Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

હિન્દુત્વ તરફી કેટલાક જૂથોએ મુસ્લિમો માટે ગેરમાન્યતાઓ ઉભી કરી: તેને તોડવાનો સમય આવી ગયો: એસ વાય કુરૈશી

નિવૃત્ત ચીફ ઈલેક્શન કમિશનર એસ વાય કુરૈશીએ કહ્યું મુસ્લિમોએ વસતીના મામલે હિન્દુઓથી આગળ નિકળવા માટે કોઈ સંગઠિત કાવતરુ નથી

નવી દિલ્હી : દેશના નિવૃત્ત ચીફ ઈલેક્શન કમિશનર એસ વાય કુરૈશીનુ કહેવુ છે કે, મુસ્લિમોને વિલન તરીકે ચીતરવા માટે હિન્દુત્વ તરફી કેટલાક જૂથોએ દેશમાં મુસ્લિમો માટે જે ગેરમાન્યતાઓ ઉભી કરી છે તેને તોડવાનો સમય આવી ગયો છે.

 તેમનુ કહેવુ છે કે, ઈસ્લામ પરિવાર નિયોજનની જે ધારણા છે તેનો વિરોધ કરતો નથી અને ભારતમાં એક કરતા વધારે લગ્ન કરનારાઓમાં સૌથી ઓછી સંખ્યા મુસ્લિમોની છે. કુરૈશીએ પોતાની નવી બૂક લોન્ચ કરી છે અને તેમાં કહ્યુ છે કે, મુસ્લિમોએ વસતીના મામલે હિન્દુઓથી આગળ નિકળવા માટે કોઈ સંગઠિત કાવતરુ નથી ઘડ્યુ.મુસ્લિમો વસતીના મામલે હિન્દુઓને પડકાર ફેંકી શકે તેમ નથી.

આ પુસ્તકના સંદર્ભમાં આપેલા ઈન્ટરવ્યૂમાં કુરૈશીએ કહ્યુ હતુ કે, જો તમે કોઈ જુઠ્ઠુ સો વખત બોલો છો તો તે સત્ય બની જાય છે અને મુસ્લિમો સામે થઈ રહેલો દુષ્પ્રચાર હવે વધારે બળુકો બની ચુક્યો છે.

વર્ષોથી મુસ્લિમ સમુદાય સામે ફેલાવાતી ગેરમાન્યતાઓ અને અપપ્રચારને પડકાર ફેંકવાનો સમય આવી ગયો છે. કુરૈશીનુ કહેવુ છે કે, મેં મારી બૂકના માધ્યમથી મુસ્લિમો સામેના અપ પ્રચારને દુર કરવાનો પ્રયાસ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ કુરૈશીએ ચીનની એપ બેન કરવાના નિર્ણય પર ભારત સરકારને સલાહ આપતા કહ્યુ હતુ કે, જો ચીનને ચીઢવવા જ હોય તો દિલ્હીમાં જ્યાં ચીનનુ દૂતાવાસ આવેલુ છે તે રોડનુ નામ બદલીને દલાઈ લામા રોડ કરી દેવુ જોઈએ.આ પગલુ ચીનની એપ બેન કરવા કરતા પણ વધારે અસરકારક સાબિત થશે.

(12:00 am IST)