Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

દિલ્હી વિધાનસભાની ચૂંટણી રોમાંચકઃ ભાજપની હાર અને જીતના કારણો શું હોઇ શકે ?

નવી દિલ્હી: દિલ્હીમાં આજે વિધાનસભાની ચૂંટણી અંતર્ગત મતદાન થઈ રહ્યું છે. પરિણામો 11 ફેબ્રુઆરીએ જાહેર થશે. વીજળી અને પાણી મફત કરવાનો દાવ રમીને આમ આદમીએ મુકાબલો એકતરફી કરવાની કોશિશ તો ભરપૂર કરી પરંતુ જે રીતે ભાજપે પોતાની તાકાત ઝોંકી છે તે જોતા ચૂંટણી હવે રોમાંચક બની છે. લોકો આમ આદમી પાર્ટી અને ભાજપની જીત અને હારને લઈને અટકળો કરી રહ્યાં છે. અહીં આપણે એવા કારણો અંગે જાણીએ જેના આધાર પર ભાજપની હાર અને જીત નક્કી થશે.

દિલ્હીમાં ભાજપ જીતે તો આ કારણો રહેશે જવાબદાર

1. જબરદસ્ત ધ્રુવીકરણ

ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ધ્રુવીકરણની આક્રમક પીચ તૈયાર કરી. શાહીન બાગનું પ્રદર્શન જાણે કે ભાવતું હતું અને વૈદ્યે કહ્યું તેવું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સહિત અન્ય નાના મોટા દરેક નેતા રેલી અને સભાઓમાં શાહીન બાગનો મુદ્દો ઉછાળતા રહ્યાં. સભાઓ ગજવતા રહ્યાં કે તમે શાહીન બાગની સાથે છો કે વિરુદ્ધમાં? શરજીલ ઈમામના આસામવાળા નિવેદન, જેએનયુ, જામિયા હિંસા જેવા મુદ્દાઓથી પણ ભાજપે બહુમતીવાળા મતદારોને સાધવાની કોશિશ કરી છે.

2. જબરદસ્ત કેમ્પેઈનિંગ

નાના એવડા કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી માટે ભાજપે જેટલી તાકાત ઝોકી તેટલી તો મોટા મોટા રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પણ મહેનત કરી નથી. ભાજપે ગલી ગલી મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, સાંસદો અને ધારાસભ્યોની ફોજ દોડાવી. કોઈ મહોલ્લો  નથી બચ્યો જ્યાં નેતાઓએ નુક્કડ સભા કરી નથી. જેનાથી ભાજપે પોતાના પક્ષમાં જબરદસ્ત માહોલ બનાવવાની કોશિશ કરી.

3. વેપારીઓ ભાજપ તરફી

દિલ્હીના વેપારીઓને હંમેશાથી સિલિંગનો ભય સતાવે છે. વેપારીઓને લાગે છે કે કેન્દ્રમાં ભાજપની સરકાર હોવાના કારણે તે દિલ્હીમાં સિલિંગથી રાહત આપી શકે છે. કદાચ આ જ કારણ છે કે મતદાનના એક દિવસ પહેલા જ શુક્રવારે દિલ્હીના વેપારીઓના સૌથી મોટા સંગઠન કેટએ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી. આ સંગઠન સાથે દિલ્હીમાં 15 લાખ વેપારીઓ જોડાયેલા છે. જેમણે દાવો કર્યો છે કે તેઓ 30 લાખ લોકોને રોજગારી આપે છે. આવામાં ભાજપ ને જો ખરેખર વેપારી સમુદાયનો સાથ મળી ગયો તો પાર્ટી સારું પ્રદર્શન કરી શકે છે.

4. સત્તા વિરોધી લહેર

દિલ્હીમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, પાણી, વીજળીને બાદ કરીએ તો ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મોરચે અપેક્ષિત કામ થયું નથી. એવું દિલ્હીના લોકોનું માનવું છે. 2015માં આમ આદમી પાર્ટીની પ્રચંડ લહેરમાં ચૂંટણી જીતવામાં સફળ રહેલા વિધાયકો બાદમાં જનતાથી દૂર  થઈ જવાની ફરિયાદો સામાન્ય છે. આ જ કારણ છે કે કેજરીવાલે પોતાના અનેક વિધાયકોનો પત્તું કાપવું પડ્યું. પાંચ વર્ષ સત્તામાં રહેવા છતાં કેજરીવાલે સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડી શકે છે.

