (એ) અને 34 હેઠળ અને આર્મ્સ એક્ટની કલમ 27 હેઠળ દોષી ઠેરવવામાં આવ્યો છે.

 

દિલ્હીમાં વર્ષ 2008માં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટ બાદ પોલીસની કેટલીક ટીમ તૈયાર કરવામાં આવી હતી. બ્લાસ્ટ બાદથી જ આતંકીઓની તપાસમાં પોલીસ રેડ કરી રહી હતી, ત્યારે 19 સપ્ટેમ્બર 2008માં પોલીસને સૂચના મળે છે કે કેટલાક શંકાસ્પદ બાટલા હાઉસના એક મકાનમાં છુપાયેલા છે. તે બાદ તુરંત પોલીસની એક ટીમ તૈયાર કરવામાં આવી હતી. ઇંસ્પેક્ટર મોહન ચંદ શર્મા પણ આ ટીમનો ભાગ હતા. જોકે, પોલીસ ટીમને આ ખબર નહતી કે બિલ્ડિંગમાં આતંકી છુપાયેલા છે અને હથિયારોથી લેસ છે. માટે પોલીસની ટીમ એક પ્રાઇવેટ ગાડીમાં સવાર થઇને બાટલા હાઉસ પહોચી હતી.

પોલીસના બિલ્ડિંગમાં ઘુસ્યા બાદ ત્યા ફાયરિંગ શરૂ થઇ ગઇ હતી. ઘણી વાર સુધી ફાયરિંગમાં ઇન્ડિયન મુજાહિદ્દીનના બે શંકાસ્પદ આતંકવાદી માર્યા ગયા હતા, સાથે જ ઇંસ્પેક્ટર મોહન ચંદ શર્માનું પણ મોત થયુ હતું. આ દરમિયાન આરિજ ખાન ત્યાથી કોઇ રીતે ફરાર થઇ ગયો હતો અને નેપાળ ભાગી ગયો હતો.

મહત્વપૂર્ણ છે કે આ એન્કાઉન્ટર એટલો ચર્ચિત એટલા માટે પણ છે કારણ કે તે બાદ પોલીસ પર પણ કેટલાક સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. એન્કાઉન્ટરને કેટલાક નેતાઓએ ફેક ગણાવ્યો હતો. જોકે, કોર્ટમાં આ સાબિત ના થઇ શક્યુ, જે બાદ આ એન્કાઉન્ટર પર ફિલ્મ પણ બનાવવામાં આવી હતી

(6:39 pm IST)