Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

દેશના કેન્દ્રીય વિદ્યાલયો, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષકો અને નોન-ટીચિંગ સ્ટાફની 58,000 જગ્યાઓ ખાલી: સરકારે માહિતી આપી.

કેન્દ્રીય વિદ્યાલયોમાં શિક્ષકોની 12,099 જગ્યાઓ અને નોન-ટીચિંગ સ્ટાફની 1,312 જગ્યાઓ ખાલી છે. એ જ રીતે જવાહર નવોદય વિદ્યાલયમાં શિક્ષકોની 3,271 જગ્યાઓ અને બિન-શિક્ષણ કર્મચારીઓની 1,756 જગ્યાઓ ખાલી

નવી દિલ્હી : દેશમાં કેન્દ્રીય વિદ્યાલયો, નવોદય વિદ્યાલયો અને કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓની 58,000 થી વધુ જગ્યાઓ ખાલી છે. સરકારે આ માહિતી આપી હતી 

કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી સુભાષ સરકારે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.

તેમણે માહિતી આપતા જણાવ્યું કે, કેન્દ્રીય વિદ્યાલયોમાં શિક્ષકોની 12,099 જગ્યાઓ અને નોન-ટીચિંગ સ્ટાફની 1,312 જગ્યાઓ ખાલી છે. એ જ રીતે જવાહર નવોદય વિદ્યાલયમાં શિક્ષકોની 3,271 જગ્યાઓ અને બિન-શિક્ષણ કર્મચારીઓની 1,756 જગ્યાઓ ખાલી છે.

ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં મોટાભાગની ખાલી જગ્યાઓ કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં છે, જ્યાં શિક્ષકોની 6,180 જગ્યાઓ અને નોન-ટીચિંગ સ્ટાફની 15,798 જગ્યાઓ ભરવાની બાકી છે.

મંત્રીના જવાબ મુજબ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) પાસે 4,425 ટીચિંગ પોસ્ટ્સ અને 5,052 નોન-ટીચિંગ સ્ટાફ પોસ્ટ્સ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (NITs) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં 2,089 ટીચિંગ પોસ્ટ્સ અને 3,773 નોન-ટીચિંગ સ્ટાફની જગ્યાઓ ખાલી છે.

એ જ રીતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં શિક્ષણ અને બિન-શૈક્ષણિક પદોની ક્રમશ: 353 અને 625 જગ્યાઓ ખાલી પડેલી છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM)માં 1,050 ટીચિંગ અને નોન-ટીચિંગ પોસ્ટ્સ ખાલી છે.

સરકારના જણાવ્યા અનુસાર, “નિવૃત્તિ, રાજીનામું, પ્રમોશન અને અપગ્રેડેશન અથવા નવા પ્રવાહોની મંજૂરી તેમજ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારાને કારણે વધારાની જરૂરિયાતોને કારણે ખાલી જગ્યાઓ ઊભી થાય છે.”

સરકારે કહ્યું કે, ‘ખાલી જગ્યાઓ ભરવી એ સતત પ્રક્રિયા છે અને સંબંધિત સંસ્થાના સંબંધિત ભરતી નિયમોની જોગવાઈઓ અનુસાર ખાલી જગ્યાઓ ભરવાના પ્રયાસો કરવામાં આવે છે.’

તેમણે કહ્યું કે શિક્ષણની પ્રક્રિયામાં વિક્ષેપ ન આવે તેની ખાતરી કરવા માટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) અને નવોદય વિદ્યાલય સમિતિ (NVS) દ્વારા અસ્થાયી સમયગાળા માટે શિક્ષકોની નિમણૂંક પણ કરાર આધારિત કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે, ‘ફેકલ્ટીની અછતને પહોંચી વળવા માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વિઝિટિંગ અથવા એડજન્ટ ફેકલ્ટી, એમેરિટસ પ્રોફેસરની ભરતી અને નિમણૂંકની જોગવાઈ છે.’

(8:23 pm IST)