Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ખેડૂતોના સમર્થનમાં પ્રિયંકા ચોપડા :કહ્યું - આપણા ખેડૂતો ભારતમાં અન્નના સિપાહી છે:તેમના ડરને દૂર કરવાની જરૂર

પ્રિયંકા ચોપડાએ દિલજીત દોસાંજનું ટ્વીટ કર્યું રિટ્વીટ

નવી દિલ્હી : કૃષિ કાયદાની વિરુદ્ધમાં દેશભરના ખેડૂતો જ્યાં દિલ્હીમાં એકઠા થઈ રહ્યા છે, ત્યાં સોશિયલ મીડિયા પર પણ આ વાતને લઈને કેટલાય લોકોએ ટેકો જાહેર કર્યો છે. આ ખેડૂતો પોતાની વાતને લઈને આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોના આ આંદોલનને જ્યાં સામાન્ય લોકો ટેકો આપી રહ્યા છે, ત્યાં હવે બોલિવૂડના કેટલાય સેલેબ્સ પણ ખેડૂતોને આ આંદોલનને ટેકો જાહેર કરી ચુક્યા છે. હવે આ યાદીમાં અભિનેત્રી પ્રિયંકા ચોપડાનું નામ પણ જોડાઈ ગયુ છે.

પ્રિયંકા ચોપડાએ દિલજીત દોસાંજનું ટ્વીટ રિટ્વીટ કરતા લખ્યુ છે કે, આપણા ખેડૂતો ભારતમાં અન્નના સિપાહી છે. તેમના ડરને દૂર કરવાની જરૂર છે. તેમની આશા પર ખરાં ઉતરવાની જરૂર છે. એક સંપન્ન લોકતંત્રના રૂપમાં આપણે એ નક્કી કરવું પડશે કે, જલ્દીથી આ સંકટનું કોઈ નિરાકરણ આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે બોલિવૂડ અને પંજાબી ફિલ્મોના કેટલાય સેલેબ્સ ખેડૂતોનું સમર્થન કરી ચુક્યા છે. જેમાં રિતેશ દેશમુખ, સોનૂ સુદ, ગુરદાસ માન, ગિપ્પી ગ્રેવાલ, હની સિંહ, કપિલ શર્મા, સ્વરા ભાસ્કર, વીર દાસ, તાપસી પન્નૂ સહિત કેટલાય સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા ખેડૂતોને આ આંદોલનને સમર્થન કર્યુ છે.

(12:00 am IST)