Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

જમ્મુ કાશ્મીર : ગુરેજ સેક્ટરમાં ઘુસણખોરી કરનારા બે ઠાર થયા

છ વર્ષ બાદ ઘુસણખોરી કરનાર કુખ્યાત ત્રાસવાદીઓ મોતને ઘાટ : ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓ પાસેથી ખતરનાક હથિયારો, વાયરલેસ વીએચએફ સેટ જપ્ત : પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના સીધા સંપર્કમાં હતા

દ્રાસ,તા. ૭ : જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી બાદ ત્રાસવાદીઓ ભારતમાં રક્તપાત સર્જવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. અલબત્ત ત્રાસવાદીઓને કોઇ મોટી સફળતા મળી રહી નથી. ગુરેજ સેક્ટરમાં પણ છ વર્ષના લાંબા ગાળા બાદ ઘુસણખોરીની ઘટના સપાટી ઉપર આવતા સુરક્ષા દળો સાવધાન થઇ ગયા છે અને સરહદના તમામ વિસ્તારમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જૈશના ત્રાસવાદીઓ મોટા હુમલાને અંજામ આપવા માટેના પ્રયાસમાં છે. જમ્મુ કાશ્મીરમાં ઠંડીની શરૂઆત થાય તે પહેલા જ ત્રાસવાદીઓને મોકલી દેવા માટેની પૂર્ણ તાકાત પાકિસ્તાને લગાવી દીધી છે. જો કે સુરક્ષા દળોની બાજ નજરના કારણે તેમની હાલત કફોડી બનેલી છે. તેમને કોઇ સફળતા મળી રહી નથી. સુરક્ષા દળોની બાજ નજરના કારણે તેમને દરેક વખતે પીછેહટ કરવાની ફરજ પડી રહી છે. દરેક વખતે ત્રાસવાદીઓએને પછડાટ મળી રહી છે. પાકિસ્તાન દ્વારા હવે ઘુસણખોરી કરવા માટે નવા રસ્તાની શોધમાં છે. સેનાએ હવે રાજ્યની સિન્ધ ખીણમાં ગુરેજ સેક્ટરમાં બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. એમ કહેવામાં આવે છે કે આશરે છ વર્ષ બાદ આ વિસ્તારમાં ઘુસણખોરી થઇ છે.

            ઘુસણખોરીની ઘટના સપાટી પર આવ્યા બાદ સુરક્ષા દળોએ તમામ રસ્તા પર તકેદારી વધારી દીધી છે. ત્રાસવાદીઓની ઘુસણખોરીની આ ઘટના ૨૭મી સપ્ટેમ્બર અને ત્રીજી ઓક્ટોબરના દિવસે બની હતી. તેમણે કહ્યુ હતુ કે છેલ્લા કેટલાક સમયથી સિન્ધ ખીણમાં શાંતિ પ્રવર્તી રહી હતી. છેલ્લે ત્રાસવાદ વિરોધી ઓપરેશન ૨૦૧૩માં ચલાવવામાં આવ્યુ હતુ. સેનાના એક અધિકારીએ કહ્યુ છે કે પાકિસ્તાન અંકુશ રેખા  નજીક દરેક રસ્તા પરથી ઘુસણખોરી કરવાની ફિરાકમાં છે. જો કે સુરક્ષા દળો તેમની યોજનાને નિષ્ફળ બનાવી દેવા માટે સંપૂર્ણ પણે એલર્ટ પણ છે. ખીણના સ્થાનિક લોકોમાં દહેશત ફેલાવી દેવાના પ્રયાસ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી  રહ્યા છે. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન હચમચી ઉઠ્યુ છે અને સ્થિતી ખરાબ કરવાના પ્રયાસમાં છે. કલમ ૩૭૦ના મોરચે વૈશ્વિક મંચ પર પછડાટ મળી ગયા બાદ હવે પાકિસ્તાન હિંસા ફેલાવવા માટે સજ્જ છે.

          ગુરેજમાં બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા બાદ તેમની પાસેથી હથિયારોનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સેનાના સુત્રોએ કહ્યું છે કે, ગ્રેનેડ લોન્ચરની સાથે બે આતંકવાદીઓની ઘુસણખોરી ચિંતા ઉપજાવે તેવી છે. આ વિસ્તારમાં જિપ્સી સમુદાયના લોકો રહે છે. અખરોટ થતાં અન્ય કુદરતી ચીજવસ્તુઓથી પોતાના ઘર ચલાવે છે. ગંદરબાલ અને કારગિલ પોલીસ સંપૂર્ણપણે સક્રિય થયેલી છે. આ પોલીસ અખાતના એક દેશમાં રહેતા વ્યક્તિ તરફથી કરવામાં આવેલા કોલમાં તપાસ કરી રહી છે. જમ્મુ કાશ્મીરના ટોપના અધિકારીઓના કહેવા મુજબ ઠાર થયેલા ત્રાસવાદીઓની પાસેથી વાયરલેસ વીએચએફ સેટ જપ્ત કરવામાં આવ્યો છે જે દર્શાવે છે કે, આ લોકો પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓ સાથે સંપર્કમાં હતા.

સુરક્ષા સંસ્થાઓ આ બાબતથી કહી શકે છે કે, ઉંડી તપાસ ચાલી રહી છે. અન્ય ઘટનાક્રમમાં એવા સમાચાર પણ મળ્યા છે કે, લશ્કરી સ્થળો ઉપર હુમલા કરવાની ફિરાકમાં ત્રાસવાદીઓ રહેલા છે. આ ત્રાસવાદીઓ પર નજર રાખવામાં આવી રહી છે.

(8:00 pm IST)