Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

રાવણ હીરો નથી રામ હીરો છે : સૈફ

ભાજપના નેતા રામ કદમે સૈફની વિવાદાસ્પદ ટિપ્પણી સામે કહ્યું : આજકાલ હિંદુઓની : ભાવનાઓને ઠેસ પહોંચાડતી કહાની કે દ્રશ્ય ફિલ્મોમાં બતાવવાનો ઇન્ડસ્ટ્રીમાં ટ્રેન્ડ બનતો જાય છે

મુંબઇ તા. ૭ : બોલિવુડ એકટર સૈફ અલી ખાને તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'આદિપુરૂષ'માં પોતાના 'રાવણ'ના રોલ અંગે વાત કરી હતી. પોતાના રોલને લઈને સૈફએ કરેલી વાતો લોકોને પસંદ ન આવી અને તે વિવાદોમાં આવી ગયો છે. તે પછી સોશિયલ મીડિયા પર તેની ફિલ્મના બહિષ્કારની વાતો થવા લાગી. જોકે, સૈફ અલી ખાને હવે પોતાના સ્ટેટમેન્ટ માટે માફી માંગી લીધી છે અને ભગવાનને રામને હીરો જણાવ્યા છે.

સૈફ અલી ખાને પોતાના એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, 'મને એવું લાગે છે કે, મારા એક ઈન્ટરવ્યુ દરમિયાન કહેવાયેલી વાતોથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. મારો ઈરાદો એવું કરવાનો ન હતો અને હું એવું વિચારતો પણ નથી. હું મારૃં સ્ટેટમેન્ટ પાછું લઉં છું અને બધા લોકોની માફી માગું છું. ભગવાન રામ મારા માટે હંમેશાથી હીરોની છબિવાળા રહ્યા છે. આદિપુરુષ અસત્ય પર સત્યના વિજયનો ઉત્સવ છે. અમારી પૂરી ટીમ આ મહાન કહાનીને પડદા પર ઉતારવામાં લાગેલી છે.'

ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાને પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'રાક્ષસ દેવતાનું પાત્ર નિભાવવું રસપ્રદ છે. અને તેને થોડું માનવીય રૂપ આપીશું. જયાં સુધી મનોરંજનની વાત છે તો તેમના દ્વારા સીતાહરણની વાતને પણ જસ્ટિફાઈ કરવાનો પ્રયાસ કરીશું અને શ્રીરામ સાથેના યુદ્ઘને બદલાની લડાઈ બતાવીશું, રાવણની બહેન સૂપર્ણખાનું નાક લક્ષ્મણે કાપી નાખ્યું હતું.'

સૈફ અલી ખાનના આ સ્ટેટમેન્ટ બાદ ભાજપના નેતા રામ કદમે કહ્યું કે, આજકાલ હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડતી કહાની કે દ્રશ્ય ફિલ્મોમાં બતાવવાનો ઈન્ડસ્ટ્રીમાં ટ્રેન્ડ બનતો જઈ રહ્યો છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે, હિંદુ ધર્મનું અપમાન સહન નહીં કરાય.

ડાયરેકટર ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરૂષ'માં સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ ભગવાન રામની ભૂમિકા નિભાવી રહ્યો છે. જયારે સૈફ અલી ખાન લંકેશનનો રોલ કરી રહ્યો છે. હજુ ફિલ્મનું શૂટિંગ પુરું નથી થયું. પરંતુ, આ ફિલ્મ ૧૧ ઓગસ્ટ, ૨૦૨૨એ રિલીઝ કરવાની યોજના છે. સૈફ આલી ખાન ઓમ રાઉતની ફિલ્મમાં બીજી વખત કામ કરી રહ્યો છે. આ પહેલા તેણે 'તાનાજી : ધ અનસંગ વોરિયર'માં વિલનની ભૂમિકા નિભાવી હતી.

(3:33 pm IST)