Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ 'શિકારા' જોઇને રડવા લાગ્યા અડવાણી : વિડિયો વાયરલ

દેશના પૂર્વ ઉપવડાપ્રધાન અડવાણી દીકરી પ્રતિભાની સાથે ફિલ્મના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા

નવી દિલ્હી તા. ૮ : કાશ્મીરી પંડિતોનું ઘાટીમાંથી નિષ્કાસન પર બનેલી ફિલ્મ 'શિકારા' જોઇ ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી રડી પડ્યા. દેશના પૂર્વ ઉપ વડાપ્રધાન અડવાણી દીકરી પ્રતિભાની સાથે ફિલ્મના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા. કાશ્મીરી પંડિતોના દર્દને જોઇને અડવાણી પોતાના આંસુ રોકી શકયા નહીં. ડાયરેકટર વિધુ વિનોદ ચોપડાએ આ ભાવુક પળનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે, જે ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

વિધુ વિનોદ ચોપડા ફિલમ્સની તરફથી ટ્વીટમાં લખ્યું, શિકારાના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં શ્રી.એલ.કે.અડવાણી. અમે તમારા આશીર્વાદ અને વખાણ માટે આભારી છીએ. વીડિયોમાં લખવામાં આવ્યું છે કે અડવાણી શિકારા જોયા બાદ પોતાના આંસુઓ રોકી શકયા નહોતા. વીડિયોમાં ચોપડા અડવાણીને સંભાળતા દેખાઇ રહ્યા છે. ફિલ્મ શુક્રવારના રોજ રિલીઝ થઇ છે.

ફિલ્મ 'શિકારા'૧૯૯૦માં કાશ્મીરી પંડિતો ઘાટીમાંથી પલાયન થયા તેના પર આધારિત છે. ખાસ વાત એ છે કે ફિલ્મમાં ૪૦૦૦થી વધુ કાશ્મીરી પંડિત શરણાર્થીઓએ અભિનય કર્યો છે અને ૧૯૯૦ના નિષ્ક્રમણના દ્રશ્યને પુનજીર્વિત કરવાની કોશિષ કરાઇ છે. એક નેતા તરીકે લાલ કૃષ્ણ અડવાણીએ કાશ્મીરી પંડિતોના દર્દને નજીકથી જોઇ રહ્યા છે.

આની પહેલાં શુક્રવારના રોજ જમ્મ અને કાશ્મીરી હાઇકોર્ટે ફિલ્મના રીલીઝ પર પ્રતિબંધની માંગણીવાળી અરજીને નકારી દીધી. જસ્ટિસ એ.એમ.મગરે અને ડી.એસ.ઠાકુરની બેન્ચે ફિલ્મની રીલીઝથી કાયદા અને વ્યવસ્થામાં કોઇ અડચણ ના આવવાની વાત કહી જનહિત અરજીને નકારી દીધી. ત્રણ સામાજિક કાર્યકર્તાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ફિલ્મના તથ્યો પર આધારિત નહીં હોવા અને સાંપ્રદાયિક હોવાના આધાર પર ફિલ્મના રીલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી. અરજીકર્તાઓનો દાવો છે કે આ ફિલ્મમાં ૧૯૯૦માં ઘાટીમાંથી કાશ્મીરી પંડિતોના પલાયન માટે આખા કાશ્મીરની વસતીને દોષિત ગણાવી છે.

(11:39 am IST)