Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

હું મરવા નથી ઇચ્છતી... બચી તો જઇશ ને... પીડિતાના હતા અંતિમ શબ્દો

ઉન્નવ રેપ પીડિતાનું દિલ્હીમાં મોતઃ આરોપીઓને દોડાવી-દોડાવીને ઠાર કરવા પરિવારજનોની માંગણી

દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ગઇ રાત્રે અંતિમ શ્વાસ લીધા

નવી દિલ્હી, તા.૭: ઉત્ત્।ર પ્રદેશના ઉન્નાવમાં બળાત્કારનો ભોગ બનેલી પીડિતાએ દિલ્હીમાં સારવાર દરમિયાન શુક્રવારે રાત્રે દમ તોડ્યો હોવાના આદ્યાતજનક સમાચાર મળ્યા છે. ઉલ્લેખનીય છે કે બળાત્કારનો ભોગ બનેલી પીડિતાને બળાત્કારી આરોપીઓએ જ અદાલત જતાં રસ્તામાં જીવતી સળગાવી દીધી હતી. તેના પર તીક્ષ્ણ હથિયારથી નરાધમોએ હુમલો પણ કર્યો હતો. જોકે, પીડિતા આગમાં ૯૦ ટકાથી વધુ દાઝી ગઈ હતી. આ ઇજાઓ જીવલેણ નીવડી હતી.

પ્રારંભમાં સારવાર માટે લખનઉમાં ખસેડાયેલી પીડિતાને વધુ સારવાર માટે એરલિફટ કરીને દિલ્હી લાવવામાં આવી હતી. દિલ્હીમાં સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન શુક્રવારે રાત્રે ૧૧.૪૦ કલાકે પીડિતાએ જિંદગી માટે જંગ લડતાં લડતાં દમ તોડ્યો હતો. ઉલ્લેખનીય છે કે પીડિતાએ મોતની પછેડી ઓઢતાં પહેલા પોલીસ સમક્ષ સમગ્ર ઘટનાનું નિવેદન નોંધાવ્યું હતું. તેણે જીવિત રહેવાની અને આરોપીઓને સજા મળે તેવી માગણી પણ કરી હતી.

દિલ્હીમાં ખસેડ્યા બાદ પીડિતાને વેન્ટિલેટર પર મૂકવામાં આવી હતી. શુક્રવારે બપોરે ડોકટરોના કહેવા પ્રમાણે આગામી ચોવીસથી ૪૮ કલાક પીડિતા માટે ખૂબ જ મહત્વના હતા, પરંતુ શુક્રવારે રાત્રે જ તે મોત સામે જિંદગીની જંગ હારી ગઈ હતી.

(3:30 pm IST)