5. ભાજપની સોગાતો

ભાજપે ચૂંટણી ઢંઢેરા દ્વારા દિલ્હીના લોકોના મનમાંથી એ ડર કાઢવાની કોશિશ કરી છે કે તેમની સરકાર બનશે તો વીજળી, પાણી મફત મળતા બંધ થશે. ભાજપે આ યોજનાઓ ચાલુ રાખવાની વાત કરી છે. આ સાથે જ ભાજપે દિલ્હીની 1700થી વધુ ગેરકાયદે કોલોનીઓમાં રજિસ્ટ્રીની શરૂઆત કરીને લોકોના મનમાં બેઠેલો ડર દૂર કર્યો છે. બે રૂપિયે કિલો લોટ, ગરીબ બાળકોને ઈલેક્ટ્રિક સ્કૂટી, 376 ઝૂપડામાં રહેતા 2 લાખથી વધુ પરિવારોને 2-2 રૂમના મકાનનું વચન આપીને લોભાવવાની કોશિશ કરી છે. આ વચનો પર જો જનતાએ ભરોસો કર્યો તો ભાજપ ચૂંટણીમાં તમામને ચોંકાવી શકે છે.

ભાજપ હારે તો કેમ?

6. સાઈલેન્ટ વોટર બનશે ગરીબો: કેજરીવાલે જે પ્રકારે બસો યુનિટ વીજળી અને મહિને 20 હજાર લીટર પાણી મફત કર્યાં તેનાથી સામાન્ય જનતા અને ગરીબોના ખિસ્સા પર ભાર ઓછો થયો છે. લાભ મેળવનારા ગરીબ વર્ગના લોકો ચૂંટણીમાં સાઈલેન્ટ વોટર બનતા જોવા મળી રહ્યાં છે. વીજળી કંપનીના આંકડાની વાત કરીએ તો એક ઓગસ્ટના રોજ યોજના જાહેર થયા બાદ દિલ્હીમાં કુલ 52 લાખ 27 હજા 857 પરિવારોના કનેક્શનમાંથી 14,64,270 પરિવારોનું વ વીજળીનું બિલ શૂન્ય આવ્યું. લાભ મેળવનારા લોકોએ જો ઝાડૂ પર બટન દબાવ્યું તો આમ આદમી પાર્ટીની વાપસી સરળ રહેશે.

7. મુસલમાનોનું વલણ:

રાજકીય વિશેષજ્ઞોનું માનવું છે કે નાગરિકતા કાયદા બાદ મુસ્લિમોના મનમાં ડર પેસી ગયો છે. મુસલમાનો તે પાર્ટીને મત આપવા માંગે છે જે ભાજપને હરાવવા સક્ષમ હોય. કોંગ્રેસ દિલ્હી ચૂંટણીમાં ક્યાંય જોવા મળતી નથી. આવામાં મુસલમાનોના મોટાભાગના મતો આપને જશે તેવું મનાઈ રહ્યું છે. દિલ્હીમાં સીલમપુર, ઓખલ જેવી બેઠકો પર મુસ્લિમો નિર્ણાયક મતદારો છે.

8. મહિલાઓને પણ આપે બનાવી પોતાની મતબેંક

આમ આદમી પાર્ટીએ જેટલું મહિલાઓ પર ફોકસ કર્યું છે તેટલું ભાજપે કર્યું નથી. કેજરીવાલની સરકારે બસોમાં 30 ઓક્ટોબરના રોજ ભાઈબીજના દિવસથી મફત મુસાફરીની સગવડ આપી. એક આંકડા મુજબ પ્રતિદિન લગભઘ 13થી 14 લાખ મહિલાઓ દિલ્હીમાં બસમાં મુસાફરી કરે છે. આવામાં મહિલાઓની પસંદ જો ઝાડુ બન્યું તો ભાજપ માટે મુશ્કેલી થશે.

9. શાળાઓની ફી ન વધવા દીધી

દિલ્હીમાં શાળાઓની હાલત સુધારવાના જે પણ દાવા હોય, પરંતુ સૌથી વધુ લાભ પ્રાઈવેટ શાળાઓની ફી પર અંકૂશ લાગવાથી મધ્યમવર્ગની જનતાને પહોંચતો હોવાનું કહેવાય છે. આમ આદમી પાર્ટીના જ એક સૂત્રના જણાવ્યાં મુજબ દિલ્હીમાં મોટાભાગની શાળાઓ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ ચલાવે છે. આવામાં કેજરીવાલે ફી પર નકેલ કસી છે. જેનો લાભ મધ્યમવર્ગીય પરિવારોને થયો છે. આ વર્ગ મતદાન પણ મોટી ભૂમિકા ભજવે છે.

10 ભાજપની સેના વિરુદ્ધ કેજરીવાલ

રાજકીય વિશેષજ્ઞોના એક વર્ગનું માનવું છે કે ભાજપના હદધી વધુ આક્રમક પ્રચાર અભિયાન ફાયદાની જગ્યાએ નુકસાન કરાવી શકે છે. કેજરીવાલ પોતે ભાજપની ભારે ભરખમ બ્રિગેડનો હવાલો આપતા કહે છે કે તેઓ એકલા છે. એવામાં જનતા જો કેજરીવાલ પ્રત્યે સહાનુભૂતિ રાખશે તો ભાજપ માટે મુશ્કેલી થઈ શકે છે.

(5:08 pm IST)