News of Thursday, 7th December 2017
સુરત, તા. ૭ :. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ, બંધારણની કલમ ૪૬, ૩૧ (સી), ૧૫(૪) અને ૧૬(૪) ઉપર સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતાઓ એવું કહે છે કે, હાર્દિક તને કોંગ્રેસે ફરી એક વખત 'ઉલ્લુ' બનાવી દીધો છે તેવુ વિશ્લેષણ એડવોકેટ રાજેશ બારૈયાએ કાયદાકીય જોગવાઈઓ ટાંકીને કર્યુ છે. આ લેખીત નિવેદનનું તારણ નીચે મુજબ છે.
બંધારણની જે કલમો અંતર્ગત તને(હાર્દિક) વચન આપવામાં આવ્યુ છે તેને જોઈએ એટલે સમગ્ર ગુજરાતની પ્રજાને ખ્યાલ આવી જશે કે તને કેટલી સહજતાથી 'મૂર્ખ' બનાવીને તારી પાસેથી ચૂંટણીમાં ટેકો પ્રાપ્ત કરી લેવાયો.
આ કલમમાં એવું દર્શાવવામાં આવેલ છે કે, ''...એવી નિતીને અમલમાં મુકવા માટે છે તેવી જાહેરાત કરતો કોઈ કાયદો... તેની સામે કોઈ ન્યાયાલયમાં વાંધો ઉઠાવી શકાશે નહિં...' આ અંગે ભારતની સર્વોચ્ચ અદાલતે ઘણા ચુકાદાઓ આપ્યા છે. હાર્દિક... તારા બંધારણના નિષ્ણાતો સાથે જરા ચર્ચા તો કરી જો જે... એટલે તને ખબર પડશે કે કોંગ્રેસે તને જે વચન આપ્યુ છે તેમા બંધારણીય અને કાનૂની દમ છે કે નહીં ? તને ખુદને જ સમજાઈ જશે કે તું છેતરાઈ ગયો છે.
પત્રકાર પરિષદમાં તે બંધારણની કલમ ૪૬ની વાત કરી હતી. બંધારણની કલમ ૪૬ કહે છે કે 'સરકાર પ્રજાના કમજોર વર્ગની ખાસ કરીને અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના લોકોની શૈક્ષણિક તેમજ આર્થિક બાબતો માટે વિશેષ કાળજી લઈને એમની પ્રગતિનું ધ્યાન રાખશે અને સામાજિક અન્યાય તથા કોઈપણ પ્રકારના શોષણ સામે એમનું રક્ષણ કરશે.'
અહીં શબ્દ 'કમજોર વર્ગ' છે, 'કમજોર જ્ઞાતિ' નથી. પાટીદારો સાથે કયા પ્રકારનું શોષણ થઈ રહ્યુ છે તેનો જવાબ હાર્દિક આપશે ? આ કલમ સામે પણ ભારતની સર્વોચ્ચ અદાલતે ઘણા ચુકાદાઓ આપ્યા છે તેનો વિસ્તૃત અભ્યાસ હાર્દિકે કર્યો છે ? આ જવાબ હાર્દિકે આપવો જ પડશે.
પત્રકાર પરિષદમાં હાર્દિકે બંધારણની કલમ ૧૫(૪) અને ૧૬(૪) ની વાત કરી. કલમ ૧૫(૪) કલમમાં અથવા કલમ ૨૯ની પેટા કલમ (૨)માં જે કંઈ જોગવાઈ કરાઈ છે તે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય એવા વર્ગોના નાગરીકો અથવા અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના ઉત્કર્ષ માટે કોઈ પણ ખાસ જોગવાઈ કરવામાં રાજ્ય માટે બાધક નહીં બને.' કલમ ૧૬(૪) એટલે કે 'સરકારના અભિપ્રાય મુજબ જો સરકારને લાગે કે સરકારી નોકરીઓમાં પછાત વર્ગના નાગરીકોનું પ્રતિનિધિત્વ ઓછું છે તો એમના માટે નિમણૂકની બાબતમાં કેટલીક જગ્યાઓ અનામત રાખતા સરકારને (બંધારણની ઉપરની કલમો) રોકી શકશે નહિં.' બંધારણની કલમ ૧૫(૪) અને ૧૬(૪)માં શબ્દ 'બેકવર્ડ કલાસ છે' જ્ઞાતિ નથી. પછાત વર્ગ છે. પછાત જ્ઞાતિ નથી. પછાત કોને કહેવા એના માટે ભારતની સર્વોચ્ચ અદાલતે ચુકાદાઓ દ્વારા સ્પષ્ટ કર્યુ છે.
કલમ ૪૬માં પણ 'વિકર સેકશન્સ ઓફ ધ પીપલ' શબ્દ વપરાયો છે. આ અંગે સુપ્રીમ કોર્ટે વ્યાખ્યાઓ કરી છે. હાર્દિકે તે જોઈ જવી જોઈએ. પાટીદારનો તેમા સમાવેશ થઈ શકે તેમ નથી કારણ કે 'બેકવર્ડ કલાસ' અને 'વીકર સેકશન્સ ઓફ ધ પીપલ' કોને કહેવા તેના ઉપર સુપ્રીમ કોર્ટ વ્યાખ્યા કરી ચૂકી છે. આ કલમોમાં સૌથી મોટો પ્રશ્ન (૦૧) પછાત અને વંચિત વર્ગ કેવી રીતે નક્કી કરવો અને (૦૨) કેટલી અનામત આપવી એ છે.