Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

સરકારી તિજોરીમાં પડી છે ઈન્‍દિરા ગાંધીની ૭૩ કિલો ચાંદી

૫૦ વર્ષ પહેલા લોકોએ આપી હતી ભેટ : ચાંદીના નિકાલનો ઘણો પ્રયત્‍ન કરવામાં આવ્‍યો પરંતુ ના તો કોઈ મ્‍યુઝિયમ ના તો રિઝર્વ બેન્‍ક ઓફ ઈન્‍ડિયા તેને સ્‍વીકારવા માટે તૈયાર છેઃ આ ચાંદી વાસ્‍તવમાં દેશના પૂર્વ દિવંગત વડાપ્રધાન ઈન્‍દિરા ગાંધીની માલિકીની છે

બિજનોર, તા.૮: ઉત્તરપ્રદેશના બિજનોરમાં સ્‍થિત એક સરકારી તિજોરીમાં પાછલા પચાસ વર્ષથી ૭૩ કિલો ચાંદી પડેલી છે. ચાંદીની અત્‍યારની કિંમત અનુસાર ગણતરી કરવામાં આવે તો લગભગ ૫૧ લાખ રુપિયા કિંમતની ચાંદી તિજોરીમાં પડી છે. રસપ્રદ બાબત એ છે કે, આ ચાંદી ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્‍દિરા ગાંધીને ગિફ્‌ટમાં મળી હતી. એક સીનિયર અધિકારીએ જણાવ્‍યું કે, પાછલા ઘણાં સમયથી સ્‍થાનિક તંત્ર દ્વારા આ તિજોરીને ખાલી કરવાનો ખૂબ પ્રયત્‍ન કર્યો પરંતુ નિષ્‍ફળતા પ્રાપ્ત થઈ છે.

જિલ્લાના ટ્રેઝરી ઓફિસર સુરજ કુમાર જણાવે છે કે, વર્ષ ૧૯૭૨માં તે સમયના વડાપ્રધાન ઈન્‍દિરા ગાંધી કાલાગઢ ડેમની મુલાકાતે આવ્‍યા હતા. તે સમયે ડેમની કામગીરી ચાલી રહી હતી. અત્‍યારે આ ડેમ ઉત્તરપ્રદેશ-ઉત્તરાખંડ બોર્ડર પર સ્‍થિત છે. જ્‍યારે તેઓ અહીં આવ્‍યા હતા ત્‍યારે સ્‍થાનિક લોકોએ તેમને ચાંદીથી તોલ્‍યા હતા. અને પછી તેમને તે ચાંદી અને અન્‍ય કિંમતી ધાતુ ભેટ તરીકે આપવામાં આવી હતી. પરંતુ ઈન્‍દિરા ગાંધી તેને પોતાની સાથે નહોતા લઈ ગયા અને જિલ્લાના મેજિસ્‍ટ્રેટને તેની દેખરેખની જવાબદારી સોંપી હતી.

સૂરજ કુમારનુ કહેવું છે કે, ત્‍યારથી આ ચાંદી અહીં પડી છે અને તેની સાથે શું કરવુ તેની કોઈ જાણકારી અમારી પાસે નથી. વર્ષ ૨૦૦૨માં જિલ્લા તંત્રએ રિઝર્વ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાને પત્ર લખ્‍યો અને માંગ કરી કે આ ચાંદીની જવાબદારી તેમણે લેવી જોઈએ. પરંતુ બેન્‍ક દ્વારા કહેવામાં આવ્‍યું કે આ એક ખાનગી સંપત્તિ છે. ત્‍યારપછી મ્‍યુઝિયમને પણ આ જ -કારની માંગ કરવામાં આવી, પરંતુ તેમણે પણ ઈનકાર કરી દીધો.

જિલ્લા તંત્રનું કહેવુ છે કે જો ગાંધી પરિવાર દ્વારા આ ચાંદી પર દાવો કરવામાં આવે તો તેમને તે સોંપવામાં આવી શકે છે. એક કર્મચારી જણાવે છે કે, તિજોરીમાં એક ભારે ભરખમ બોક્‍સ મૂકવામાં આવ્‍યું છે અને દર વર્ષે તેનું ઈન્‍સ્‍પેક્‍શન કરવામાં આવી રહ્યું છે. આ બોક્‍સ સીલ છે અને અત્‍યાર સુધી તેને ખોલવામાં નથી આવ્‍યું. ઉલ્લેખનીય છે કે ઈન્‍દિરા ગાંધીને જ્‍યારે આ ભેટ આપવામાં આવી ત્‍યારે ૭૦ વર્ષીય ધર્મવીર સિંહ હાજર હતા. તે જણાવે છે કે, મને ચોક્કસપણે તો નહીં પણ ઝાંખી યાદગીરી છે. તે સમયે વજનકાંટા પર એકબાજુ ઈન્‍દિરા ગાંધીને ઉભા રાખવામાં આવ્‍યા હતા અને બીજી બાજૂ ચાંદી મૂકવામાં આવી હતી. તેમનું વજન તે સમયે ૬૪ કિલો હતુ પરંતુ ઉત્‍સાહી સ્‍થાનિકોએ કિંમતી વસ્‍તુઓ મૂકવાનું બંધ જ ના કર્યું.

(4:12 pm IST)