Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

પૂ.પ્રમુખ સ્વામીના જયજયકાર સાથે મહોત્સવનો પ્રારંભ

પૂ.મહંત સ્વામી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિરાટ સ્વામિનારાયણ નગરનો વેદોકતવિધિથી શુભારંભઃ દેશ વિદેશમાંથી હજારો સંતો- હરિભકતોની પ્રેરક ઉપસ્થિતિઃ ભવ્ય - દિવ્ય વાતાવરણ: વિજયભાઇએ આપેલું વચન પાળી બતાવ્યું: પૂ.મહંતસ્વામી: વિજયભાઇએ એક સ્વયંસેવક તરીકે કામ કર્યુઃ સભા સંચાલક

જય સ્વામિનારાયણઃ બીએપીએસના વડા પૂ. મહંતસ્વામી દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અર્પણ કરવામાં આવી હતી તે પ્રસંગની તસ્વીર. બાજુની તસ્વીરમાં પૂ. મહંત સ્વામી અને વિજયભાઇએ બેટરીવાળી કારમાં મહોત્સવના દર્શનનો લાભ લીધો હતો. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ,તા.૫: આતુરતાનો અંત આવ્યો છે. પ.પૂ.પ્રમુખ સ્વામીની ૯૮મી જન્મજયંતિ મહોત્સવ અને બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવનો આજથી દબદબાભેર પ્રારંભ થયો છે. બીએપીએસના વડા પ.પૂ.મહંત સ્વામી અને રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આજે સવારે આ મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે દેશ- વિદેશમાંથી હજારો સંતો, હરીભકતો ઉપસ્થિત છે. ભવ્ય- દિવ્ય વાતાવરણ સર્જાયું છે. વિરાટ સ્વામિનારાયણ નગરમાં માનવ મહેરામણ ઉમટી પડયું છે.

આ મહોત્સવમાં હજારો સ્વયંસેવકોની જહેમત છે. છેલ્લા લાંબા સમયથી સંતો અને સ્વયંસેવકો જોરદાર કામગીરી કરી હતી. આજે સવારે પૂ.મહંત સ્વામી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો ત્યારે પ્રમુખ સ્વામીના જય જયકારનો નાદ ગુંજી ઉઠયો હતો.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા વિશ્વભરમાં અનેકવિધ સામાજિક ઉત્કર્ષનાં કાર્યો  તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ ઉત્તમ રીતે કરી રહી છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિ સમગ્ર વિશ્વમાં અનેરૃં સ્થાન ધરાવે છે. શિક્ષણ, પર્યાવરણ અને આરોગ્ય સંબધી વૈશ્વિક સમસ્યાના ઉકેલો પ્રદાન કરે છે. છેલ્લા ૧૫ દિવસમાં ૭ લાખ વ્યસની લોકોને વ્યસનમુકત કરાયા. પર્યાવરણના જતન માટે ૧ કરોડ છોડનું રોપણ તેમજ ૨૫ લાખ લોકોને આદિવાસી વિસ્તારોમાં મફતમાં તબીબી સારવાર આપવામાં આવી છે. આ કાર્ય કરવા માટે ૫૫ હજારથી અધિક સ્વયંસેવકો નિસ્વાર્થભાવે સેવાકીય કાર્ય કરી રહ્યા છે.

બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા થતી આવી અનેકવિધ પ્રવૃતિઓનાં પાયામાં છે બી.એ.પી.એસ. સંસ્થાના સંતો અને સ્વયંસેવકો. આ સેવાની અભિવ્યકિતનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ એટલે પ્રમુખસ્વામી મહારાજ નો ૯૮મો જન્મજયંતી મહોત્સવ. રાજકોટ શહેરમાં યોજાનાર આ મહોત્સવ સ્થિત સ્વામિનારાયણ નગરમાં છેલ્લાં આઠ  મહિનાથી અભૂતપૂર્વ સેવાયજ્ઞ યોજાએલ.સ્વામિનારાયણ નગરની સેવાકીય વિશેષતાઓ આ મુજબ  આ મહોત્સવમાં કુલ ૨૨,૦૦૦ સ્વયંસેવકો છે, જેમાં ૧૪,૦૦૦ પુરૂષો અને ૮,૦૦૦ મહિલાઓ ખડેપગે સેવા કરી રહ્યાં છે, સેવાના કુલ ૫૦ વિભાગો કાર્યરત., ૧૫ વર્ષ થી ૭૫ વર્ષ સુધીના આબાલવૃદ્ઘ સ્વયંસેવકો નિસ્વાર્થભાવે સેવામય., ૧૨ દિવસથી લઈને ૮ મહિના સુધી સ્વયંસેવકો સહર્ષ સેવામાં જોડાયા., સમગ્ર ગુજરાતના જુદાજુદા જિલ્લાઓ અને ક્ષેત્રોમાંથી તેમજ મુંબઈ અને પુના ક્ષેત્રના સ્વયંસેવકો પણ આ સેવામાં સંલગ્ન, આદિવાસીથી લઈ અમેરિકા સુધીના અનેકવિધ ક્ષેત્રના નિષ્ણાત લોકોની અહીં સંપપૂર્વક સેવા, અનેક શારીરિક તકલીફોને અવગણીને સેવાને જ સર્વસ્વ ગણીને સ્વયંસેવકો સેવારત,  ઘણા લોકોએ પોતાના ધંધા-રોજગાર તેમજ પ્રતિષ્ઠિત પોસ્ટ અને ઉચ્ચ પગારની જોબ જતી કરીને અસ્મિતાપૂર્વક  સેવામાં જોડાયા.

એક મહિલા સ્વયંસેવિકા ઈમીટેશનનું કામ કરે છે અને તેમના પતિ કારખાનામાં કામ કરે છે. પોતે ભાડાના ઘરમાં રહેતાં હોવા છતાં પોતાના ઘરનાં કાર્યો તેમજ સંતાનોની  અભ્યાસની  યોગ્ય ગોઠવણી કરીને પતિ-પત્ની બન્ને મહોત્સવના સેવાયજ્ઞમાં જોડાઈ ગયા છે. આવા તો ઘણા સ્વયંસેવકો પોતાના અંગત કાર્યોને ગૌણ કરી સ્વામીનારાયણ નગરના સેવાયજ્ઞમાં જોડાઈ ગયા છે.

પૂ. મહંત સ્વામી અને વિજયભાઇએ નાડાછેડી છોડી મહોત્સવનું કર્યું ઉદ્ઘાટન

રાજકોટ : પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૮મો જન્મજયંતિ મહોત્સવનો આજથી ભવ્ય દિવ્ય પ્રારંભ થયો છે. આ મહોત્સવનો શુભારંભ બરાબર સમયે એટલે કે ૭.૩૦ કલાકે થયો હતો. પૂ. મહંતસ્વામી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે પ્રવેશદ્વારનું શાસ્ત્રોકતવિધીથી પૂજન - અર્ચન કરવામાં આવ્યું હતું. 

વ્હેલી સવારથી હજારોની સંખ્યામાં સ્વયંસેવકો, સંતો-મહંતો ઉપસ્થિત હતાં. પૂ. મહંતસ્વામી અને વિજયભાઇએ રીબીન કાપીને નહી પણ નાડા છેડી છોડી આ મહોત્સવને ખુલ્લો મૂકયો હતો. આ અવસરે શ્રી સ્વામીનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરષોતમ ભગવાનની જય, પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની જય ના નારાઓ ગંુજી ઉઠયા હતાં.

વિજયભાઇએ આપેલું વચન પાળી બતાવ્યું: પૂ.મહંતસ્વામી

પ.પૂ. પ્રમુખસ્વામીએ તેમના પ્રવચનમાં કહેલું કે ગોંડલમાં એક કાર્યક્રમમાં વિજયભાઇએ આ મહોત્સવમાં હાજરી આપવા વચન આપેલું જે તેઓએ પાળી બતાવ્યું છે. શ્રી રૂપાણીને બીએપીએસ સંસ્થા પ્રત્યે ખૂબ જ લાગણી છે.

વિજયભાઇએ એક સ્વયંસેવક તરીકે કામ કર્યુઃ સભા સંચાલક

પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતિએ મહોત્સવના પ્રારંભ પ્રસંગે કાર્યક્રમનું સંચાલન કરતાં એક સ્વામીએ કહયું કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ મહોત્સવને સફળ બનાવવા એક સ્વયંસેવક તરીકે કાર્ય કર્યુ છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે.

(12:00 am IST)